2021ના નીતિ આયોગના રિપોર્ટમાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી પણ...

નીતિ આયોગના વર્ષ 2021ના એક જૂના અહેવાલે દેશમાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ અંગે ઓટોમોબાઈલ ઉદ્યોગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ગંભીર ચિંતાઓ સપાટી પર લાવી દીધી છે. આ અહેવાલ અનુસાર, સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) એ સરકારને ભારપૂર્વક વિનંતી કરી હતી કે દેશમાં E20 પેટ્રોલ (20% ઇથેનોલ મિશ્રિત) ની સાથે-સાથે E10 પેટ્રોલ (10% ઇથેનોલ મિશ્રિત) ની ઉપલબ્ધતા પણ ચાલુ રાખવામાં આવે. સિયામે ચેતવણી આપી હતી કે જો ઓછું ઇથેનોલ ધરાવતું ઇંધણ સંપૂર્ણપણે બંધ કરી દેવાશે, તો ભારતના રસ્તાઓ પર દોડતા કરોડો જૂના વાહનોની સુરક્ષા, એન્જિનની ક્ષમતા, માઇલેજ અને ડ્રાઇવિંગ પર્ફોર્મન્સ સામે મોટું જોખમ ઊભું થઈ શકે છે.

નીતિ આયોગના ‘રોડમેપ ફોર ઇથેનોલ બ્લેન્ડિંગ ઇન ઇન્ડિયા: 2020-25’ અંતર્ગત વર્ષ 2021માં જ્યારે વિવિધ પક્ષકારો સાથે ચર્ચા-વિચારણા ચાલી રહી હતી, ત્યારે સિયામે આ ભલામણો સબમિટ કરી હતી. તાજેતરમાં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) દ્વારા E20 પેટ્રોલથી એન્જિનને વ્યાપક નુકસાન થવાના દાવાઓને ફગાવી દેવામાં આવ્યા બાદ, આ જૂનો દસ્તાવેજ ફરી ચર્ચામાં આવ્યો છે.

અહેવાલના Annexure Dમાં સામેલ વિગતો અનુસાર, સિયામે દલીલ કરી હતી કે E20 આવ્યા પછી પણ જૂના વાહનોના રક્ષણ માટે E10 ને ‘પ્રોટેક્શન ગ્રેડ’ તરીકે બજારમાં ઉપલબ્ધ રાખવું અનિવાર્ય છે. સિયામે જણાવ્યું હતું કે, ‘હાલના વાહનો માટે યોગ્ય ઇંધણ મળી રહે અને ગ્રાહકોનો ભરોસો જળવાઈ રહે તે માટે પેટ્રોલ પંપ પર E20 ની સમાંતર E10 ઇંધણ આપવું જ જોઈએ.’ ઓટોમોબાઈલ બોડીએ ઉદાહરણ આપ્યું હતું કે દુનિયાના જે દેશો ઊંચા ઇથેનોલ બ્લેન્ડિંગ તરફ વળ્યા છે, તેમણે પણ પરિવર્તનના ગાળા દરમિયાન જૂના વાહનો માટે ઓછા ઇથેનોલવાળા ઇંધણનો વિકલ્પ ચાલુ રાખ્યો હતો.

02

જૂના વાહનોમાં ફેરફાર કરવો અશક્ય જેવો પડકાર

સિયામે અહેવાલમાં સ્પષ્ટ કર્યું હતું કે ભારતમાં વાહનોના અસંખ્ય વેરિઅન્ટ્સ  અને અલગ-અલગ પ્રકારની ફ્યુઅલ સિસ્ટમ કાર્યરત છે. આવી સ્થિતિમાં, ઊંચું ઇથેનોલ ધરાવતા ઇંધણથી વાહનોને બચાવવા માટે તેમાં જૂના પાર્ટ્સ બદલીને નવા પાર્ટ્સ ફિટ કરવા (Retro-fitting) એ એક અતિ મુશ્કેલ અને અવાસ્તવિક કામ છે. લાખો વાહનો માટે અપગ્રેડેડ પાર્ટ્સ બનાવવા અને ગ્રાહકો તેનો ઉપયોગ કરે તે સુનિશ્ચિત કરવું વ્યવહારિક રીતે શક્ય નથી.

કરોડો વાહનો બિનઉપયોગી બનવાનો ભય

વાહન ઉત્પાદકોની ચિંતા માત્ર માઇલેજ પૂરતી સીમિત નહોતી, પરંતુ વાહનોની સુરક્ષા સાથે પણ જોડાયેલી હતી. સિયામે ચેતવણી આપી હતી કે જો E10 પેટ્રોલ બંધ કરી દેવામાં આવે અને માત્ર ઊંચું ઇથેનોલ ધરાવતું પેટ્રોલ જ વિકલ્પ તરીકે બચે, તો મોટી સંખ્યામાં વાહનો એવા ઇંધણ પર ચાલવા મજબૂર થશે જેના માટે તેમનું એન્જિન કે પાર્ટ્સ બનેલા જ નથી.

