- Gujarat
- સાબરકાંઠામાં ભાજપમાં ભડકો, 15 કોર્પોરેટરોના સામૂહિક રાજીનામાથી રાજકારણ ગરમાયું
સાબરકાંઠામાં ભાજપમાં ભડકો, 15 કોર્પોરેટરોના સામૂહિક રાજીનામાથી રાજકારણ ગરમાયું
સાબરકાંઠાના પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપનો આંતરિક વિખવાદ આખરે ચરમસીમાએ પહોંચ્યો છે અને જાહેરમાં સપાટી પર આવ્યો છે. ભાજપના 15 કોર્પોરેટરોએ સામૂહિક રાજીનામું આપ્યાનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા અને દોડધામ મચી ગઈ છે. રાજીનામું આપનાર કોર્પોરેટરોએ નગરપાલિકાના પ્રમુખ અનિતા પંડ્યા અને તેમના પતિ જિજ્ઞેશ પંડ્યા પર મનમાની કરવાનો તેમજ એકહથ્થું વહીવટ ચલાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
રાજીનામું આપનાર કોર્પોરેટરોનો આરોપ છે કે, નગરપાલિકામાં તમામ નિર્ણયો લોકશાહી ઢબે લેવાને બદલે મનસ્વી રીતે લેવામાં આવી રહ્યા છે. કોઈપણ વિકાસકામો કે વહીવટી પ્રક્રિયામાં ચૂંટાયેલા સભ્યોની સતત અવગણના કરવામાં આવી રહી છે. પ્રમુખ અને તેમના પતિ દ્વારા પક્ષના જ સભ્યોને વિશ્વાસમાં લીધા વિના વહીવટ ચલાવવામાં આવતો હોવાથી નારાજ થઈને આખરે 15 કોર્પોરેટરોએ એકસાથે રાજીનામા ધરી દીધા છે.

શું છે પ્રાંતિજ નગરપાલિકાનું ગણિત?
પ્રાંતિજ નગરપાલિકામાં કુલ 24 બેઠકો આવેલી છે, જેમાંથી ભાજપ પાસે 19 બેઠકો સાથે સ્પષ્ટ અને મજબૂત બહુમતી છે. આવા અનુકૂળ સમયે જ 19માંથી 15 કોર્પોરેટરોએ સામૂહિક બળવો કરતાં ભાજપ સંગઠન માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. જોકે, આ રાજીનામા સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યા છે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કે સ્પષ્ટતા થઈ નથી.
એકસાથે આટલી મોટી સંખ્યામાં સભ્યોના બળવાને કારણે ભાજપનું ઉચ્ચ સંગઠન પણ ચોંકી ઊઠ્યું છે. આ સાગમટે થયેલા વિરોધ પાછળના અસલી કારણો શું છે અને આ આખા પ્રકરણમાં પડદા પાછળથી કોણ દોરીસંચાર કરી રહ્યું છે, તે જાણવા માટે સંગઠન દ્વારા આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ભાજપ સંગઠન દ્વારા આ આંતરિક વિખવાદને સત્ત્વરે અને શાંતિપૂર્વક થાળે પાડવા માટે ભારે કવાયત હાથ ધરવામાં આવી છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, નગરપાલિકામાં પ્રમુખ પદની પસંદગી વખતે પણ શરૂઆતથી જ પક્ષના આંતરિક જૂથોમાં ભારે ખેંચતાણનો માહોલ હતો. એ સમયે દબાયેલો અસંતોષ હવે આ સામૂહિક રાજીનામાં સ્વરૂપે ઉગ્ર બનીને બહાર આવ્યો છે. આ ઘટનાથી પ્રાંતિજના સ્થાનિક રાજકારણમાં મોટો ખળભળાટ મચી ગયો છે.
હવે જોવાનું એ રહેશે કે ભાજપનું મોવડી મંડળ આટલી મોટી સંખ્યામાં થયેલા આ બળવાને કેવી રીતે શાંત પાડે છે, નારાજ કોર્પોરેટરોને મનાવવા માટે શું પ્રયાસો થાય છે અને આ વિવાદનો આખરી અંત કેવો આવે છે. પક્ષની અંદરની આ નારાજગી આગામી સમયમાં કેવું વળાંક લે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

રાજીનામા આપનારા સભ્યોએ લેટરમાં લખ્યું છે કે પ્રાંતિજ નગરપાલિકાના મહિલા પ્રમુખ તથા તેમના પતિ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ચુંટાયેલા સદસ્યો તથા ચેરમેનશ્રીઓ સાથે ભારે અસભ્ય વર્તન દાખવી રહ્યા છે. નગરપાલિકામાં નગરપાલિકાના અધિકારીઓ સાથે મળી જઈ ગંભીર ગેરરીતીઓ કરી વ્યાપક ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. જેની વિગતવાર વિગતો આપ સાહેબશ્રીને જરૂરી આધાર-પુરાવા સાથે અમો લોકોએ સામૂહિક રીતે આપ સાહેબને જાણ કરેલ છે છતાં આજે પણ પ્રમુખ અને તેમના પતિ મનસ્વી વર્તન દાખવી રહ્યા છે. જીલ્લા કક્ષાએથી આપવામાં આવતી તથા સંકલનની બેઠકમાં લીધેલ નિર્ણયોનું પાલન કરતા નથી. નગરપાલિકાના રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત થયેલ કર્મચારીઓ નગરપાલિકાના વિકાસલક્ષી કામોમાં પ્રમુખના પતિની સીધી જ સુચનાઓ આધારીત વ્યાપક ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. વિભાગીય અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી કારોબારી સમીતીની મંજુરી મેળવ્યા સિવાય કરેલ ખરીદ પ્રક્રિયાના બીલોનું ચુકવણું પણ કરવામાં આવી રહ્યું છે. પ્રમુખશ્રી નગરપાલિકામાં આવતા જ નથી તેમના પતિ પોતે નગરપાલિકામાં આવી વિભાગીય અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી મનમાની કરી ગેરકાયદેસર કામ કરી રહ્યા છે.
લેટરમાં લખાયું છે કે અગાઉ પ્રમુખશ્રીના પતિ પંડ્યા જીનેશભાઈ કૌશિકભાઈ સને.2009/10 માં પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે પણ તેમના વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત થઈ હતી.
અમો ભારતીય જનતા પાર્ટીના ચુંટાયેલા કાઉન્સિલરો નગરહિતમાં અને પાર્ટીના હિતમાં પ્રમુખશ્રીના ગેરવર્ણતુક અનુસંધાને સામૂહિક રાજીનામું આપીએ છીએ.

