- Gujarat
- ગુજરાતી ગાયિકા કિંજલ રબારી કેસમાં અશોક ચૌધરીની ધરપકડ પર ગુજરાત હાઈકોર્ટનો સ્ટે
ગુજરાતી ગાયિકા કિંજલ રબારી કેસમાં અશોક ચૌધરીની ધરપકડ પર ગુજરાત હાઈકોર્ટનો સ્ટે
અમદાવાદના ચાંદખેડામાંથી ગાયિકા કિંજલ રબારીનું 6 સપ્ટેમ્બરે અપહરણ થયા બાદ નવા-નવા વળાંક આવી રહ્યા છે. પતિ મુકેશ દેસાઈની ફરિયાદ બાદ કિંજલનો એક વીડિયો સામે આવ્યો. જેમાં કિંજલે સ્વેચ્છાએ ગઈ હોવાનું અને અપહરણની વાત નકારી હતી. ત્યારબાદ એક અરજી પણ પોલીસ કમિશનરને કરવામાં આવી. આ બધા વચ્ચે કિંજલ રબારી હાઇકોર્ટમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પતિ અશોક ચૌધરી સાથે હાજર થઈ હતી.
ગાયિકા કિંજલ રબારીને કોર્ટે પૂછ્યું કે તમે તમારી મરજીથી રહો છો? જવાબમાં કિંજલે કહ્યું હા મારી મરજીથી રહું છે. કોર્ટે પૂછ્યું તમને કોઈએ કીડનેપ નથી કર્યા ને, જેના જવાબમાં કિંજલે કહ્યું કે, ના કોઇએ કીડનેપ નથી કરી. કિંજલે કહ્યું છે કે પહેલા પણ તેના માટે હેબિયસ કૉર્પસ અરજી ફાઇલ થઈ હતી, પરંતુ પરિવારના દબાણમાં પતિ અશોક ચૌધરી સાથે જવાની ના પાડીને પરિવાર સાથે રહી હતી. તેના વકીલના જણાવ્યા અનુસાર કિંજલ 24 વર્ષની છે અને પતિ અશોક ચૌધરી સાથે રહેવા માંગે છે.
કોર્ટે કહ્યું છે કે બંને અરજદારોને જીવનું જોખમ છે, ત્યારે પોલીસ કમિશનરને તેમના જીવનની રક્ષા માટે સરકારી વકીલ સૂચના આપે. ચાંદખેડા પોલીસ મથકે નોંધાયેલી FIR પર આગળ કાર્યવાહી માટે હાઇકોર્ટે સ્ટે આપ્યો છે. ફરિયાદી અને પોલીસ સહિતનાને કોર્ટે ફોર્મલ નોટિસ આપી છે. આ મામલે વધુ કાર્યવાહી આગામી સમયમાં થશે.
ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, કિંજલ રબારી અપહરણ કેસમાં અશોક ચૌધરીને ગુજરાત હાઈકોર્ટે રાહત આપી છે. કિંજલ રબારીએ સમાજની મરજી વિરુદ્ધ જઈને અશોક ચૌધરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે, 12 ઓગસ્ટના રોજ પરિવારે કિંજલ રબારીના ગોતરકા ગામના નરસિંહ ઉર્ફે મુકેશ રબારી સાથે કરાવી દીધા હતા. આ સાથે તેના પહેલા લગ્નના છૂટાછેડાનો કેસ પણ કોર્ટમાં ચાલી રહ્યો હતો. આ બધા વચ્ચે કિંજલનું અપહરણ થયાની ચર્ચા પણ ચાલી હતી. જોકે, આ વિવાદ બાદ કિંજલે જાતે જ કહ્યું હતું કે, તે પોતાના પહેલા પતિ અશોક ચૌધરી સાથે મરજીથી ગઈ છે તેનું અપહરણ કરવામાં નથી આવ્યું. ત્યારબાદ આજે કિંજલ રબારીના પહેલા પતિ અશોક ચૌધરીની ધરપકડ પર ગુજરાત હાઈકોર્ટે સ્ટે મૂકી દીધો છે.
કિંજલ રબારીના અપહરણ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અશોક ચૌધરી સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં કથિત અપહરણ કેસમાં હાઈકોર્ટના આદેશથી અશોક ચૌધરીને મોટી રાહત આપવામાં આવી છે.
પોલીસ ફરિયાદમાં 2 મે 2024ના રોજ કિંજલ અને અશોક ચૌધરીના પ્રેમ લગ્નનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પંચમહાલના કાલોલ તાલુકાના ઘુસર ગામે બંનેની સહમતિથી લગ્ન થયાનું પણ લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. છૂટાછેડાનો કેસ રાધનપુર ફેમિલી કોર્ટમાં ચાલુ હોવા છતા ફરી લગ્ન કરાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે લગ્ન અને કોર્ટ કેસને લઈને નવા સવાલો ઉભા થયા છે. કિંજલ રબારીએ પોલીસ કમિશનર કચેરીમાં એક પત્ર લખ્યો છે. તેમાં તેમણે અશોક ચૌધરી સાથે પોતાની મરજીથી ગઈ હોવાનું અને પોતાનું બળજબરીથી અપહરણ થયું ન હોવાનું જણાવ્યું હોવાનું સામે આવ્યું છે. પંચમહાલના કાલોલ તાલુકાના ઘુસર ગામે બંનેની સહમતિથી લગ્ન થયાનો પણ પત્રમાં ઉલ્લેખ હોવાનો દાવો છે.
સમગ્ર વિવાદને વધુ વેગ ત્યારે મળ્યો જ્યારે કિંજલ રબારી અને મુકેશ રબારી અન્ય સગા સાથે ચાંદખેડાના CBD મોલમાં ફિલ્મ જોવા ગયા હતા. ફરિયાદ મુજબ, રવિવારે બપોરે મોલની બહાર કેટલાક શખ્સોએ મુકેશને પકડી રાખ્યો હતો અને કિંજલને SUV કારમાં બેસાડીને લઈ ગયા હતા. ઘટનાની જાણ થતા ચાંદખેડા પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા મોલ અને આસપાસના CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. ફરિયાદી દ્વારા આ ઘટનામાં અશોક ચૌધરી પર શંકા વ્યક્ત કરવામાં આવી છે અને પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અપહરણના કિસ્સામાં અગાઉ કિંજલનો એક વીડિયો સામે આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ કમિશનરને પણ અરજી કરવામાં આવી હતી. હવે હાઇકોર્ટ સમક્ષ ગાયિકાએ પોતે સ્વેચ્છાએ પતિ સાથે હોવાનું સ્પષ્ટ કરતાં અપહરણની ફરિયાદ સંપૂર્ણપણે શંકાસ્પદ ઠરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટે મોટી રાહત આપતાં અશોક ચૌધરીની ધરપકડ પર રોક (સ્ટે) લગાવી દીધો છે, જેથી હાલ પોલીસ તેમની સામે કોઈ કડક ધરપકડની કાર્યવાહી કરી શકશે નહીં.

