- World
- શી જિનપિંગે કર્યો મોટો ખેલ; ચીને ચુપચાપ 'યુનિફોર્મ સિવિલ કોડ' લાગુ કરી દીધો, UN કરી રહ્યું છે વિરોધ
શી જિનપિંગે કર્યો મોટો ખેલ; ચીને ચુપચાપ 'યુનિફોર્મ સિવિલ કોડ' લાગુ કરી દીધો, UN કરી રહ્યું છે વિરોધ
ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે, ચીને ચુપચાપ એક ખેલ કરી દીધો. બુધવારે, ચીને દેશમાં 'યુનિફોર્મ સિવિલ કોડ' લાગુ કરી દીધો છે. ચીને આંતરરાષ્ટ્રીય સ્તરે થઇ રહેલી ભારે ટીકાઓ અને અનેક માનવાધિકાર સંગઠનોના વિરોધને અવગણીને આ વિવાદાસ્પદ કાયદો લાગુ કર્યો છે. તેને ચીનમાં એથનિક યુનિટી લો તરીકે ઓળખવામાં આવે છે.
આ વર્ષની શરૂઆતમાં, ચીની સંસદે આ કાયદો પસાર કર્યો હતો, અને હવે તેનો અમલ પણ કરવામાં આવ્યો છે. નવો કાયદો શિક્ષણ, સરકારી કામ કાજ અને જાહેર સ્થળોએ મેન્ડરિન ભાષાને સામાન્ય રાષ્ટ્રીય ભાષા તરીકે પ્રોત્સાહન આપવાની વાત કહેવામાં આવી છે. અહીં તમને બતાવી દઈએ કે, ચીન પર લાંબા સમયથી દેશભરના વિવિધ વંશીય સમુદાયોને બહુમતી હાન સમુદાયની સંસ્કૃતિમાં ભેળવી દેવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
સરકારના મતે, આ નવા 'એથનિક યુનિટી' કાયદાનો હેતુ સામાજિક એકતાને મજબૂત બનાવવાનો છે. કાયદો હિંસક આતંકવાદી પ્રવૃત્તિઓ, વંશીય અલગતાવાદ અને ધાર્મિક ઉગ્રવાદ સંબંધિત પ્રવૃત્તિઓને ગુનાહિત બનાવે છે. કાયદામાં એમ પણ જણાવાયું છે કે, ચીન હાલમાં એક મોટા સામાજિક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે, જે રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવા માટે જરૂરી બનાવે છે.
અહીં તમને બતાવી દઈએ કે, ચીન પોતાના દેશમાં સત્તાવાર રીતે 55 વંશીય લઘુમતી સમુદાયોને જ માન્યતા આપે છે, જે સેંકડો ભાષાઓ અને બોલીઓ બોલે છે. જો કે, સરકારી નીતિ હેઠળ, તિબેટ અને આંતરિક મંગોલિયા સહિત ઘણા પ્રદેશોમાં મેન્ડરિનને શિક્ષણની મુખ્ય ભાષા તરીકે અપનાવવામાં આવી છે, જ્યાં મોટી સંખ્યામાં લઘુમતી સમુદાયો રહે છે.
નવા કાયદા અનુસાર, મેન્ડરિન હવે શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણનું પ્રાથમિક માધ્યમ હશે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ તેમનું શિક્ષણ પૂર્ણ કર્યા પછી મેન્ડરિન ભાષાની સારી રીતે સમજ હોવી જરૂરી રહેશે. જોકે કાયદો કોઈપણ લઘુમતી ભાષાઓનો સીધો ઉલ્લેખ કરતો નથી, પરંતુ એ નક્કી છે કે, તે ઉઇગુર, મોંગોલિયન અને તિબેટીયન ભાષા બોલનારાઓને અસર કરશે.
આ ઉપરાંત, એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના ડેપ્યુટી રિજનલ ડિરેક્ટર, સારાહ બ્રુક્સે ચિંતા વ્યક્ત કરી છે કે, આ કાયદો ચીની કમ્યુનિસ્ટ પાર્ટી પ્રત્યે રાજકીય અને વૈચારિક વફાદારીને ફરજિયાત બનાવે છે, જે દમનકારી નીતિઓને વધુ વેગ આપશે. આ કાયદામાં એક કલમ ખાસ કરીને ચિંતાજનક છે. કાયદા હેઠળ, જો કોઈ વ્યક્તિ, ચીનની બહાર રહેતા હોવા છતાં, ચીનની 'વંશીય એકતા'ને નુકસાન પહોંચાડતા નિવેદનો અથવા કૃત્યો કરે છે, તો ચીની સરકાર તેમને કાયદેસર રીતે જવાબદાર ઠેરવશે અને તેમની સામે કાનૂની કાર્યવાહી કરશે.
આ દરમિયાન, UN માનવાધિકાર વડા વોલ્કર તુર્કેએ આ કાયદાને રદ કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે, તેનાથી ભાષા, શિક્ષણ, ધર્મ, સંસ્કૃતિ અને શાંતિપૂર્ણ સભાની સ્વતંત્રતા પર વધુ પ્રતિબંધો લાગી શકે છે. ઉઇગુર અને તિબેટી સમુદાયોના પ્રતિનિધિઓએ પણ વિવિધ દેશોને આ કાયદાને રદ કરવા માટે ચીન પર દબાણ કરવા અપીલ કરી છે. તેમનો આરોપ છે કે, આ કાયદાનો હેતુ લઘુમતી સમુદાયોની વિશિષ્ટ ઓળખને ધીમે ધીમે ખતમ કરવાનો છે.

