- National
- 79 દિવસમાં જ 12000 કરોડના દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસ-વેની પોલ ખૂલી
79 દિવસમાં જ 12000 કરોડના દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસ-વેની પોલ ખૂલી
રૂ. 12,000 કરોડના ખર્ચે બનેલો દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવે બંને શહેરો વચ્ચેની મુસાફરી માત્ર બે કલાકમાં સરળતાથી પૂરી કરવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યો હતો. જોકે, આ એક્સપ્રેસવે હવે ભારે સવાલોના ઘેરામાં છે. એક વાયરલ વીડિયોમાં હાઈવે પર બે વિશાળ ગાબડાં જોવા મળ્યા છે, જેને શરૂ થયાને હજુ ત્રણ મહિના પણ પૂરા થયા નથી. હાઇવે પર બનેલી આ અણધારી અડચણને કારણે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે, જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસે આ પ્રોજેક્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે.
શામલીના હાથી કરોડા ગામ પાસે એક્સપ્રેસવે પર પડેલા મોટા અને ઊંડા ગાબડાંનો વીડિયો એક વાહનચાલકે સોશિયલ મીડિયા પર શેર કર્યા બાદ આ ઘટનાએ જોર પકડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ 212 કિમી લાંબા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન 14 એપ્રિલના રોજ કરવામાં આવ્યું હતું.
https://twitter.com/SoodSaab11/status/2072601860960321737
વીડિયોમાં વાહનચાલક દાવો કરે છે કે આ ખાડાઓને કારણે તેની નજર સમક્ષ જ ‘ચારથી પાંચ વાહનોએ પોતાનું સંતુલન ગુમાવ્યું’ હતું. તે વધુમાં કહે છે કે અકસ્માતે ખાડામાં પડ્યા બાદ ઓછામાં ઓછી બે કારના એલોય વ્હીલ વાંકા વળી ગયા હતા. ત્યારબાદ વીડિયોમાં એક વાહનનું ક્ષતિગ્રસ્ત એલોય વ્હીલ પણ સ્પષ્ટપણે બતાવવામાં આવ્યું છે.
આ સિક્સ-લેન એક્સપ્રેસવે, જેણે દહેરાદૂનની પહાડીઓને દિલ્હીની વધુ નજીક લાવી દીધી છે, ત્યાં ખાસ કરીને વીકએન્ડ દરમિયાન ભારે ટ્રાફિક અને ભીડ જોવા મળે છે. તેણે રાષ્ટ્રીય રાજધાનીથી 'ઉત્તરાખંડના પ્રવેશદ્વાર' સુધીનો મુસાફરીનો સમય 6 કલાકથી ઘટાડીને માત્ર 2 કલાકની આસપાસ કરી દીધો છે. આ માર્ગનું મુખ્ય આકર્ષણ રાજાજી નેશનલ પાર્કમાંથી પસાર થતો 12 કિમી લાંબો પટ્ટો છે, જે તેને એશિયાનો સૌથી લાંબો એલિવેટેડ વાઇલ્ડલાઇફ કોરિડોર બનાવે છે.

જોકે, દિવસ દરમિયાન જ્યારે લોકોનો આક્રોશ સોશિયલ મીડિયા પર વધવા લાગ્યો, ત્યારે તંત્ર દ્વારા ક્ષતિગ્રસ્ત હિસ્સા પર ઉતાવળે પેચવર્ક કરવામાં આવ્યું હતું.
આ એક્સપ્રેસવે બનવામાં પાંચ વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો હતો. સ્વાભાવિક છે કે, ઉદ્ઘાટનના માત્ર 79 દિવસ પછી જ ખાડા પડવાને કારણે સોશિયલ મીડિયા પર લોકોમાં ભારે ગુસ્સો છે અને તેની મજાક પણ ઉડાવવામાં આવી રહી છે. મનુ નામના એક ઉદ્યોગસાહસિકે PM મોદીને ટેગ કરીને બાંધકામની ગુણવત્તા પર સવાલ ઉઠાવતા ટ્વીટ કર્યું, ‘આ બનવામાં લગભગ 5 વર્ષ લાગ્યા, છતાં તેણે હજુ તેનું પહેલું ચોમાસું પણ જોયું નથી. આ દયનીય સ્થિતિ જુઓ.’
E20 ઇંધણના વિવાદનો સંદર્ભ આપતા અન્ય એક યુઝરે ટ્વીટ કર્યું, ‘વિચારો કે 110 રૂપિયામાં 20% ઇથેનોલ વાળું પેટ્રોલ ખરીદવાની સાથે 650 રૂપિયા ટોલ ટેક્સ ચૂકવવો પડે છે, છતાં પણ અહીં જીવની કોઈ ગેરંટી નથી.’

દરમિયાન, વિપક્ષોએ ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવવામાં કોઈ કસર છોડી ન હતી. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે બાંધકામની નબળી ગુણવત્તા મોટા પાયે ભ્રષ્ટાચાર અને ભંડોળની ઉચાપત દર્શાવે છે. કોંગ્રેસના પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદે ટ્વીટ કર્યું, ‘આપણને ભ્રષ્ટાચારના બીજા કયા પુરાવાની જરૂર છે? દરેક વિભાગમાં ખુલ્લેઆમ લૂંટ ચાલી રહી છે.’
આમ આદમી પાર્ટી (AAP) એ પણ ગાબડાંનો વીડિયો શેર કરીને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. AAP એ 'X' પર પોસ્ટ કર્યું, ‘દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવે બનાવવા માટે 12,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા. પરંતુ ટૂંકા જ સમયમાં મોદી સરકારનો વિકાસ લોકો સામે આવી ગયો છે.’

