- Opinion
- તમારા બાળકનું ભવિષ્ય: તમે જે રોપો, તે ઉગે...
તમારા બાળકનું ભવિષ્ય: તમે જે રોપો, તે ઉગે...

(ઉત્કર્ષ પટેલ)
બાળકો એક ખાલી કેનવાસની જેમ હોય છે જેના પર તમે જે રંગો ભરો તે જ તેમનું ભાવિ ચિત્ર બને છે. જેમ બીજને ઉછેરવા માટે ફળદ્રુપ જમીન, પાણી અને સૂર્યપ્રકાશની જરૂર હોય છે તેમ બાળકોના ઉછેર માટે પ્રેમ, માર્ગદર્શન અને સકારાત્મક વાતાવરણની જરૂર હોય છે. તમે તેમનામાં જે ગુણો રોપશો તે જ ગુણો તેઓ શોષી લેશે અને તેમના જીવનનો હિસ્સો બનાવશે.
જો તમે ઈચ્છો છો કે તમારું બાળક દયાળુ બને તો તમારે સૌપ્રથમ દયાનું ઉદાહરણ પૂરું પાડવું પડશે. નાનીનાની વાતોમાં જેમ કે કોઈને મદદ કરવી, ક્ષમા આપવી કે સહાનુભૂતિ દર્શાવવી તમે તેમનામાં દયાળુ હૃદયનું બીજ રોપો છો. જો તમે ઈચ્છો છો કે તેઓ બુદ્ધિશાળી બને તો તેમને શીખવાની તકો આપો. પુસ્તકો વાંચવા, પ્રશ્નોની ચર્ચા કરવી, અને જિજ્ઞાસાને પ્રોત્સાહન આપવું. આ બધું તેમના મનને તેજસ્વી બનાવે છે. જો તમે ઈચ્છો છો કે તેઓ સંભાળ રાખનારા બને તો તેમની સંભાળ લો. તેમની લાગણીઓને સમજો, તેમની જરૂરિયાતો પૂરી કરો અને તેમના પ્રત્યે સ્નેહ દર્શાવો. આ રીતે તેઓ શીખે છે કે સંભાળ એ પ્રેમનો અભિન્ન ભાગ છે.
બાળકોનું મન એક ફળદ્રુપ ખેતર જેવું હોય છે. તમે તેમની સાથે જે રીતે વર્તો છો જે શબ્દો બોલો છો તે બધું તેમના મનમાં ઊંડે ઉતરી જાય છે. તમે જો તેમને હંમેશા પ્રોત્સાહક શબ્દો, પ્રશંસા અને સકારાત્મક વર્ણનો આપશો તો તે શબ્દો તેમના અંતરના અવાજનો ભાગ બનશે. ઉદાહરણ તરીકે જો તમે તેમને કહો કે ‘તું ખૂબ જ સમજૂ છે ‘ અથવા ‘તું હંમેશા સારું કામ કરે છે’ તો તેઓ પોતાની જાતને આવી જ રીતે જોવા લાગશે. આનાથી તેમનો આત્મવિશ્વાસ વધે છે અને તેઓ પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ કરે છે.
બીજી બાજુ જો તમે તેમની સાથે નકારાત્મક રીતે વર્તો, ટીકા કરો કે તેમને નીચા દેખાડો તો તે પણ તેમના મનમાં ઘર કરી જાય છે. તેઓ પોતાની જાતને ઓછી કક્ષાની માનવા લાગે છે અને આખી જિંદગી આની અસર તેમના વ્યક્તિત્વ પર રહે છે. તેથી તેમની સાથે પ્રેમથી, ધીરજથી અને આદરથી વર્તવું અત્યંત જરૂરી છે.
આખરે બાળકો એ જ બનશે જે તમે તેમનામાં રોપશો. તમારું વર્તન, તમારા શબ્દો અને તમારો પ્રેમ તેમના ભવિષ્યનો આધાર બનશે. તેથી તેમનામાં એવા ગુણો રોપો કે જે તેમને એક સારા, સફળ અને સંતુષ્ટ વ્યક્તિ બનાવે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજસેવક છે)