- Education
- ગુજરાતના વાલી-વિદ્યાર્થી ડમી સ્કૂલિંગની ભ્રમજાળમાં: ખરેખર IIT–AIIMSમાં કેટલા પહોંચે છે?
ગુજરાતના વાલી-વિદ્યાર્થી ડમી સ્કૂલિંગની ભ્રમજાળમાં: ખરેખર IIT–AIIMSમાં કેટલા પહોંચે છે?
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં એક નવો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે—ડમી સ્કૂલિંગ. વાલીઓ તેમના બાળકોને વિદ્યાર્થીઓ સ્કૂલમાં ફક્ત નામ માટે એડમિશન અપાવે છે અને આખો સમય JEE-NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગમાં લગાવે છે. માતા-પિતા અને વિદ્યાર્થીઓ આ એટલા માટે કરે છે કે તેમને લાગે છે કે આવું કરીને તેમને ટોચની સંસ્થામાં પ્રવેશ મળી જશે. પરંતુ, આ પાછળના વાસ્તવિક આંકડા તમને ચોંકાવી દેશે.
મેડિકલમાં માત્ર 2થી 5 ટકા
દર વર્ષે ભારતમાંથી અંદાજે 22 લાખ વિદ્યાર્થી NEET આપે છે. તેમાંમાંથી લગભગ 12 લાખ ક્વોલિફાય થાય છે. પરંતુ સીટ્સ કેટલી છે? કુલ MBBSની સીટ્સ આશરે 1 લાખ જેટલી છે તેમાં પણ સરકારી કોલેજોમાં સીટ્સ તો માત્ર 50–60 હજાર જ છે. એટલે કે એન્ટ્રન્સ એક્ઝામ આપતા કુલ ઉમેદવારોમાંથી માત્ર 4–5% જ વિદ્યાર્થીઓને જ MBBSમાં એડમિશન મળે છે.અને સરકારી કોલેજ માટે તો આ ટકા માંડ 2–3% સુધી જ રહે છે.
એન્જિનિયરીંગમાં માંડ 1 ટકા
દેશમાંથી દર વર્ષે અંદાજે 12 લાખ વિદ્યાર્થી JEE Main આપે છે. તેમાંમાંથી લગભગ 2 લાખ JEE Advanced સુધી પહોંચે છે. અને આખરે IITમાં સીટ્સ માત્ર 17,000 જેટલી છે. એટલે કે કુલ વિદ્યાર્થીઓમાં માત્ર 1% જેટલા જ IIT સુધી પહોંચે છે.
100માંથી 95 ને પ્રવેશ નહીં
હવે સાદી ભાષામાં સમજીએ તો-માની લો કે 100 વિદ્યાર્થી ડમી સ્કૂલિંગ પસંદ કરે છે. તેમાંથી 95 થી 99 વિદ્યાર્થીઓ તો IIT અથવા AIIMS સુધી પહોંચતા જ નથી. આમ માત્ર 1 થી 5 વિદ્યાર્થી જ સફળ થાય છે. એટલે કે આ સિસ્ટમમાં સફળતાની સંભાવના અત્યંત ઓછી છે. એટલે કે વધુમાં વધુ 5 ટકા વિદ્યાર્થી જ ઇચ્છા મુજબની સંસ્થામાં પ્રવેશ મેળવે છે.

તો પછી ડમી સ્કૂલિંગ કેમ વધી રહ્યું છે?
હવે સવાલ એ થાય છે કે દરેક વસ્તુમાં ગણતરીમાં પાક્કા ગુજરાતીઓ આટલી સરળ ગણતરી કેમ સમજી શકતા નથી. તો તેની પાછળનું એક કારણ છે — તે છે સફળતાનો ભ્રમ. એક ભ્રમ પાછળ વાલીઓ અને વિદ્યાર્થીઓ લાખો રૂપિયા અને તેમના જીવનનો અમૂલ્ય સમય વેડફી નાંખે છે. તો ચાલો સમજી લઇએ આખી સાયકોલોજી.
કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ્સ સર્વાઇવરશિપ બાયસથી ભ્રમ ઉભો કરે છે
કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ તેઓ જે જાહેરાતો આપે છે તેમાં મોટો ભ્રમ ઉભો કરે છે. તેઓ જાહેરાતોમાં ટોપર્સ અને રેન્કર્સને બતાવે છે. મોટા મોટા બોર્ડ પર તેને બતાવે છે. આ બોર્ડ જોઇને આપણા વાલીઓ અને વિદ્યાર્થીઓ અંજાઇ જાય છે. તેઓ વિચારે છે કે ભલે ખૂબ ઓછા વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે પરંતુ આપણો નંબર કદાચ આવી પણ જાય. પરંતુ કોચિંગ ક્લાસેસ શું નથી બતાવતા? તેમના ક્લાસમાં કુલ કેટલાં વિદ્યાર્થી હતા અને કેટલાં નિષ્ફળ ગયા. આ આંકડો ક્લાસિસ છુપાવે છે.
