- National
- વૃદ્ધ મહિલાને 'મૃત' માની પરિવાર આખી રાત રહ્યો શોકગ્રસ્ત, સવારે અંતિમ સંસ્કાર પહેલા મહિલા ફરી જીવિત થ...
વૃદ્ધ મહિલાને 'મૃત' માની પરિવાર આખી રાત રહ્યો શોકગ્રસ્ત, સવારે અંતિમ સંસ્કાર પહેલા મહિલા ફરી જીવિત થઇ ગયા
રાજસ્થાનના અલવર શહેરના નાકે અજબગઢ નજીક રામજી કા ગ્વાડા ગામમાં, એક ઘટના એવી બની કે, સમગ્ર વિસ્તાર સ્તબ્ધ થઇ ગયો. ડોકટરોએ 65 વર્ષીય ચમેલી દેવીને મૃત જાહેર કરી હતી, જેના કારણે પરિવાર અને ગ્રામજનોમાં શોક છવાઈ ગયો હતો. સંબંધીઓને જાણ કરવામાં આવી, અને સવારે અંતિમ સંસ્કારની તૈયારીઓ પણ શરૂ થઈ. પરંતુ અંતિમ સંસ્કાર પહેલા જ મહિલાના શરીરમાં હલચલ થવા લાગી. આ દ્રશ્ય જોઈ ઘરમાં બધા ગભરાઈ ગયા. આવું થવાને કારણે બધા ચોકી ગયા હતા.
પરિવાર તાત્કાલિક મહિલાને દૌસા જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેની તપાસ કરી અને તેને ICUમાં દાખલ કરી સારવાર ચાલુ કરી હતી. મહિલાની હાલત હવે સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે. મહિલાના પુત્ર બાબુલાલ મીણાએ જણાવ્યું કે, મંગળવારે રાત્રે તેની માતાની તબિયત અચાનક બગડી ગઈ. થોડા સમય પછી, તેના શરીરમાં કોઈ હલનચલન ન થઈ અને તેના શ્વાસ એટલા ધીમા પડી ગયા કે બધાએ માની લીધું કે તે મરી ગઈ છે.
આ પછી, તેને ખાટલા પરથી નીચે ઉતારીને જમીન પર સુવડાવવામાં આવી, અને સંબંધીઓને સૂચના આપી દેવામાં આવી. આખી રાત ગામમાં શોકનું વાતાવરણ રહ્યું. સવારે, જ્યારે અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી અને લોકો અંતિમ દર્શન માટે આવવા લાગ્યા, ત્યારે મહિલાના પગમાં થોડી હલચલ જોવા મળી. શરૂઆતમાં કોઈએ વિશ્વાસ ન કર્યો, પરંતુ જ્યારે તેનું શરીર ફરી હલવા લાગ્યું, ત્યારે પરિવાર એકદમ ચોંકી ગયો. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી.
દૌસા જિલ્લા હોસ્પિટલના PMO ડૉ. R.K. મીણાએ જણાવ્યું કે, મહિલાના શ્વાસ ખૂબ જ ધીમા પડી ગયા હતા, જેના કારણે તેને મૃત માનવામાં આવી હતી. હોસ્પિટલમાં CT સ્કેન સહિત અન્ય પરીક્ષણો કરવામાં આવ્યા હતા. CT સ્કેન રિપોર્ટ સામાન્ય આવ્યો હતો, પરંતુ લોહીમાં ચેપ હોવાનું જાણવા મળ્યું હતું. મહિલાની સારવાર ICUમાં ચાલી રહી છે અને તેની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. ડોકટરોના મતે, તે હવે હરીફરી શકે છે.
પરિવારના સભ્યોએ જણાવ્યું કે, ચમેલી દેવીને પહેલા શ્વાસ સબંધિત તકલીફ હતી. તેમને 2 એપ્રિલ, 2026ના રોજ જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 3 મેના રોજ રજા આપવામાં આવી હતી. ત્યારપછી, 4 મેની રાત્રે, તેમની તબિયત અચાનક બગડી ગઈ. પરિવાર કહે છે કે, આ કોઈ ચમત્કારથી ઓછું નથી. ડોક્ટરો કહે છે કે, ઘણી ગંભીર બીમારીઓમાં, શરીરની કામગીરી ખૂબ જ ધીમી પડી જાય છે, તેથી તબીબી ચકાસણી વિના કોઈને મૃત માની લેવું ખતરનાક બની શકે છે.

