- National
- દિલ્હીના CM રેખા ગુપ્તા સહિત 5 મંત્રીઓ પર ક્રિમિનલ કેસ છે, જાણો કેટલી અમીર છે આખી કેબિનેટ
દિલ્હીના CM રેખા ગુપ્તા સહિત 5 મંત્રીઓ પર ક્રિમિનલ કેસ છે, જાણો કેટલી અમીર છે આખી કેબિનેટ

ચૂંટણી સુધારણા માટે કામ કરતી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અનુસાર, દિલ્હીમાં શપથ લેનારા તમામ 7 નવા મંત્રીઓમાંથી, મુખ્યમંત્રી (71 ટકા) સહિત 5એ પોતાની વિરુદ્ધ ફોજદારી કેસ જાહેર કર્યા છે, જ્યારે 2 અબજપતિ છે (29 ટકા). આ જાણકારી 2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણી અગાઉ મંત્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી એફિડેવિટમાંથી મળી છે.
ADRના રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી રેખા ગુપ્તા સહિત 5 મંત્રીઓએ પોતાની વિરુદ્ધ ફોજદારી કેસ જાહેર કર્યા છે. આ મંત્રીઓમાંથી એક આશિષ સૂદ પર ગંભીર ગુનાહિત આરોપ છે. સૌથી વધુ સંપત્તિવાળા મંત્રી રાજૌરી ગાર્ડન મતવિસ્તારના ધારાસભ્ય મનજિન્દર સિંહ સિરસા છે. જેમની સંપત્તિ 248.85 કરોડ રૂપિયા અને સૌથી ઓછી સંપત્તિવાળા મંત્રી કરવલ નગર મતવિસ્તારના ધારાસભ્ય કપિલ મિશ્રા છે. જેમની સંપત્તિ 1.06 કરોડ છે.
7 મંત્રીઓની સરેરાશ સંપત્તિ 56.03 કરોડ રૂપિયા છે. તમામ 7 મંત્રીઓએ દેવાદારીની જાહેરાત કરી છે, જેમાં નવી દિલ્હી મતવિસ્તારના ધારાસભ્ય પ્રવેશ સાહિબ સિંહ વર્મા પર સૌથી વધુ રૂ. 74.36 કરોડનું દેવું છે. 6 મંત્રીઓએ (86 ટકા) સ્નાતક અથવા તેથી વધુની શૈક્ષણિક લાયકાત જાહેર કરી છે, જ્યારે એક મંત્રીએ માત્ર 12મું ધોરણ પૂર્ણ કર્યું છે. ઉંમરના સંદર્ભમાં, 5 મંત્રીઓ (71 ટકા)ની ઉંમર 41 થી 50 વર્ષની વચ્ચેના છે, જ્યારે બાકીના 2 (29 ટકા)ની ઉંમર 51-60 વર્ષની વચ્ચેના છે. કેબિનેટમાં માત્ર એક મહિલા મંત્રી છે જે પોતે મુખ્યમંત્રી રેખા ગુપ્તા છે.
તમને જણાવી દઈએ કે ભાજપે આમ આદમી પાર્ટીને હરાવીને 27 વર્ષ બાદ દિલ્હીમાં સરકાર બનાવી છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને પરિણામ 8 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવ્યું હતું. ભાજપે 70 સભ્યોવાળી દિલ્હી વિધાનસભામાં 48 સીટો જીતીને પૂર્ણ બહુમતી હાંસલ કરી હતી, જ્યારે આમ આદમી પાર્ટી 22 બેઠકો પર સમેટાઇને સત્તામાંથી બહાર થઇ ગઇ હતી. ભાજપે શાલીમાર બાગના ધારાસભ્ય રેખા ગુપ્તાને દિલ્હીના મુખ્યમંત્રી બનાવ્યા. જ્યારે પ્રવેશ સાહેબ સિંહ વર્મા, આશિષ સૂદ, પંકજ કુમાર, કપિલ મિશ્રા, રવિન્દ્ર ઈન્દ્રરાજ અને મનજિંદર સિંહ સિરસા મંત્રી બન્યા.