સબમિશનમાં જણાવાયું હતું કે, ‘આના કારણે 2028 સુધીમાં રસ્તા પર ઉપલબ્ધ વાહનોનો એક બહુ મોટો હિસ્સો બિનઉપયોગી બની શકે છે, કારણ કે આ વાહનો ઊંચા ઇથેનોલ સામે ટકી શકવા સક્ષમ નથી. વધુ પડતા ઇથેનોલને કારણે વાહનોના પાર્ટ્સ ઘસાવા લાગશે, જેનાથી ફ્યુઅલ લીકેજ (પેટ્રોલ ટપકવું) ની સમસ્યા થઈ શકે છે જે સુરક્ષા માટે ગંભીર જોખમ છે. આ સિવાય માઇલેજમાં ઘટાડો અને ડ્રાઇવિંગ પર્ફોર્મન્સ નબળો પડવો, ખાસ કરીને ઓછી ક્ષમતાવાળા ટુ-વ્હીલર્સ (બાઇક-સ્કૂટર) ચલાવવામાં ગ્રાહકોને ભારે મુશ્કેલી પડશે જે તેમને ક્યારેય સ્વીકાર્ય નહીં હોય.’

માઇલેજમાં 6% સુધીના ઘટાડાની આશંકા

ઇંધણની કાર્યક્ષમતા અંગે સિયામે જણાવ્યું હતું કે ઇથેનોલનું કેલરીફિક મૂલ્ય ઓછું હોવાને કારણે, E20 પેટ્રોલના ઉપયોગથી વાહનોની માઇલેજમાં અંદાજે 6% જેટલો ઘટાડો થવાની સંભાવના છે. જોકે, ભવિષ્યમાં બનનારા નવા વાહનોમાં કંપનીઓ ટેક્નોલોજી અને એન્જિન કેલિબ્રેશનમાં ફેરફાર કરીને આ નુકસાનની ભરપાઈ કરી શકે છે, પરંતુ હાલમાં રસ્તા પર દોડતા જૂના વાહનો માટે સમાંતર રીતે E10 પેટ્રોલ ઉપલબ્ધ ન હોવું એ એક ‘ગંભીર ચિંતાનો વિષય’ છે.

સિયામે ઉમેર્યું કે E10 નો પુરવઠો ચાલુ રાખવાથી જૂના વાહનોના માલિકો એ જ ઇંધણનો ઉપયોગ ચાલુ રાખી શકશે જેના માટે તેમના વાહનો મૂળભૂત રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે, અને આ દરમિયાન બજારમાં ધીમે-ધીમે નવા E20 સુસંગત વાહનો પ્રવેશ મેળવશે. આ ઉપરાંત, સિયામે E12 અને E15 જેવા વચગાળાના બ્લેન્ડિંગ લાવવા સામે પણ ચેતવણી આપી હતી, કારણ કે તે સમયે વેચાતા વાહનો મહત્તમ E10 સુધી જ સુરક્ષિત હતા. ટૂંકા ગાળામાં ઇંધણમાં વારંવાર ફેરફાર કરવાથી મુશ્કેલીઓ વધી શકે છે.

08

નિષ્ણાત સમિતિ અને સરકારી સંસ્થાઓના તારણો

આ ભલામણો નીતિ આયોગની આગેવાની હેઠળની એક નિષ્ણાત સમિતિની બેઠકો દરમિયાન આવી હતી, જેમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC), ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ARAI) અને અન્ય હિતધારકો સામેલ હતા. સિયામે જાન્યુઆરી 2021માં આ ચર્ચામાં ભાગ લીધો હતો.

આખરી રોડમેપમાં વાહનોની સુસંગતતા અને એન્જિનમાં જરૂરી ફેરફારોની જરૂરિયાતને સ્વીકારતા, તબક્કાવાર રીતે E20 તરફ આગળ વધવાનું સમર્થન કરાયું હતું. અહેવાલમાં ARAI, ઇન્ડિયન ઓઇલ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ (IIP) ના સંયુક્ત અભ્યાસનો હવાલો આપવામાં આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે E20 થી ઇંધણની ક્ષમતા (માઇલેજ) માં 6% સુધીનો ઘટાડો થાય છે. જોકે, ટેસ્ટિંગ દરમિયાન એન્જિન બંધ પડી જવું, એન્જિનના પાર્ટ્સ વધુ પડતા ઘસાઈ જવા કે એન્જિન ઓઇલ બગડી જવાની કોઈ ગંભીર સમસ્યા જોવા મળી નહોતી.

