- Gujarat
- નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છ...
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ
7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ' ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના નાટકનો શૉ યોજાવાનો હતો, પરંતુ શૉ શરૂ થાય તે અગાઉ જ નાટકના વિષયવસ્તુને લઈને વિવાદ ઉભો થઇ ગયો હતો. 'રાજકોટ શહેર કોંગ્રેસ' અને NSUIના કાર્યકરોએ મોટી સંખ્યામાં હોલ પર ધસી જઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ જામનગર અને અમદાવાદમાં પણ આ શૉ રદ કરવામાં આવ્યો હતો.
આ વિવાદ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, ‘આ ગાંધીનું ગુજરાત છે. આપણે ગૌરવ લઈએ છીએ કે સત્ય, પ્રેમ અને અહિંસાના માર્ગે ચાલવાનો જે પથ ગાંધીજીએ બતાવ્યો, તેના પર માત્ર ગુજરાત કે ભારત જ નહીં, પરંતુ આખું વિશ્વ ચાલવા તત્પર છે. વિશ્વભરના લોકો ગાંધીજીની પ્રતિમાઓ મૂકે છે અને તેમાંથી પ્રેરણા મેળવે છે. આ ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર, જે RSS થી ચાલે છે, તે ગુજરાતમાં ગાંધીજીનું સન્માન કરવાને બદલે, ગોડસેની વાહવાહી કરતા નાટકોને મંજૂરી આપે છે. રાજકોટ, ભાવનગર, જામનગર કે અમદાવાદમાં આવા કાર્યક્રમો માટે પરવાનગી કોણ આપે છે?’
તો આ વિવાદને લઈને ‘હું નાથુરામ ગોડસે’ના પ્રોડ્યુસર અને ડિરેક્ટરે પણ પ્રતિક્રિયા આપી છે. દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ, પ્રોડ્યુસર સેજલ પેન્ટરે મહાત્મા ગાંધીના પરિવારજનોને પૂછવાને લઈ કહ્યું કે, આ નાટક વિશે તુષાર ગાંધી કે ગાંધી પરિવારને પૂછવામાં આવ્યું નથી, પરંતુ લેખક (જેઓ હયાત નથી) તેમના પત્નીની મંજૂરી લેવામાં આવી છે. મરાઠીમાં આ નાટક છેલ્લા 25 વર્ષથી ચાલે જ છે. અભિવ્યક્તિના નામે રચાયેલું આ નાટક ગાંધીજીનું અપમાન છે કે નહીં? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, લોકો આ નાટક જોયા વિના જ પોતાના અભિપ્રાય આપી દેતા હોય છે. પરંતુ લોકોએ આ નાટક જોવું જોઈએ કારણ કે આમાં અમે ગાંધીજીનું અપમાન કર્યું નથી. હું પણ ગાંધીજીને માનુ છું.
રાજકોટમાં જે ગાંધીવાદીઓએ જે હિંસા કરી તેને કારણે અત્યારે આ સિચ્યુએશન ઊભી થઈ છે કારણ કે ગાંધીજીના નામે હિંસા કરીને નથુરામને કે અમે જે નાટક રજૂ કર્યું છે તે આર્ટિસ્ટોને આતંકવાદી કહેવા એ યોગ્ય નથી. લોકો જો ગાંધીવાદી હોય તો ગાંધીજીના માર્ગે ચાલવું જોઈએ.
ડિરેક્ટર ભરત દાભોલકર અને પ્રોડ્યુસર સેજલ પેન્ટરે કહ્યું કે, નથુરામ ગોડસે નાટક છેલ્લા દોઢ વર્ષથી હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી એમ 3 ભાષાઓમાં રજૂ થઈ રહ્યું છે. અત્યાર સુધી મુંબઈમાં અંદાજે 50 જેટલા શૉ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. આ ઉપરાંત કોલકાતા, પુણે, દિલ્હી અને ઉદયપુરમાં પણ તેને સારો પ્રતિસાદ મળ્યો છે. તેમજ સુરત, વડોદરા અને ભાવનગરમાં પણ શૉ કર્યા છે, જ્યાં લોકોએ તેને ખૂબ જ પ્રશંસા કરી છે.
નાટકના પાયા વિશે વાત કરતા ડિરેક્ટર ભરત દાભોલકરે જણાવ્યું કે, ‘જ્યારે ગાંધીજીની હત્યા થઈ ત્યારે જે કોર્ટ કેસ ચાલ્યો તેને તત્કાલીન સરકાર દ્વારા સેન્સર કરવામાં આવ્યો હતો. નથુરામનું 10 પાનાંનું કન્ફેશન બહાર આવવા દેવાયું નહોતું. અમે આ નાટક બે મુખ્ય પુસ્તક પ્રકાશ શ્રીવાસ્તવનું પુસ્તક 'હે રામ', જે તેમણે 18 વર્ષના રિસર્ચ બાદ લખ્યું છે. નથુરામને ફાંસીની સજા આપનાર ચીફ જસ્ટિસનું પુસ્તક 'ધ મર્ડર ઓફ મહાત્મા' આધારે તૈયાર કર્યું છે. આ નાટકમાં દર્શાવવામાં આવ્યું છે કે નથુરામ ગાંધીજીનો દુશ્મન નહોતો પણ તેમનો ભક્ત હતો. તે ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતોનો આદર કરતો હતો. નાટકમાં એક સંવાદ છે જ્યાં નથુરામ કહે છે કે, હું ગાંધીજીનો ફેન છું.
ભરત દાભોલકરે સ્પષ્ટતા કરી કે, અમે કોઈની હત્યાનું સમર્થન નથી કરતા. નાટકમાં ગોડસે પોતે કહે છે કે, મેં ગાંધીજીને માર્યા છે તો મને જીવવાનો કોઈ અધિકાર નથી. મને ફાંસી થાય એ યોગ્ય છે. જ્યારે નથુરામના કોર્ટ કન્ફેશનની દરેક ફાઈલ ફાડી દેવામાં આવી હતી અને એવું જણાવવામાં આવ્યું હતું કે નથુરામ વિશે કોઈએ કશું લખવું નહીં. અમે નાટકની અંદર જે કોર્ટનો સીન બતાવ્યો છે તેમાં પણ નથુરામે શું કહ્યું છે તે જ બતાવી રહ્યા છીએ. અમે નથુરામને સપોર્ટ કરી રહ્યા નથી.
આ નાટકનો ડિરેક્ટર બોલ્યો હતો કે દરેક વસ્તુની બે બાજુ હોય છે. જો હિસ્ટ્રીમાં આવો કોઈ બનાવ બન્યો હયો તો બતાવવા માંગીએ છીએ કે હિસ્ટ્રીમાં નથુરામનો પોઈન્ટ ઓફ વ્યૂ આ રીતનો હતો. અમે એને સપોર્ટ કરતા નથી. અમે ફક્ત નથુરામનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ
ડિરેક્ટરે આઝાદીની લડત પર વાત કરતા કહ્યું કે, ‘દેશની સ્વતંત્રતા માટે ગાંધીજીથી લઈને નહેરુજી સુધી દરેકનું યોગદાન હતું. નથુરામ પણ પેપર લખતો હતો. આમાંથી કોણ મોટું અને કોણ નાનું તે આપણે નક્કી ન કરી શકીએ.

