- Business
- નવી મુંબઇમાં બનશે દેશનું સૌથી મોટું ડાયમંડ કલસ્ટર, શું સુરત સામે આ મોરચો છે?
નવી મુંબઇમાં બનશે દેશનું સૌથી મોટું ડાયમંડ કલસ્ટર, શું સુરત સામે આ મોરચો છે?

દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બૂર્સ (SDB)ના ઉદઘાટનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાત અને મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાટો આવી રહ્યો છે. હીરાઉદ્યોગને વદારે મજબૂત બનાવવા માટે સુરતમાં વૈશ્વિક કક્ષાનું બિલ્ડીંગ બન્યું છે. મહારાષ્ટ્રના વિપક્ષનો આરોપ છે કે સુરતમા બનેલા ડાયમંડ બૂર્સને કારણે મુંબઇનો ડાયમંડનો ધંધો શિફ્ટ થઇ જશે. વિપક્ષના આરોપ પર હવે મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે મોટી જાહેરાત કરી છે. ઉદ્યોગ મંત્રીએ કહ્યું કે આવતા વર્ષે નવી મુંબઇમાં દેશનું સૌથી મોટું કલસ્ટર નવી મુંબઇમાં બનાવવામાં આવશે.મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે યવતમાલમાં કહ્યુ કે, આના માટે એક પોલીસી તૈયાર છે.
સુરત ડાયમંડ બૂર્સને દુનિયાના સૌથી મોટું ઓફિસ બિલ્ડીંગનો ખિતામ મળ્યો છે. આ પહેલાં અમેરિકાનું પેન્ટાગોન સૌથી મોટું ઓફિસ બિલ્ડીંગ તરીકે ગણાતું હતું. પરંતુ સુરતે આ સ્થાન છીનવી લીધું છે. સુરત ડાયમંડ બૂર્સનું ઉદઘાટન 17 ડિસેમ્બર 2023ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે અને તેની તૈયારીઓ પણ ચાલી રહી છે. એ પછી SDB ધમધમતું થઇ જશે.
હવે મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે કહ્યુ કે દેશનું સૌથી પહેલું ડાયમંડ કલસ્ટર નવી મુંબઇમા બનશે અને તેનો DPR પણ તૈયાર છે. આવતા વર્ષે તમે જોજો નવી મુંબઇમાં ડાયમંડ કલસ્ટર તૈયાર થઇ જશે.
મહારાષ્ટ્રમાં શાસક મહાગઠબંધન (ભાજપ + શિવસેના અને એનસીપી - અજિત જૂથ) ગુજરાતમાં હીરાના વ્યવસાય માટે વિપક્ષના નિશાના પર છે. થોડા દિવસો પહેલા મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રની મુલાકાતે એટલા માટે આવ્યા છે કે તેઓ અહીંના હીરા ઉદ્યોગને ગુજરાતમાં લઈ જઈ શકે. યવતમાલમાં એક કાર્યક્રમ દરમિયાન રાજ્યના ઉદ્યોગ મંત્રીએ એમ પણ કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં કર્ણાટક અને ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે ટોચના સ્થાને છે, પરંતુ મહારાષ્ટ્રમાં સરકાર બદલાવવા પછી ઉદ્યોગકારોને વિશ્વાસ બેસી રહ્યો છે કે સરકાર તેમની સાથે ઉભી રહેશે.
હીરા ઉદ્યોગ માટે દેશના શહેરો મુંબઈ અને સુરત વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. આ જ કારણ છે કે સુરતમાં સુરત ડાયમંડ બૂર્સ શરૂ થઈ રહ્યું છે ત્યારે મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષો સરકાર પર નિશાન સાધતા કહી રહ્યા છે કે તેના કારણે હીરા ઉદ્યોગ ગુજરાતમાં જશે. વિશ્વના હીરાના વેપારમાં 70-80 ટકા હિસ્સો ભારતીયો ધરાવે છે.
આ બધી ગતિવિધીઓ જોતા લાગી રહ્યું છે કે સુરત અને મુંબઇ વચ્ચે ડાયમંડ ઉદ્યોગમાં તીવ્ર ર્સ્પધા થશે.