- National
- ભાજપના બુલડોઝર પોલિટિક્સથી દેશભરના 9થી વધુ રાજ્યોમાં પ્રાદેશિક પાર્ટીઓનો કચ્ચરઘાણ
ભાજપના બુલડોઝર પોલિટિક્સથી દેશભરના 9થી વધુ રાજ્યોમાં પ્રાદેશિક પાર્ટીઓનો કચ્ચરઘાણ
ભારતીય જનતા પાર્ટીના બુલડોઝર પોલિટિક્સથી દેશભરની મોટાભાગની પ્રાદેશિક પાર્ટીઓનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. જે પાર્ટીઓ જે તે રાજ્યમાં પોતાની સરકારો લઇને બેઠી હતી તે હવે હાંસિયામાં ધકેલાઇ ગઇ છે. દેશમાં હવે માત્ર 2 જ મોટા રાજ્યો છે જ્યાં પ્રાદેશિક પક્ષોની પોતાના બળે સરકાર છે. શું આગામી સમયમાં પ્રાદેશિક પક્ષો ખતમ થઇ જશે. શું માત્ર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બે જ પાર્ટીઓથી દેશ ચાલશે?
પશ્ચિમ બંગાળઃ હાલમાં પાંચ રાજ્યોમાં ચૂંટણીઓના પરિણામ આવ્યા છે. જેમાં સૌથી ચર્ચાસ્પદ પરિણામ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસનું છે. ટીએમસીની હાર પછી એ સવાલ ઊભો થઇ રહ્યો છે કે હવે તૃણમૂલ પાર્ટી બચશે કે નહીં. કારણ કે આપણે નજીકના ભૂતકાળમાં જોયું છે. પહેલા પ્રાદેશિક પાર્ટીઓ ચૂંટણી હારે છે પછી ધીરે ધીરે તે ખતમ થવાને આરે આવી જાય છે.
મહારાષ્ટ્રઃ આપણે સૌથી પહેલા અને મોટું ઉદાહરણ જોઇએ તો મહારાષ્ટ્રમાં શિવસેનાનુ છે. શિવસેનામાં ભાગલા પડ્યા એટલે તેની શક્તિ લગભગ ખતમ થઇ ગઇ. હવે બે ભાગમાં ચાલી રહેલી શિવસેના નખ અને દાંત વગરના વાઘ જેવી છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના પાસે વિધાનસભામાં કુલ 288માંથી 20 જ સીટ છે. મહારાષ્ટ્રમાં જ શરદ પવાર જેવા મોટા નેતાની એનસીપી પણ લગભગ ખતમ થવાના આરે ઊભી છે. આ પાર્ટીને પણ વિધાનસભામાં માત્ર 10 સીટ મળી હતી.
કર્ણાટકઃ કર્ણાટકમાં પણ દેવગોવડાની પાર્ટી જનતા દલ સેક્યુલરની 224માંથી માત્ર 18 સીટ છે. એક સમયે જેડીએસ કિંગ અથવા કિંગ મેકર પાર્ટી હતી. કર્ણાટકમાં હાલ ભારતીય જનતા પાર્ટીનું રાજ નથી. કોંગ્રેસ રાજ કરે છે પરંતુ તે મુખ્ય વિપક્ષ તરીકે ત્યાં છે. આગામી સમયમાં કોંગ્રેસની સરકાર પાડીને ભાજપની આવી જાય તો નવાઇ નહીં.
ઓડિશાઃ ઓડિશામાં બીજુ જનતા દલનું 30 વર્ષથી વધુ સમયથી શાસન હતું ત્યાં હવે ભારતીય જનતા પાર્ટીનું રાજ છે.
આસામ અને ઉત્તરપૂર્વના રાજ્યોઃ આસામમાં હાલ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. બીજી નાની પાર્ટીઓ પાસે વધુમાં વધુ 10 બેઠકો જ છે. એટલે હાલમાં તો ભારતીય જનતા પાર્ટીનો દબદબો ઉત્તર પૂર્વના મોટાભાગના રાજ્યોમાં છે.

