- National
- જેણે CBSEની પોલ ખોલેલી તે 19 વર્ષીય નિસર્ગ અધિકારીને IITએ નોકરી ઓફર કરી
જેણે CBSEની પોલ ખોલેલી તે 19 વર્ષીય નિસર્ગ અધિકારીને IITએ નોકરી ઓફર કરી
CBSEની ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) સિસ્ટમમાં નબળાઈઓ ઉજાગર કરનાર 19 વર્ષીય નિસર્ગ અધિકારીને IIT કાનપુરે નોકરી ઓફર કરી છે. IITએ તેને ડિગ્રી ન હોવા છતાં 'ઇન્ટેલિજન્સ એન્જિનિયર'ની પોસ્ટ ઓફર કરી છે; નિસર્ગે આ ઓફર સ્વીકારી પણ લીધી છે. તેણે હમણાં જ ધોરણ 12ની પરીક્ષા પાસ કરી છે અને હજુ સુધી કોઈ કોલેજમાં પ્રવેશ મેળવ્યો નથી.
આજ તકના અહેવાલ મુજબ, IIT કાનપુરે નિસર્ગની પોતાના ટેકનોલોજી ઇનોવેશન હબ (C3iHub)માં 'ઓપન-સોર્સ ઇન્ટેલિજન્સ (OSINT) અને થ્રેટ ઇન્ટેલિજન્સ એન્જિનિયર'ની પોસ્ટ પર નિમણૂક કરી છે. નિમણૂક અંગે ટિપ્પણી કરતા IIT કાનપુરના ડિરેક્ટર મનિન્દ્ર અગ્રવાલે કહ્યું કે, ‘મેં 22 મેના રોજ નિસર્ગનો બ્લોગ પોસ્ટ વાંચ્યો હતો, જેમાં CBSEના 'ઓન-સ્ક્રીન માર્કિંગ' (OSM) પોર્ટલની સુરક્ષા કેવી રીતે ભંગ થઈ શકે છે તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. બ્લોગ વાંચ્યા પછી, અમે નિસર્ગ અધિકારીને અમારી સાયબર સુરક્ષા ટીમમાં એન્જિનિયર તરીકે નિયુક્ત કર્યો છે. મને ખાતરી નથી કે તે IIT કાનપુરમાં સૌથી યુવાન કર્મચારી છે કે નહીં, પરંતુ તે ચોક્કસપણે સંસ્થા દ્વારા નિયુક્ત કરાયેલા સૌથી યુવાન એન્જિનિયરોમાંનો એક છે. તેની પાસે ગજબની પ્રતિભા છે, પરંતુ તેણે હજુ ઘણું શીખવાનું બાકી છે, અને IIT કાનપુર તેને તે માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડશે.’
શું વિવાદ હતો, જેણે CBSEને બેકફૂટ પર લાવી દીધું હતું?
નિસર્ગ અધિકારી એક એથિકલ હેકર છે જેણે તાજેતરમાં CBSEમાંથી ધોરણ 12ની પરીક્ષા પાસ કરી છે. તે અગાઉ અનેક સ્ટાર્ટઅપ્સ સાથે કામ કરી ચૂક્યો છે. નિસર્ગે CBSEના OSM પોર્ટલમાં પાંચ અત્યંત ગંભીર સુરક્ષા ખામીઓ શોધી કાઢી હતી. આ પોર્ટલનો 'માસ્ટર પાસવર્ડ' પ્લેન ટેક્સ્ટ એટલે કે કોઈપણ સુરક્ષા કોડિંગ વિના સેવ હતો. આનાથી કોઈપણ વપરાશકર્તા 'ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન' વિના સિસ્ટમમાં સીધી ઍક્સેસ મેળવી શકતો હતો.
નિસર્ગ અધિકારીએ 25 ફેબ્રુઆરીએ દેશની સાયબર સુરક્ષા એજન્સી, ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In)ને પણ આ અંગે ફરિયાદ કરી હતી; જોકે, ત્યારે બોર્ડે આ બાબતને ગંભીરતાથી લીધી નહોતી અને માત્ર એક ખામી સુધારી હતી. બાદમાં, વિવાદ વધતા આખું પોર્ટલ બંધ કરવું પડ્યું હતું.
24 મેના રોજ, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની સૂચના પર જ્યારે IIT મદ્રાસ અને IIT કાનપુરના ચાર નિષ્ણાતોની ટીમ સિસ્ટમની ખામીઓને દૂર કરવા માટે CBSE મુખ્યાલય પહોંચી હતી. તો, IIT કાનપુરના ડિરેક્ટર મણીન્દ્ર અગ્રવાલે દિલ્હીમાં નિસર્ગ અધિકારીને વ્યક્તિગત રીતે મળ્યા અને તેમની ક્ષમતાઓથી પ્રભાવિત થઈને તરત જ તેને નોકરીની ઓફર કરી.
ભલે IIT કાનપુરે નિસર્ગને પદની ઓફર કરી છે, પરંતુ તે પગાર પેકેજથી સંપૂર્ણપણે સંતુષ્ટ નથી. નિસર્ગનું કહેવું છે, ‘હું ખૂબ જ ઉત્સાહિત છું કારણ કે, પહેલી વાર હું સંપૂર્ણપણે સુરક્ષા પર કેન્દ્રિત ભૂમિકામાં કામ કરીશ. જોકે, પગાર મારી અપેક્ષા કરતા થોડો ઓછો છે; કારણ કે અત્યાર સુધી અમેરિકન સ્ટાર્ટઅપ્સ સાથે પ્રોજેક્ટ્સ પર કામ કરવા અને ડોલરમાં કમાણી કરવાની આદત રહી છે, એટલે રૂપિયા અને ડૉલર રૂપાંતરને કારણે નુકસાન થોડા અંશે નિરાશાજનક છે. હાલ માટે, નિસર્ગ અધિકારીનો કોઈ કોલેજમાં પ્રવેશ લેવાનો કોઈ ઈરાદો નથી. તેનું કહેવું છે કે તેને શૈક્ષણિક અભ્યાસમાં બહુ રસ નથી.