જુદા જુદા રિપોર્ટસ મુજબ ટોચના કોચિંગમાં પણ સફળતા દર 15–30% જ હોય છે અને તે પણ ક્વોલિફાય થવા સુધી જ હોય છે. જ્યારે સામાન્ય કોચિંગમાં તે માત્ર 5–10% સુધી જ હોય છે. અને તેમાંથી પણ IIT/AIIMS સુધી પહોંચવું તો ખૂબ ઓછું હોય છે.
આમ, સર્વાઈવરશિપ બાયસનો ઉપયોગ કરીને વાલી અને વિદ્યાર્થી છેતરાય છે. એટલે કે આપણે સફળતા જોવાયેલા ટેવાયેલા છે. આપણને નિષ્ફળતા ડરાવે છે. સફળતા આકર્ષિત કરે છે. આપણે કોઇપણ ક્લાસિસમાં પ્રવેશ લેતા પહેલા ફક્ત કેટલા લોકો સિલેક્ટ થયા તે જ જોઇએ છીએ. જો લોકોને સફળતા નથી મળી તે ડેટા અવગણીએ છીએ. આમ, આપણા ડરના કારણે ખોટા નિર્ણયો લઇએ છીએ.
10.jpg)
માતાપિતા અને વિદ્યાર્થીઓ ખૂબ ધ્યાનથી આ સવાલોના જવાબ શોધે
એ હકીકત છે કે 95% થી વધુ વિદ્યાર્થી ટોચની સંસ્થામાં નથી પહોંચતા. છતાં તેઓ બે વર્ષ સ્કૂલ છોડીને ફક્ત કોચિંગ કરે છે. તો સવાલ ઉભો થાય છે કે શું આપણે બાળકોને શિક્ષિત કરી રહ્યા છીએ કે માત્ર આર્થિક, સામાજિક, માનસિક દૃષ્ટિએ ખતરનાક એવી સ્પર્ધામાં ધકેલાઇ રહ્યા છીએ. શું ક્યારેય આપણે વિચાર્યું છે કે જે 5 ટકા વિદ્યાર્થી ટોચની સંસ્થામાં પ્રવેશ મેળવે છે તેમનું શાળાનું બેકગ્રાઉન્ડ શું હતું. કેવી શાળામાં ભણતા હતા. તેમણે ધો. 10 સુધી કેટલા માર્ક્સ મેળવ્યા હતા. તેમના માતા-પિતા કેટલું ભણેલા છે. તેમનામાં શિસ્તનું કેટલું પ્રમાણ છે. તેમનામાં ડોક્ટર કે એન્જિનિયર બનવાનું એપ્ટીટ્યૂડ કેટલું ઉચ્ચ હતું. આ બધી બાબતો પણ તેમની સફળતા પાછળના કારણો છે. પરંતુ આપણે તે વિચારતા નથી. કદાચ એવું પણ હોય કે તેમનામાં લાયકાત હતી જ પરંતુ કોચિંગ ક્લાસિસની માત્ર સ્ટ્રેટેજીને લીધે તેમને પ્રવેશ મળ્યો. કદાચ કોઇ કૌભાંડના લીધે પણ મળ્યો હોઇ શકે.
બેન્ડવેગન ઇફ્કેટ અને FOMOની અસર...
પરંતુ આપણે આપણા બાળકને ડમી સ્કૂલમાં મૂકતા પહેલા કોઇ ઊંડો વિચાર કરતા નથી. આપણે કદાચ બેન્ડવેગન ઇફેક્ટ એટલે કે ટોળું ભેગું થયું હોય ત્યાં આપણે પણ જતા રહીએ છીએ. બધા જાય છે તો સારૂં જ હશે ને. એવું વિચારીને ડમી સ્કૂલ પસંદ કરીએ છીએ. કે પછી FOMO એટલે કે ફીયર ઓફ મિસિંગ આઉટને કારણે ડમી સ્કૂલિગં કરાવીએ છીએ.
આપણને ડર હોય છે કે બધા આગળ પહોંચી જશે અને આપણે રહી જશું...તમે આ વિચારને કારણે તો ડમી સ્કૂલિંગ નથી કરાવતા ને. જરાક વિચારી જોજો...

