- Politics
- કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બ...
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'
કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના મંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. જોકે, આ જાહેરાતના ગણતરીના કલાકોમાં જ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે પરિસ્થિતિને થાળે પાડવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. CM શિવકુમારે આ મામલે આશ્વાસન આપતાં જણાવ્યું છે કે તેઓ ‘આ મુદ્દાને ઉકેલી લેશે’ અને ‘બધું બરાબર કરી દેશે.’
શુક્રવારે વહેલી સવારે રામલિંગા રેડ્ડીએ કર્ણાટક કેબિનેટમાં પોર્ટફોલિયોની ફાળવણી અંગે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી રાજીનામું આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ 'બેંગલુરુ વિકાસ' ખાતું મેળવવા ઈચ્છતા હતા, પરંતુ તેના બદલે તેમને 'મોટા અને મધ્યમ સિંચાઈ પ્રોજેક્ટ્સ' (Major and Medium Irrigation projects) મંત્રાલય સોંપવામાં આવ્યું હતું, જેનાથી તેઓ નારાજ હતા.

બીજી તરફ, મુખ્યમંત્રી ડીકે શિવકુમારે પત્રકારો સાથેની વાતચીતમાં આ મામલાને હળવો વગાડવાનો પ્રયાસ કર્યો હતો. સમાચાર સંસ્થા એએનઆઈ (ANI) અનુસાર, શિવકુમારે કહ્યું કે ‘ચિંતા કરવાની કોઈ જરૂર નથી. રેડ્ડી મારા પરમ મિત્ર છે. કેબિનેટમાં અમે બંને સૌથી નજીકના મિત્રો છીએ. અમે આ સમસ્યાનો ઉકેલ લાવી દઈશું.’
રેડ્ડી સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતા CMએ ઉમેર્યું કે, કોંગ્રેસના આ ધારાસભ્યે અન્ય કોઈ મંત્રાલયની માંગણી કરી હતી. શિવકુમારે કહ્યું, ‘રામલિંગા રેડ્ડી મારા સહયોગી અને અમારા વરિષ્ઠ નેતા છે. તેમણે મને જણાવ્યું કે તેઓ ગામડાઓમાં જઈને કામ કરી શકે તેમ નથી... હું તેમની સાથે રૂબરૂ વાત કરીશ અને બધું બરાબર કરી દઈશ.’
બેંગલુરુમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં રામલિંગા રેડ્ડીએ પોતાનો બળાપો કાઢતા ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે પોતાનું અપમાન થયું હોવાનું જણાવ્યું હતું. રેડ્ડીએ કહ્યું કે ‘હું મારા પદ પરથી રાજીનામું આપી રહ્યો છું કારણ કે હું મારા અંતરાત્મા વિરુદ્ધ જઈને કામ કરી શકું તેમ નથી. હું આ અપમાન ક્યાં સુધી સહન કરું? મારી પાસે બીજો કયો વિકલ્પ બચ્યો હતો?’
નોંધનીય છે કે મુખ્યમંત્રી શિવકુમારે ગુરુવારે જ મંત્રીમંડળના ખાતાઓની ફાળવણી કરી હતી, જેના બીજા જ દિવસે આ ભડકો થયો છે.
પોતાની નારાજગી વચ્ચે પણ વરિષ્ઠ નેતાએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોંગ્રેસ પક્ષ છોડી રહ્યા નથી અને કર્ણાટકના ધારાસભ્ય (MLA) તરીકે ચાલુ રહેશે. તેમણે કહ્યું કે ‘હું હજી પણ કોંગ્રેસ પક્ષમાં જ છું; મેં પક્ષમાંથી રાજીનામું આપ્યું નથી. હું છેલ્લા 53 વર્ષથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલો છું અને ભૂતકાળમાં પક્ષની અંદર ઘણી મોટી જવાબદારીઓ સંભાળી ચૂક્યો છું.’
પોતાનો પક્ષ રજૂ કરતા રેડ્ડીએ વધુમાં જણાવ્યું કે તેમણે ક્યારેય મંત્રી પદ મેળવવા માટે કોઈ લોબિંગ (ભલામણ) કર્યું નથી. પોતાની વરિષ્ઠતા સાબિત કરતા તેમણે યાદ અપાવ્યું કે તેઓ ભૂતકાળમાં પૂર્વ મુખ્યમંત્રીઓ એમ. વીરપ્પા મોઈલી અને એસ.એમ. કૃષ્ણા વગેરેની કેબિનેટમાં પણ મંત્રી તરીકે સેવાઓ આપી ચૂક્યા છે.

વરિષ્ઠ નેતાઓ ચર્ચા કરીને ઉકેલ લાવશે: પ્રિયાંક ખડગે
આ સમગ્ર વિવાદ પર કર્ણાટકના ગૃહમંત્રી પ્રિયાંક ખડગેએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે રેડ્ડીની મંત્રી પદ અંગેની નારાજગીનો મુદ્દો પક્ષના વરિષ્ઠ નેતાઓ વચ્ચેની ચર્ચા દ્વારા ટૂંક સમયમાં ઉકેલી લેવામાં આવશે. પ્રિયાંક ખડગેએ ANI ને જણાવ્યું કે, ‘આ એક એવો વિષય છે જેના પર પક્ષના વરિષ્ઠ નેતાઓ ચર્ચા કરશે અને તેનું નિરાકરણ લાવશે. આ માત્ર થોડા સમયની વાત છે.’
મુખ્યમંત્રીએ મહત્વના ખાતાઓ પોતાની પાસે રાખ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ડીકે શિવકુમારે તેમના મંત્રીમંડળના 13 મંત્રીઓ વચ્ચે ખાતાઓની ફાળવણી કરી છે. જોકે, તેમણે ફાઇનાન્સ (નાણું), કેબિનેટ બાબતો, કાર્મિક અને વહીવટી સુધારણા વિભાગ, ઇન્ટેલિજન્સ (ગુપ્તચર વિભાગ) જેવા અત્યંત મહત્વના અને અન્ય કોઈને ન ફાળવાયેલા તમામ પોર્ટફોલિયો પોતાની પાસે જ રાખ્યા છે.

