- Gujarat
- સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પામ ઓઈલ, કેમિકલથી બનાવતા, કેવી રીતે ઓળખવું?
સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પામ ઓઈલ, કેમિકલથી બનાવતા, કેવી રીતે ઓળખવું?
ગુજરાતના સુરત શહેરમાંથી ખાદ્ય સુરક્ષાને લઈને એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત ખાદ્ય સુરક્ષા વિભાગ અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને શહેરની એક ડેરી યુનિટ પર દરોડા પાડ્યા હતા, જ્યાંથી અંદાજે 1400 કિલો નકલી અને શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
FSSAI લાયસન્સ વગર ચાલતું હતું કૌભાંડ
FSSAI દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શેર કરવામાં આવેલી માહિતી મુજબ, આ ડેરી યુનિટ માન્ય લાયસન્સ વગર ધમધમતું હતું. અધિકારીઓએ જણાવ્યું કે આ પનીર સ્વાસ્થ્ય માટે જોખમી કેમિકલ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હોવાની આશંકા છે. હાલ પનીરના સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કડક કાર્યવાહીના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું છે.

નકલી પનીર સ્વાસ્થ્ય માટે કેમ ખતરનાક?
પનીર પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત ગણાય છે, પરંતુ નફાખોરી માટે તેમાં સ્ટાર્ચ, ડિટર્જન્ટ, સિન્થેટિક દૂધ કે હાનિકારક કેમિકલ્સ ભેળવવામાં આવે છે. આવું પનીર ખાવાથી પાચનતંત્રની ગંભીર બીમારીઓ અને લાંબાગાળે સ્વાસ્થ્યને મોટું નુકસાન થઈ શકે છે.
તમે ખરીદેલું પનીર અસલી છે કે નકલી? આ રીતે કરો તપાસ:
સુરતની આ ઘટના બાદ ગ્રાહકોએ જાગૃત થવાની જરૂર છે. નિષ્ણાતોએ અસલી પનીર ઓળખવા માટે 5 સરળ રીતો જણાવી છે:
હાથથી મસળીને જુઓ: અસલી પનીરને હાથથી મસળતા તે આસાનીથી તૂટીને વિખેરાઈ જાય છે કારણ કે તેમાં કુદરતી ભેજ હોય છે. જો પનીર રબરની જેમ ખેંચાય અથવા ખૂબ સખત હોય, તો તે મિલાવટી હોઈ શકે છે.
આયોડિન ટિંક્ચર ટેસ્ટ: પનીરના ટુકડાને પાણીમાં ઉકાળી ઠંડુ કરો. ત્યારબાદ તેના પર આયોડિન ટિંક્ચરના થોડા ટીપાં નાખો. જો પનીરનો રંગ વાદળી થઈ જાય, તો તેમાં સ્ટાર્ચની ભેળસેળ છે તે નક્કી છે.
ઉકાળીને તપાસો: પનીરને પાણીમાં ઉકાળી તેમાં મગની દાળનો પાવડર અથવા સોયાબીન પાવડર નાખો. 10 મિનિટ પછી જો પનીરનો રંગ લાલ કે ગુલાબી થવા લાગે, તો તેમાં યુરિયા હોવાની પૂરી શક્યતા છે.

સ્વાદ અને સુગંધ: શુદ્ધ પનીરમાં દૂધ જેવી કુદરતી સુગંધ હોય છે. જ્યારે સિન્થેટિક પનીરમાં ડિટર્જન્ટ કે સાબુ જેવી ગંધ આવી શકે છે અને ચાખવામાં તે કડવું કે સ્વાદવિહીન લાગે છે.
તવા પર ગરમ કરો: પનીરને તવા પર ગરમ કરતા જો તે પાણી છોડે અને નરમ બને તો તે અસલી છે. નકલી પનીર ખૂબ ઝડપથી બળી જાય છે અને તેમાંથી અજીબ ગંધ આવે છે.
ખાદ્ય વિભાગે લોકોને અપીલ કરી છે કે હંમેશા ભરોસાપાત્ર અને લાયસન્સ ધરાવતી ડેરી પરથી જ ખાદ્ય સામગ્રીની ખરીદી કરવી.

