- Tech and Auto
- કોરિયન ગેમના ટાર્ગેટમાં 3 બહેનો 9મા માળેથી કૂદી ગઈ; બાળકનું ગેમિંગ વ્યસન કેવી રીતે છોડાવવું?
કોરિયન ગેમના ટાર્ગેટમાં 3 બહેનો 9મા માળેથી કૂદી ગઈ; બાળકનું ગેમિંગ વ્યસન કેવી રીતે છોડાવવું?
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી એક ખૂબ જ દુ:ખદ અને આઘાતજનક ઘટના પ્રકાશમાં આવી છે. અહેવાલો અનુસાર, 12, 14 અને 16 વર્ષની ત્રણ સગીર બહેનોએ એક બિલ્ડિંગના નવમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના માતાપિતાએ તેમના ઓનલાઈન ગેમિંગનો વિરોધ કર્યો હતો, જેના કારણે આ દુ:ખદ પગલું ભર્યું. આ ઘટનાએ સમગ્ર વિસ્તાર અને સોશિયલ મીડિયાને ચોંકાવી દીધું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણ છોકરીઓ, પાખી, પ્રાચી અને વિશિકા, ઓનલાઈન ગેમ્સની વ્યસની બની ગઈ હતી. તેમના પરિવારને તેમના આ ગેમ રમવાની લત પસંદ ન હતી અને તેઓ ઇચછતા હતા કે તેઓ આ ગેમ ઓછી રમે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોવિડ-19 રોગચાળા દરમિયાન, જ્યારે શાળાઓ બંધ હતી અને બાળકો ઘરે વધુ સમય વિતાવી રહ્યા હતા, ત્યારે તેમને ઓનલાઈન ગેમિંગની આદત પડી ગઈ હતી. તે બાળકો 'કોરિયન લવર્સ ગેમ' નામની ઓનલાઈન ગેમ રમતા હતા.
પોલીસે એ પણ અહેવાલ આપ્યો છે કે, છોકરીઓ નિયમિત રીતે શાળામાં પણ જતી ન હતી અને તેમનો મોટાભાગનો સમય મોબાઈલ ફોન અને ગેમ રમવામાં વિતાવતી હતી. ધીમે ધીમે આ શોખ આદતમાં ફેરવાઈ ગયો. જ્યારે પરિવારે તેમને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે પરિસ્થિતિ કાબુ બહાર થઇ ગઈ હતી. જોકે, આ આત્યંતિક પગલા પાછળના વાસ્તવિક કારણની તપાસ હજુ ચાલુ છે.
આ ઘટના બુધવાર, 4 ફેબ્રુઆરીના રોજ સવારે 2 વાગ્યે ગાઝિયાબાદના રહેણાંક ટાઉનશીપ, ભારત સિટીમાં બની હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કેસની તપાસ શરૂ કરી હતી. અધિકારીઓ હાલમાં એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ત્રણેય બહેનોએ એક સાથે આટલું કડક પગલું કેમ ભર્યું.
આજકાલ, બાળકો અને કિશોરોમાં ઓનલાઈન ગેમિંગ અને મોબાઈલ ફોનનું વ્યસન ઝડપથી વધી રહ્યું છે. શરૂઆતમાં, તે ફક્ત ટાઈમપાસ જેવું લાગે છે, પરંતુ ધીમે ધીમે તેની માનસિક અને ભાવનાત્મક અસરો થવા લાગે છે. ઊંઘ ઓછી આવવી, સ્વભાવમાં ચીડિયાપણું આવી જવું, અભ્યાસથી દૂર રહેવું અને પરિવારના લોકોથી દૂર થઇ જવું એ સામાન્ય સંકેતો છે. નિષ્ણાતો માને છે કે, જો તાત્કાલિક સારવાર ન આપવામાં આવે તો તે ગંભીર માનસિક તણાવનું સ્વરૂપ લઇ શકે છે.
આવા કિસ્સાઓથી બચવા માટે, માતાપિતાએ કડકાઈ બતાવવાને બદલે સમજદારીનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે બાળકો સાથે ખુલીને વાત કરાવી જોઈએ અને તેમની લાગણીઓને સમજાવી જોઈએ. અચાનક તેમનો મોબાઈલ ફોન છીનવી લેવાથી અથવા તેમના પર ગુસ્સો કરવાથી ઘણીવાર વિપરીત પરિણામ આવી શકે છે. એની કરતા એવું કરો કે, તેમનો દરરોજનો મોબાઈલ રમવાનો સમય નક્કી કરો, અને ધીમે ધીમે તેની ગેમિંગ રમવાનો સમય ઘટાડવો એ જ શ્રેષ્ઠ રસ્તો છે.
બાળકોનું ધ્યાન મોબાઇલ ફોનથી હટાવવા માટે તેમને રમતગમત, પુસ્તકો, સંગીત અથવા બહારની પ્રવૃત્તિઓ જેવી અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખો. પરિવાર સાથે વધારે સમય વિતાવે તે પણ મહત્વપૂર્ણ છે. જો આ આદત વધુ ગંભીર બની ગઈ હોય, તો તેમના માટે કાઉન્સેલર અથવા મનોવિજ્ઞાનીની મદદ લેવી ફાયદાકારક હોઈ શકે છે.
માતાપિતાએ તેમના બાળકોની ઓનલાઈન પ્રવૃત્તિ પર નજર રાખવી જોઈએ. રમતો અને એપ્લિકેશનો પર વિતાવેલા સમયને મર્યાદિત કરવા માટે તેમના ફોન પર પેરેંટલ કંટ્રોલ એપ્લિકેશનોનો ઉપયોગ કરો. આ ઉપરાંત, તેઓ કયા પ્રકારની રમતો રમે છે અને તેમની સામગ્રી પર નજર રાખો. મોડી રાત સુધી ગેમિંગ રમતા અટકાવવા માટે રાત્રે તેમનો મોબાઇલ ફોન તમારી પાસે મૂકી રાખવાની આદત બનાવો. સૌથી મહત્વની બાબત એ છે કે, તેમની સાથે વિશ્વાસપાત્ર સંબંધ બનાવવો જેથી બાળક તેમની સમસ્યાઓ અથવા તણાવ તમારી સાથે શેર કરી શકે. ટેકનોલોજીથી સંપૂર્ણપણે ડિસ્કનેક્ટ કરવું કે થવું એ આ સમસ્યાનો ઉકેલ નથી, તેના બદલે, સંતુલન શીખવવું એ વાસ્તવિક ઉકેલ છે. આ ઘટના એ યાદ અપાવે છે કે, ડિજિટલ વિશ્વમાં બાળકોની સલામતી અને માનસિક સ્વાસ્થ્ય પર સમયસર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
નોંધ: જો તમારા પરિચિત કોઈ વ્યક્તિ આત્મહત્યા કરવાનું વિચારી રહ્યા છો, તો તે ખૂબ જ ગંભીર તબીબી કટોકટી છે. તાત્કાલિક ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇનનો 18002333330 પર સંપર્ક કરો. તમે 1800914416 પર ટેલિમેન્સ હેલ્પલાઇન પર પણ કૉલ કરી શકો છો. અહીં, તમારી ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે, અને નિષ્ણાતો તમને આ પરિસ્થિતિને દૂર કરવા માટે જરૂરી સલાહ આપશે. યાદ રાખો, જીવન છે તો જ બધું છે.

