- National
- RSS સાથે કનેક્શન, IITનો અભ્યાસ..., કોણ છે જગદીશ આફલે, જેમને રામ મંદિર ટ્રસ્ટના પ્રથમ સચિવ બનાવાયા?
RSS સાથે કનેક્શન, IITનો અભ્યાસ..., કોણ છે જગદીશ આફલે, જેમને રામ મંદિર ટ્રસ્ટના પ્રથમ સચિવ બનાવાયા?
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે સંગઠનાત્મક પુનર્ગઠનમાં મોટો ફેરફાર કરતા જગદીશ આફલે ટ્રસ્ટના પ્રથમ સચિવ તરીકે નિમણૂક કરી છે. તેમની નિમણૂક પર ઔપચારિક મંજૂરી 2 સપ્ટેમ્બરના રોજ યોજાનારી ટ્રસ્ટની બેઠકમાં આપવામાં આવશે. જો કે, પહેલાથી જ ટ્રસ્ટ માટે તેમની નિમણૂક અધિકૃત સહીકર્તા (Authorized Signatory) તરીકે કરવામાં આવી છે, અને આ અંગેનો એક નવો પ્રસ્તાવ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ને મોકલવામાં આવ્યો છે.
ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ખજાનચી ડૉ. અનિલ મિશ્રાના રાજીનામા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બંનેએ પદ છોડતા ટ્રસ્ટના બેંક ખાતાઓના સંચાલન અને અધિકૃત સહીકર્તાઓ અંગે મડાગાંઠ સર્જાઈ હતી. ટ્રસ્ટના નવા પ્રસ્તાવ બાદ, SBIએ ખાતાઓનું સંચાલન ફરી શરૂ કર્યું છે, જેનાથી ટ્રસ્ટનું નાણાકીય કામકાજ સામાન્ય થઈ ગયું છે. અધિકૃત સહીકર્તા ન હોવાને કારણે આશરે 1,000 કર્મચારીઓના પગાર અને વિવિધ બાંધકામ એજન્સીઓ અને સેવા પ્રદાતાઓને ચૂકવણી પ્રભાવિત થઇ રહી હતી. હવે નવી દરખાસ્ત લાગૂ થતા આ ચુકવણી પ્રક્રિયાઓ હવે ફરી શરૂ થઈ શકે છે.
કોણ છે જગદીશ આફલે?
જગદીશ આફલે લાંબા સમયથી રામ મંદિર બાંધકામ પ્રોજેક્ટના પ્રોજેક્ટ મેનેજર તરીકે જોડાયેલા રહ્યા છે. અત્યાર સુધી, તેઓ પગાર લીધા વિના આ જવાબદારી નિભાવી રહ્યા હતા. આફલે બાળપણથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે સંકળાયેલા રહ્યા છે. વ્યવસાયે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને તેમણે IIT મુંબઇથી B.Tech અને M.Techની ડિગ્રી હાંસલ કરી છે. તેઓ વિદેશોમાં વિવિધ મલ્ટીનેશનલ કંપનીઓમાં પણ સેવા આપી ચૂક્યા છે. તેમણે યુરોપ અને અમેરિકમાં નોકરી કરી છે અને નિવૃત્તિ પછી ભારત પાછા ફર્યા. તેઓ તેમની પત્ની સાથે અયોધ્યા તીર્થક્ષેત્રમાં જ રહે છે.
ટ્રસ્ટના વચગાળાના મહાસચિવ કૃષ્ણ મોહને જણાવ્યું હતું કે, પ્રવક્તાની નિમણૂકની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે, અને ટૂંક સમયમાં નામની જાહેરાત થઈ શકે છે. મુખ્ય કાર્યકારી અધિકારી (CEO)ની પસંદગીમાં થોડો સમય લાગી શકે છે. આ કારણે, ટ્રસ્ટના વહીવટી અને નાણાકીય કામગીરીને સરળ રીતે ચલાવવા માટે સચિવનું નવું પદ બનાવવામાં આવ્યું છે.
સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલને કહ્યું કે તેઓ ઉત્તર પ્રદેશ સરકારને પૂછીને જણાવે કે શું રામ મંદિર દાન કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની પુનર્ગઠન કરી શકાય છે?. CJI સૂર્ય કાંતે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ ઇચ્છશે કે આ તપાસનું નેતૃત્વ કોઇ એવા વરિષ્ઠ IPS અધિકારી કરે, જેમને આ પ્રકારની તપાસ કરવાનો અનુભવ હોય.