બિહારઃ બિહારમાં એક સમયે નીતિશ કુમાર અને લાલુપ્રસાદ યાદવની પાર્ટીઓનો દબદબો હતો. હાલમાં ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. નીતિશ કુમારની પાર્ટી ભલે ભાજપની સાથે છે પરંતુ ક્યારે તે શિવસેનાની જેમ ખતમ થઇ જાય તે કહી શકાય નહીં. લાલુપ્રસાદની પાર્ટી હાલ વિપક્ષમાં બેસે છે.
ઉત્તરપ્રદેશઃ ઉત્તરપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ત્યાં મુખ્ય વિપક્ષ તરીકે સમાજવાદી પાર્ટી ભલે છે પરંતુ તે આગામી વર્ષોમાં શાસનમાં આવે તેવું દેખાતું નથી. માયાવતી ભારતીય જનતા પાર્ટીના મૂક સમર્થનમાં હતી જે હવે લગભગ ખતમ જેવી થઇ ગઇ છે.

હરિયાણાઃ હરિયાણામાં પણ નાની મોટી પાર્ટીઓ પહેલા કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવતી હતી પરંતુ ત્યાં આજે ભાજપની સરકાર છે. નાની મોટી પાર્ટીઓની કોઇ ખાસ તાકાત રહી નથી.
દિલ્હીઃ દિલ્હીમાં ભાજપની સરકાર છે. આમ આદમી પાર્ટી ને હટાવીને ભાજપે પોતાની સરકાર બનાવી. હવે આમ આદમી પાર્ટી સામે અસ્તિત્વનો સવાલ છે. રાઘવ ચઢ્ઢાએ 6 રાજ્યસભાના સભ્યો સાથે ભાજપમાં જોડાવાની જે જાહેરાત કરી ત્યાર પછી હવે પંજાબની સરકાર પણ પડી જાય તેવી શક્યતા દેખાઇ રહી છે.
હવે 9 રાજ્યોમાં તો પ્રાદેશિક પક્ષો સામે અસ્તિત્વનો સવાલ છે જે પરંતુ તે ઉપરાંત ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડમાં ભારતીય જનતા પાર્ટીની સરકારો છે. એટલે હવે દેશમાં મોટા રાજ્યોમાં પંજાબમાં આમ આદમી પાર્ટી અને ચન્દ્રાબાબુ નાયડુના આંધ્રપ્રદેશ છોડીને કોઇપણ રાજ્ય એવું નથી જ્યાં કોઇ પ્રાદેશિક પક્ષની સરકાર હોય. તમામમાં નાની પાર્ટીઓ સરકાર બનાવવા ક્યાં તો ભાજપ અથવા કોંગ્રેસના સહારે છે. તામિલનાડુમાં પણ વિજયની પાર્ટીએ જીત તો મેળવી છે પરંતુ તે પણ કોંગ્રેસ અને અન્ય પક્ષોના ભરોસે છે. આ ઉપરાંત કેરળ, તેલંગણામાં નાની પાર્ટીઓની સાથે કોંગ્રેસની સરકાર છે. આમ આખા દેશમાં હવે મોટાભાગના રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોની સરકારો ખતમ થઇ ગઇ છે.

તો શું દેશમાં પ્રાદેશિક પક્ષો ખતમ થવાના આરે છે. જાણકારોનું માનવું છે કે મેક્રો લેવલ પર જોઇએ તો એવું દેખાય છે પરંતુ તામિલનાડુમાં એકાએક વિજય નો ઉદય અને આમ આદમી પાર્ટીએ નજીકના ભૂતકાળમાં જે કાઠુ કાઢ્યું છે તે જોતાં નાના સ્તરે નવી પાર્ટીઓનો ઉદય થાય તેવું શક્ય છે. પરંતુ દેશના લેવલ પર તો હવે ભાજપ અને કોંગ્રેસ બન્ને જ બચે તેવું લાગે છે. અને જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસમુક્ત ભારતનો નારો આપ્યો છે તે જોતાં કોંગ્રેસનું પણ શું થશે તેની ઉપર મોટો પ્રશ્નાર્થ છે.

