- Governance
- એક વખત વપરાયેલા તેલમાં ભજીયા-ફરસાણ તળી શકાશે નહીં
એક વખત વપરાયેલા તેલમાં ભજીયા-ફરસાણ તળી શકાશે નહીં
ગુજ્જુ લોકો ફરસાણના બહુ શોખીન હોય છે. ખાસ કરીને તેલમાં બનતા ભજિયા, ફરસાણને ઝાપટવામાં પાવરધા હોય છે. ભજીયા તથા ફરસાણને તળવા માટે વેપારીઓ એક જ તેલનો વારંવાર ઉપયોગ કરે છે. એક જ તેલનો વારંવાર ઉપયોગ કરવો જોખમ અને બિમારીઓ જન્માવી શકે છે.
વારંવાર એકનું એક જ તેલ વાપરવું એટલું ખતરનાક હોય છે કે તેનાથી તમને કૅન્સર પણ થઇ શકે છે. જેના કારણે હવે આવા તેલ ઉપર પ્રતિબંધ લાવવા માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે વિશેષ કાયદો બનાવ્યો છે અને આ તેલ ખરાબ છે કે સારું તે ચેકિંગ કરવા માટે ખાસ હાઇટેક મશીન પણ લાવ્યા છે. આ મશીન વડે માત્ર 5ાંચ સેક્ન્ડમાં જાણી શકાશે કે આ તેલ કેટલું ઘાતક છે. આ કાયદો એક જુલાઇથી લાગુ થશે.
ફૂડ વિભાગના જણાવ્યા પ્રમાણે ભજિયા, ફાફડા કે અન્ય કોઇ ફરસાણમાં દુકાનદારો કયા તેલનો તળવા માટે ઉપયોગ કરી રહ્યા છે તેની સીધી રીતે ખબર પડતી નથી. કેટલીક મોટી અને બ્રાન્ડેડ દુકાનદારો તો દાવો કરે છે કે તેઓ શુદ્ધ તેલનો ઉપયોગ કરે છે. જો કે મોટાભાગનાં વેપારીઓ ફરસાણ તળવા માટે નવા તેલને બદલે એકથી વધુ વાર તળવામાં વપરાયેલું તેલ આખો દિવસ વાપરે છે, તેલ બદલતા નથી. જેના કારણે તે આર્સેજેનિક યુક્ત થઇ જાય છે. સાદી ભાષામાં કહીએ તો બળેલુ તેલ ઝેરી થઇ જાય છે, છતાં તેનો ઉપયોગ થતો હોય છે અને ગ્રાહકો પણ આવા તેલવાળી વસ્તુ ખૂબ જ સરળતાથી આરોગી લે છે, પરંતુ તેમને ખબર પણ નથી પડતી કે આવા તેલવાળી વસ્તુ કૅન્સર જેવા રોગો નોતરી શકે છે.
ભજીયા અને ફરસાણમાં ભેળસેળની ગંભીરતાને ધ્યાને રાખીને હવે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ટોટલ પોલરાઇઝેશન કાઉન્ટ એટલે કે ટીપીસી મશીન લાવ્યા છે. આ ટીપીસી મશીનની ખાસિયત એ છે કે તેલની અંદર તેનું નોઝલ નાખતા જ તેના ટીપીસી કાઉન્ટ દેખાશે, સમાન્ય રીતે 25 ટીપીસીની નીચેનો સ્કોર આવશે તો તેલ સારું કહેવાય અને 25થી ઉપર ટીપીસી કાઉન્ટ હોય તો તે ખરાબ તેલ કહેવાય છે. એક તેલનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે તો તેનું આરોગ્ય વેલ્યુ ખતમ થઇ જાય છે અને તેનું ટોટલ પોલરાઇઝ કાઉન્ટ વધી જાય છે. આ સિવાય તેમાં કોલેસ્ટ્રોલ વગેરે વધે છે. જો આવું તેલ પકડાશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

