- National
- વિદ્યાર્થીઓ પરની કાર્યવાહીથી કૉકરોચ જનતા પાર્ટી નારાજ; સરકારને ચીમકી આપતા કહ્યું- 'વિશ્વાસઘાત સહન નહ...
વિદ્યાર્થીઓ પરની કાર્યવાહીથી કૉકરોચ જનતા પાર્ટી નારાજ; સરકારને ચીમકી આપતા કહ્યું- 'વિશ્વાસઘાત સહન નહીં થાય'
અસમ, પશ્ચિમ બંગાળ અને બિહાર સહિતના વિવિધ રાજ્યોમાં એજન્સીઓ દ્વારા પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ અને અન્ય આંદોલનકારીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાના, તેમની અટકાયત અને ધરપકડ કરાઈ રહી હોવાના અનેક અહેવાલો સામે આવ્યા છે. આ અહેવાલોને પગલે કૉકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
પાર્ટીના જણાવ્યા અનુસાર, ભારત સરકારે જ્યારે એવું સ્પષ્ટ આશ્વાસન આપ્યું હતું કે ભાજપ કે NDA શાસિત કોઈપણ રાજ્યમાં પ્રદર્શનકારીઓ સામે અત્યારે કે ભવિષ્યમાં કોઈ જ શિક્ષાત્મક કે દંડનાત્મક કાર્યવાહી કરવામાં નહીં આવે, ત્યારબાદ જ તેમણે પોતાના દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. આવી સ્થિતિમાં વિવિધ રાજ્યોમાંથી સામે આવી રહેલા અહેવાલો અત્યંત ગંભીર બાબત છે.
https://twitter.com/SauravDassss/status/2081626434267656550
વિરોધ પ્રદર્શન કરનાર તમામ વિદ્યાર્થીઓ અને યુવાનોને આશ્વાસન આપતાં પાર્ટીએ જણાવ્યું છે કે, અટકાયતમાં લેવાયેલા લોકોને છોડાવવા તેમજ તમામ શક્ય કાનૂની સહાય પૂરી પાડવા માટે તેમની લીગલ ટીમ પહેલા દિવસથી જ સંબંધિત રાજ્યોના નિષ્ણાત વકીલો સાથે સતત સંપર્કમાં છે અને કામ કરી રહી છે.
કૉકરોચ જનતા પાર્ટીએ ભારત સરકાર, ખાસ કરીને જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહને વિનંતી સાથે અપીલ કરી છે કે તેઓ આપેલા વચનનું તુરંત પાલન કરે. અટકાયત કરાયેલા તમામ લોકોની મુક્તિ સુનિશ્ચિત કરવામાં આવે, દેશમાં ક્યાંય પણ પ્રદર્શનકારીઓ સામે દબાણપૂર્વક કે વળતી નિશાન બનાવવાની કાર્યવાહી ન કરવાનો નિર્દેશ આપવામાં આવે અને નોંધાયેલી તમામ FIR પણ પાછી ખેંચવામાં આવે.
કેન્દ્ર સરકારને યાદ અપાવવામાં આવ્યું છે કે, આ અંગેની લેખિત ખાતરી આવતીકાલે, મંગળવાર, 28 જુલાઈ 2026 સુધીમાં આપવાના પોતાના વાયદાનું સરકારે પાલન કરવું પડશે.
પાર્ટીએ ઉમેર્યું કે, દેશવ્યાપી આંદોલન મુલતવી રાખવાનો નિર્ણય સંપૂર્ણપણે સદ્ભાવનાથી અને કેન્દ્ર સરકાર પોતાના શબ્દો પર અડગ રહેશે તેવા આશ્વાસનના આધારે જ લેવાયો હતો. જો સરકાર આ વાયદામાંથી પીછેહઠ કરશે, તો તે માત્ર કૉકરોચ જનતા પાર્ટી સાથે જ નહીં, પરંતુ વિરોધનો માર્ગ છોડીને સંવાદ પસંદ કરનારા દેશના લાખો યુવાનો સાથે પણ ભારે વિશ્વાસઘાત ગણાશે. આ પ્રકારનો કૂટનીતિક કે નૈતિક વિશ્વાસઘાત દેશનો યુવા વર્ગ ક્યારેય નહીં ચલાવી લે.
સરકારને કડક શબ્દોમાં ટકોર કરતા કહેવાયું છે કે, ભારત સરકારની વિશ્વસનીયતા માત્ર મોટા વચનો આપવાથી નથી બનતી, પરંતુ આપેલા વચનો પાળવાથી બને છે.
આંદોલન કરી રહેલા યુવાનોને આશ્વાસન આપતા પાર્ટીએ કહ્યું છે કે, "તમે ધીરજ રાખો, અમે તમારી સાથે મજબૂતીથી ઊભા છીએ." CJP સમગ્ર પરિસ્થિતિ પર સતત બારીકાઈથી નજર રાખી રહી છે અને આશા રાખે છે કે ભારત સરકાર તેમજ તમામ BJP/NDA શાસિત રાજ્ય સરકારો વર્તમાન ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને અત્યંત ઝડપ, જવાબદારી અને સદ્ભાવના સાથે યોગ્ય પગલાં ભરશે.
અંતમાં, માંગ કરવામાં આવી છે કે અટકાયત કે ધરપકડ કરાયેલા તમામ લોકોને તુરંત અને આવતીકાલ સુધીમાં જ મુક્ત કરવામાં આવે તેમજ તમામ FIR તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે. જો તેમ કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં જરૂરી અને કડક પગલાં ભરવાની ફરજ પડશે.

