- National
- 'મરાઠી રાજ્યમાં હિન્દી શા માટે?' વિપક્ષ અને MNSના વિરોધ કરતા મહારાષ્ટ્રમાં હિન્દી પરીક્ષા મુલતવી રખા...
'મરાઠી રાજ્યમાં હિન્દી શા માટે?' વિપક્ષ અને MNSના વિરોધ કરતા મહારાષ્ટ્રમાં હિન્દી પરીક્ષા મુલતવી રખાઈ
મરાઠી ભાષા મંત્રી ઉદય સામંતે ભાષા વિભાગના સચિવ સાથે વિગતવાર પરામર્શ કર્યા બાદ હિન્દી પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે 1976ના જૂના નિયમોની સુસંગતતા હવે 2026ના વર્તમાન સંદર્ભમાં સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવશે, અને ત્યારબાદ જ આગળના પગલાં લેવામાં આવશે. આ વિવાદ ત્યારે ઉભો થયો જ્યારે વહીવટીતંત્રએ જાહેરાત કરી કે આ પરીક્ષા 28 જૂન, 2026ના રોજ મુંબઈ, પુણે અને નાગપુર જેવા શહેરોમાં લેવામાં આવશે.
'મહારાષ્ટ્ર સિવિલ સર્વિસીસ રૂલ્સ, 1976' હેઠળ, એ કર્મચારીઓ માટે હિન્દી પરીક્ષા પાસ કરવી ફરજિયાત હતી, જેમણે 10મા ધોરણ સુધી આ વિષયનો અભ્યાસ કર્યો નહોતો. આ નિયમના ઉલ્લંઘન પર પગાર વધારો અને પ્રમોશન રોકવા જેવી કડક જોગવાઈઓનો સમાવેશ થતો હતો, જેને લઈને કર્મચારીઓમાં ભારે અસંતોષ હતો.
વિપક્ષ અને MNS જેવા સંગઠનોએ આ પગલાનો સખત વિરોધ કર્યો, તેને મરાઠીભાષી રાજ્ય પર હિન્દી થોપવાનો પ્રયાસ ગણાવ્યો. ટીકાકારોએ દલીલ કરી હતી કે તેના બદલે પ્રાથમિકતા બિન-મરાઠીભાષીઓને મરાઠી શીખવવા પર હોવી જોઈએ. વ્યાપક રાજકીય વિરોધ અને સંભવિત અશાંતિની ચેતવણીઓને ધ્યાનમાં રાખીને, મંત્રી ઉદય સામંતે પરીક્ષા પર તાત્કાલિક રોક લગાવવાનો આદેશ આપ્યો છે.
મહારાષ્ટ્રના મરાઠી ભાષા મંત્રી ઉદય સામંતે જણાવ્યું હતું કે, ‘મને હમણાં જ મીડિયા અહેવાલો દ્વારા સરકારી કર્મચારીઓ માટે આયોજિત હિન્દી ભાષા પરીક્ષા વિશે જાણવા મળ્યું છે. મેં મરાઠી ભાષા વિભાગના મુખ્ય સચિવ કિરણ કુલકર્ણી સાથે આ બાબતે ચર્ચા કર્યા બાદ આ પરીક્ષા હાલ પૂરતી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. હું 1976ના નિયમોની સમીક્ષા કરીશ જેથી અને જોઈશ કે 2026ના વર્તમાન સંદર્ભમાં હિન્દી ભાષા પરીક્ષાની કોઈ આવશ્યકતા છે કે નહીં. જો તે જરૂરી માનવામાં આવશે, તો આગળ વધવામાં આવશે; અન્યથા, અમે આ સિસ્ટમને કાયમી ધોરણે બંધ કરી દઈશું.’