રોડમેપમાં એ પણ નોંધવામાં આવ્યું હતું કે ઓછા ઇથેનોલ માટે બનેલી કેટલીક ફોર-વ્હીલર્સમાં માઇલેજ 6 થી 7 ટકા અને ટુ-વ્હીલર્સમાં 3 થી 4 ટકા ઘટી શકે છે, જોકે એન્જિનમાં ફેરફાર કરીને આ અસર ઘટાડી શકાય છે. ખાસ વાત એ છે કે, નીતિ આયોગના આ મૂળ રોડમેપમાં પણ પરિવર્તનના ગાળા દરમિયાન જૂના વાહનોની જરૂરિયાતો પૂરી કરવા માટે સમગ્ર દેશમાં E10 પેટ્રોલને ‘પ્રોટેક્શન ફ્યુઅલ’ તરીકે સમાંતર ઉપલબ્ધ રાખવાની ભલામણ કરવામાં આવી હતી.

Bhutan-E20 Petrol
livehindustan.com

સરકારનો પક્ષ: E20 સંપૂર્ણ સુરક્ષિત

અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં સરકારે E20 પેટ્રોલથી એન્જિનને નુકસાન થવાના તમામ દાવાઓને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. સરકારનું કહેવું છે કે સિયામ, એઆરએઆઈ, ઇન્ડિયન ઓઇલ અને વાહન ઉત્પાદકો દ્વારા વ્યાપક અને સઘન પરીક્ષણો કર્યા પછી જ E20 પેટ્રોલ બજારમાં લાવવામાં આવ્યું છે. સરકારના મતે, E20 ને કારણે મોટા પાયે એન્જિન ફેલ થતા હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.

એક તરફ સરકાર E20 ને સંપૂર્ણ સુરક્ષિત અને પ્રમાણિત ગણાવી રહી છે, ત્યારે બીજી તરફ 2021નો આ સત્તાવાર રોડમેપ દર્શાવે છે કે વાહન ઉત્પાદક કંપનીઓએ કરોડો જૂના વાહનોની સુરક્ષા, એન્જિન સુસંગતતા અને માઇલેજની ચિંતાઓને આગળ ધરીને E10 પેટ્રોલ પણ ચાલુ રાખવા માટે મજબૂત પેરવી કરી હતી.

About The Author

Related Posts

Top News

2021ના નીતિ આયોગના રિપોર્ટમાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી પણ...

નીતિ આયોગના વર્ષ 2021ના એક જૂના અહેવાલે દેશમાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ અંગે ઓટોમોબાઈલ ઉદ્યોગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ગંભીર ચિંતાઓ...
Tech and Auto 
2021ના નીતિ આયોગના રિપોર્ટમાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી પણ...

સુરતમાં તો ટોઇલેટ સાફ કરવાનું હાર્પિક પણ નકલી વેચાય છે, કોના પર ભરોસો કરવો?

સુરત ગ્રામ્ય પોલીસે ડુપ્લિકેટ બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ બનાવતા અને વેચતા એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જોળવા ગામમાં દરોડા પાડીને પોલીસે...
Gujarat 
સુરતમાં તો ટોઇલેટ સાફ કરવાનું  હાર્પિક પણ નકલી વેચાય છે, કોના પર ભરોસો કરવો?

જેમની ફરિયાદ પર 8 ની ધરપકડ થઈ તેમને રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી સોંપાઈ; જાણો કોણ છે પૂર્વ IFS કૃષ્ણ મોહન?

ઉત્તર પ્રદેશના હરદોઈના રહેવાસી કૃષ્ણ મોહન હાલમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનો હવાલો સંભાળશે. રામ મંદિર દાન વિવાદના સંદર્ભમાં...
National 
જેમની ફરિયાદ પર 8 ની ધરપકડ થઈ તેમને રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી સોંપાઈ; જાણો કોણ છે પૂર્વ IFS કૃષ્ણ મોહન?

દોઢ મહિના પહેલા 6,695 કરોડના ખર્ચે બનેલો મુંબઈ-પુણે 'મિસિંગ લિંક' બંધ કેમ કરવો પડ્યો?

વાહનવ્યવહાર માટે ખુલ્લી મુકાયાના માંડ ગણતરીના અઠવાડિયામાં જ, મુંબઈ-પુણે એક્સપ્રેસવેના બહુપ્રતીક્ષિત 'મિસિંગ લિંક' સેક્શન સામે પહેલો મોટો...
National 
દોઢ મહિના પહેલા 6,695 કરોડના ખર્ચે બનેલો મુંબઈ-પુણે 'મિસિંગ લિંક' બંધ કેમ કરવો પડ્યો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.