- Business
- સરકાર 12 ટકા GST સ્લેબને નાબૂદ કરવાની તૈયારીમાં, આ સ્લેબની વસ્તુઓ પર જાણો શું ટેક્સ લાગશે
સરકાર 12 ટકા GST સ્લેબને નાબૂદ કરવાની તૈયારીમાં, આ સ્લેબની વસ્તુઓ પર જાણો શું ટેક્સ લાગશે

સરકાર GST અંગે એક મોટો પ્લાન બનાવી રહી છે અને આ અંતર્ગત મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા લોકોને રાહત મળી શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ટૂંક સમયમાં GSTમાં મોટી રાહત આપી શકાય છે અને કેન્દ્ર સરકાર GST દર ઘટાડી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, PM નરેન્દ્ર મોદીની સરકાર GST સ્લેબમાં ફેરફાર કરવાનું ગંભીરતાથી વિચારી રહી છે અને 12 ટકા GST સ્લેબ હવે 5 ટકા સુધી આવી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા GST પર એવા સામનો પર રાહત આપી શકાય છે, જે સામાન્ય રીતે ખાસ કરીને મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોમાં ઉપયોગમાં લેવાય છે અને 12 ટકા GST ટેક્સ સ્લેબ હેઠળ આવે છે. સરકાર હવે વિચારી રહી છે કે આવી મોટાભાગની વસ્તુઓને 5 ટકા ટેક્સ સ્લેબમાં ટ્રાન્સફર કરી શકાય છે અથવા તેમના પર લાદવામાં આવેલા 12 ટકા સ્લેબને નાબૂદ કરી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રોજિંદા જીવનમાં વપરાતો મોટાભાગનો સામાન આ સ્લેબ હેઠળ આવે છે.

GST કાઉન્સિલની આગામી 56મી બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે અને GST કાઉન્સિલની આ બેઠક આ મહિને યોજાઈ શકે છે. જો સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવે તો, જૂતા, ચંપલ, મીઠાઈ, કપડાં, સાબુ, ટૂથપેસ્ટ અને ડેરી ઉત્પાદનો જેવી ઘણી વસ્તુઓ, જે હાલમાં 12 ટકા સ્લેબમાં છે, તે સસ્તી થઈ શકે છે. આ ઉપરાંત, ચીઝ, ખજૂર, સૂકા મેવા, પાસ્તા, જામ, પેકેજ્ડ ફળોનો રસ, નમકીન, છત્રી, ટોપી, સાયકલ, લાકડાના ફર્નિચર, પેન્સિલ, શણ અથવા કપાસમાંથી બનેલી હેન્ડબેગ, શોપિંગ બેગ પણ તેમાં શામેલ છે.

દેશમાં GST વર્ષ 2017માં લાગુ કરવામાં આવ્યો હતો અને છેલ્લા કાર્યકારી દિવસે, 1 જુલાઈએ, તેને આઠ વર્ષ પૂર્ણ થયા છે. દેશમાં GST દર GST કાઉન્સિલ દ્વારા નક્કી કરવામાં આવે છે અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ પણ તેમને બદલવાના કોઈપણ નિર્ણયમાં સામેલ છે. ભારતમાં GST સ્લેબ વિશે વાત કરીએ તો, હાલમાં ચાર GST સ્લેબ છે. 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા. અનાજ, ખાદ્ય તેલ, ખાંડ, નાસ્તો અને મીઠાઈઓ ઉપરાંત, સોના-ચાંદી અને અન્ય તમામ વસ્તુઓને વિવિધ શ્રેણીઓ અનુસાર આ ટેક્સ સ્લેબમાં રાખવામાં આવી છે.

GST મોરચે મોટી રાહતના સંકેતો સરકાર તરફથી પહેલેથી જ મળી રહ્યા છે. માર્ચ મહિનામાં, નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ કહ્યું હતું કે, GST ટેક્સ સ્લેબને તર્કસંગત બનાવવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી, GST દરો વધુ ઘટશે. ત્યારથી જ, GST ટેક્સ સ્લેબમાં ફેરફાર થવાની અપેક્ષા હતી અને હવે સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આગામી કાઉન્સિલની બેઠકમાં આ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.
Related Posts
Top News
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
શું ગુજરાતના વધુ એક ધારાસભ્ય AAP છોડવાની તૈયારીમાં છે?
11 વર્ષથી ભાજપ જેમના પર આરોપો લગાવે છે તે રોબર્ટ વાડ્રાની ધરપકડ કેમ નથી કરતી?
Opinion
