- National
- ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી
વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની કોઈ અછત નથી. ઓઈલ સેક્રેટરી નીરજ મિત્તલે સોમવારે ખાતરી આપી હતી કે ભારત પાસે પેટ્રોલ, ડીઝલ અને LPGનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠામાં કાપ (રેશનિંગ) મૂકવાની કોઈ યોજના નથી.
CII એન્યુઅલ બિઝનેસ સમિટને સંબોધતા નીરજ મિત્તલે જણાવ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ છતાં ભારતે ઈંધણનો પૂરતો સ્ટોક જાળવી રાખ્યો છે. તેમણે કહ્યું કે ગભરાવાની કોઈ જરૂર નથી. પુરવઠો પૂરતો છે. ઈંધણનું કોઈ રેશનિંગ કરવામાં આવી રહ્યું નથી અને ભવિષ્યમાં પણ આવું કંઈ થવાનું નથી.

સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ બજારમાં છેલ્લા 67 દિવસથી ચાલી રહેલા વિક્ષેપ છતાં ભારત પાસે આશરે 60 દિવસનો ઈંધણનો જથ્થો છે. દેશમાં અંદાજે 45 દિવસનો LPG સ્ટોક ઉપલબ્ધ છે. સંઘર્ષગ્રસ્ત 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' માંથી ભારતે સફળતાપૂર્વક તેના તમામ 14 જહાજોને સુરક્ષિત બહાર કાઢ્યા છે.
વૈશ્વિક સ્તરે તેલના ભાવ વધવા છતાં ભારતમાં સ્થિતિ નિયંત્રણમાં રાખવા માટે સરકારે અનેક સ્તરે કામ કર્યું છે. પુરવઠાના જોખમોને ટાળવા માટે વૈકલ્પિક સપ્લાયર્સ પાસેથી ખરીદી વધારવામાં આવી છે. સામાન્ય જનતા પર ભાવવધારાનો બોજ ન પડે તે માટે કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે, જેનાથી તિજોરી પર અંદાજે ₹1.6 લાખ કરોડની અસર પડી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં ધરખમ વધારો થયો હોવા છતાં, ભારતમાં છેલ્લા બે વર્ષથી પેટ્રોલ અને ડીઝલના ભાવ લગભગ સ્થિર રાખવામાં આવ્યા છે.
ભારત દરરોજ 50 લાખ બેરલ તેલનો વપરાશ કરે છે. મિત્તલે જણાવ્યું કે, 90 દિવસનું રિઝર્વ રાખવું એ આર્થિક રીતે મોટું રોકાણ છે જે લાંબો સમય વણવપરાયેલું રહે છે, તેથી સરકાર હવે આ વ્યૂહાત્મક અનામત વધારવા માટે 'ક્રિએટિવ રસ્તાઓ' શોધી રહી છે જેથી સંગ્રહિત તેલમાંથી પણ વળતર મળી શકે. સાથે જ, સરકારે ગ્રીન હાઇડ્રોજન, ઇથેનોલ બ્લેન્ડિંગ અને સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ જેવા વૈકલ્પિક ઇંધણ કાર્યક્રમો પર ભાર મૂક્યો છે.

મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે ઘરેલું રાંધણ ગેસના પુરવઠાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જોકે, ઉદ્યોગોની વિનંતી બાદ હવે 70% ઔદ્યોગિક LPG પુરવઠાને પણ મંજૂરી આપવામાં આવી છે. ડિજિટલ ટ્રેકિંગ દ્વારા ગેસ સિલિન્ડરના કાળાબજાર અને ડાયવર્ઝનને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યું છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ભાવ અને પુરવઠો સ્થિર રાખવાનો છે. જોકે, વધતા ખર્ચને કારણે સરકારી માલિકીની ઓઈલ માર્કેટિંગ કંપનીઓને દરરોજ અંદાજે ₹1,000 કરોડ થી ₹1,200 કરોડનું નુકસાન થઈ રહ્યું હોવાનો અંદાજ છે. છેલ્લે સરકારે પુનરોચ્ચાર કર્યો હતો કે અન્ય દેશોની સરખામણીમાં ભારત આ વૈશ્વિક ઉર્જા સંકટમાં શાંતિનો ટાપુ બની રહ્યું છે અને નાગરિકોએ કોઈ પણ અફવા પર ધ્યાન આપવું જોઈએ નહીં.

