- Opinion
- કોઈ તમને નફરત કરે, તમારી ખોટી નિંદા કરે... તો દુઃખી/વિચલિત ના થવું
કોઈ તમને નફરત કરે, તમારી ખોટી નિંદા કરે... તો દુઃખી/વિચલિત ના થવું
(ઉત્કર્ષ પટેલ)
આપણા સૌના જીવનમાં ઘણીવાર એવું બને છે કે કોઈ વ્યક્તિ આપણને નફરત કરે, આપણા વિશે ખોટું બોલે, નિંદા કરે ત્યારે દુઃખી કે વિચલિત થવું એ સ્વાભાવિક છે. પરંતુ આપણે આ નકારાત્મકતાઓને શાંતિથી અને સમજદારીથી ઉકેલવી જોઈએ. નફરત અને નિંદા ઘણીવાર સામે વાળી વ્યક્તિની અંગત નબળાઈઓ, ઈર્ષ્યા કે ગેરસમજનું પરિણામ હોય છે જેનો આપણી સાથે સીધો કોઈજ સંબંધ હોતો નથી.
અહીં આપણે સમજવું જોઈએ કે દરેક વ્યક્તિનો પોતાનો વ્યક્તિગત દૃષ્ટિકોણ અને સમજ હોય છે. જો કોઈ આપણી નિંદા કરે છે તો તેનો અર્થ એ નથી કે આપણે ખરેખર ખરાબ છીએ. આપણે આપણી સારી બાબતો પર ધ્યાન આપવું જોઈએ અને આપણી જાણ્યે અજાણ્યે રહી જતી ખામીઓને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. નિંદાને રચનાત્મક ટીકા સ્વરૂપે સ્વીકારવી અને તેનો ઉપયોગ આપણી પ્રગતિ માટે કરવો એ સમજદારીનું લક્ષણ છે.

મારું વ્યક્તિગત માનવું છે કે નફરત કરનાર પ્રત્યે ગુસ્સો કે નફરત રાખવાને બદલે તેમના પ્રત્યે કરુણા દાખવવી જોઈએ. નફરત કરનાર વ્યક્તિ કદાચ પોતાની અંદરની ઈર્ષ્યાભાવ કે અશાંતિને કારણે આવું વર્તન કરી શકે છે. તેમની નકારાત્મકતા આપણા કાબૂમાં નથી પરંતુ આપણે આપણી લાગણીઓ વિચારો પર કાબુ કરી શકીએ છીએ. શાંત રહેવું અને નિંદાને અવગણવી એ આપણી માનસિક અને આંતરિક શાંતિ જાળવી રાખે છે. આધ્યાત્મિક દૃષ્ટિકોણથી નફરતને ક્ષમા અને પ્રેમથી જવાબ આપવો એ આપણી આંતરિક શક્તિ અને સંસ્કાર દર્શાવે છે.
મહાત્મા ગાંધીજીનું કથન “કોઈ તમારી નિંદા કરે તો દુઃખી ન થાઓ પરંતુ એ વિચારો કે તમે તેમનું ધ્યાન આકર્ષવા માટે પૂરતા મહત્વના છો” આ દ્રષ્ટાંત આપણને પ્રેરણા આપે છે.
આખરેતો આપણે આપણા આત્મસન્માન અને ધ્યેયો પર ધ્યાન આપવું જોઈએ. નફરત અને નિંદા આપણને ડગમગાવે નહીં પરંતુ આપણને વધુ મજબૂત બનાવે એવી માનસિકતા આપણે કેળવવી રહી. આપણું સાચું મૂલ્ય આપણી નૈતિકતા છે બીજાના મંતવ્યોમાં નહીં.

અગત્યનું:
આપણે જો સાચા અને સંસ્કારી છીએ તો આપણા માટે કોઈના અભિપ્રાય/પ્રમાણપત્ર ની આપણે જરૂર નથી.
અને હા આપણે કોઈની નફરત કરવી નહીં અને કોઈની સાચી/ખોટી નિંદા કરવી નહીં અને સાંભળવી પણ નહીં.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજસેવક છે.)

