- South Gujarat
- કોર્પોરેટરે સુરતમાં હાર્દિક પટેલની રેલી કાઢવા માગી મંજૂરી, જુઓ PIને લખેલો પત્ર
કોર્પોરેટરે સુરતમાં હાર્દિક પટેલની રેલી કાઢવા માગી મંજૂરી, જુઓ PIને લખેલો પત્ર
કોરોના વાયરસના કહેર વચ્ચે આજે BJPના નવા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના સત્કાર માટે શહેરમાં એક કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને તે માટે શહેર પોલીસ દ્વારા પરવાનગી પણ આપવામાં આવી છે. BJP પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના સત્કાર માટે રેલીને પરવાનગી મળતા શહેરમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના સ્વાગત માટે રેલી તેમજ ત્યારબાદ સત્કાર સમારંભ માટે શહેર પોલીસ પાસે પરવાનગી માગવામાં આવી છે. આ માટે સુરતના કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ કુંભાણીએ સરથાણા પોલીસ સ્ટેશનના PIને પત્ર લખીને સુરતમાં 2જી ઓગસ્ટને રવિવારના રોજ હાર્દિક પટેલના સ્વાગત માટે સરથાણા જકાતનાકાથી મિનિબજાર થઈ માનગઢ ચોક સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી યોગી ચોક સુધી રેલીનું આયોજન ત્યારબાદ યોગીચોક ખાતે સરદાર ફાર્મમાં સત્કાર સમારોહના આયોજન માટે પરવાનગી માગવામાં આવી છે.
હાર્દિક પટેલના સત્કારમાં રેલી તેમજ સમારંભના આયોજન માટે કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તમામ નીતિ-નિયમોનું પણ પાલન કરવાની ખાતરી તેમના દ્વારા આપવામાં આવી છે. ટૂંકમાં કહીએ તો, BJPના પ્રદેશ અધ્યક્ષને જે રીતે રેલી માટે પરવાગની આપવામાં આવી છે, તે જ રીતે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની રેલીનું આયોજન કરવા માટે પરવાનગી માગવામાં આવી છે.

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના સત્કાર માટે રેલી તેમજ સમારંભ માટે પરવાનગી માગતા સુરતના કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ કુંભાણી દ્વારા પરવાનગી માગતો સરથાણા પોલીસ PIને જે પત્ર લખવામાં આવ્યો છે, તેમાં તેમણે જણાવ્યું છે કે, આગામી તારીખ 2/8/2020ને રવિવારના દિવસે ગુજરાતના કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ શ્રી હાર્દિક પટેલની રેલી તેમજ સરદાર ફાર્મ ખાતે સત્કાર સમારોહની પરમિશન આપશો તેવી આશા રાખુ છું અને જેનો રૂટ સરથાણા જકાતનાકાથી મીની બજાર માનગઢ ચોક ખાતે આવેલ સરદાર ફાર્મમાં સત્કાર સમારોહનું આયોજન કરેલ છે.

તેમજ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોરોના વાયરસ સામે સરકારી તંત્ર દ્વારા જે નીતિ-નિયમો બનાવવામાં આવેલ છે તેની તકેદારી રાખવામાં આવશે. તેમજ સત્કાર સમારોહ અને સ્વાગત રેલીમાં સરકારી તંત્ર દ્વારા જે નીતિ-નિયમો આપશે તેની સંપૂર્ણ કાળજી રાખવામાં આવશે. આશા રાખુ છું ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રીને પરમિશન આપવામાં આવી તેવી જ રીતે અમોને પરમિશન આપશો તેવી આશા રાખુ છું.

