- National
- જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા કેજરીવાલના કેસમાંથી ખસી ગયા અને કેજરીવાલને ઝટકો પણ આપ્યો
જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા કેજરીવાલના કેસમાંથી ખસી ગયા અને કેજરીવાલને ઝટકો પણ આપ્યો
દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ ગુરુવારે (14 મે) કથિત લિકર પોલિસી (આબકારી નીતિ) કેસની સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. તેમણે જણાવ્યું કે, પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી (AAP) ના અન્ય પાંચ નેતાઓ સામે તેમણે પોતે જ ફોજદારી તિરસ્કાર (Criminal Contempt) ની કાર્યવાહી શરૂ કરી હોવાથી, તેઓ આ નેતાઓને નિર્દોષ છોડવા સામેની CBIની અરજી પર આગળ સુનાવણી કરી શકે નહીં.
જસ્ટિસ શર્માએ સ્પષ્ટ કર્યું કે કાયદા મુજબ, જે જજ તિરસ્કારની કાર્યવાહી શરૂ કરે છે તે મુખ્ય કેસની સુનાવણી કરી શકતા નથી. તેથી, હવે આ મામલો ચીફ જસ્ટિસના આદેશને આધીન અન્ય બેંચને ટ્રાન્સફર કરવામાં આવશે.

સુનાવણી દરમિયાન જસ્ટિસ શર્માએ ભારપૂર્વક જણાવ્યું હતું કે AAP નેતાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી 'રેક્યુઝલ' (જજને કેસમાંથી હટી જવા માટેની) અરજીઓને ફગાવી દેવાના પોતાના નિર્ણય પર તેઓ આજે પણ અડગ છે.
તેમણે કોર્ટમાં કહ્યું કે હું કેસમાંથી હટી જવાના મારા આદેશ પર કાયમ છું. હું તેમાં એક પણ શબ્દ નહીં બદલું... હું આ સંસ્થા (ન્યાયતંત્ર) માટે અને મારા પોતાના આત્મસન્માન માટે ઊભી રહી છું. પરંતુ, કાયદાની મર્યાદા હેઠળ, જે જજ તિરસ્કારની કાર્યવાહી શરૂ કરે છે તે મુખ્ય કેસ સાંભળી શકતા નથી... તેથી રેક્યુઝલનો આદેશ એમ જ રહેશે, પરંતુ હું આ કેસ બીજી કોર્ટમાં મોકલી રહી છું. હું આ મામલાને ચીફ જસ્ટિસ સમક્ષ લિસ્ટ કરીશ જેથી અન્ય કોઈ જજ આ કેસની સુનાવણી કરી શકે.
અરવિંદ કેજરીવાલ ઉપરાંત જસ્ટિસ શર્માએ AAP નેતાઓ મનિષ સિસોદિયા, દુર્ગેશ પાઠક, સંજય સિંહ, વિનય મિશ્રા અને સૌરભ ભારદ્વાજ સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી શરૂ કરી છે.
અરવિંદ કેજરીવાલે જસ્ટિસ શર્મા પર 'હિતોના ટકરાવ' (Conflict of Interest) નો આરોપ લગાવ્યો હતો અને દલીલ કરી હતી કે જજના સંતાનો કેન્દ્ર સરકારની પેનલના વકીલ છે. આ અંગે જજે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, આ આક્ષેપો માત્ર કોર્ટરૂમ પૂરતા મર્યાદિત નહોતા રહ્યા, પરંતુ સોશિયલ મીડિયા પર તેમના પરિવારને પણ ઘસડવામાં આવ્યો હતો.
આ મામલે કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ AAP નેતાઓના વલણની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે એવા ઘણા યુવા વકીલો છે, જેઓ જજોના પુત્ર-પુત્રીઓ છે અને તેમની ઓફિસ સાથે જોડાયેલા છે.

તુષાર મહેતાએ જણાવ્યું કે હું ક્યારેય એવી કોર્ટમાં કોઈ કેસ (બ્રીફ) સ્વીકારતો નથી જ્યાં મારી સાથે પ્રેક્ટિસ કરનાર કોઈ વકીલ હાજર થવાનો હોય. તમારા (જસ્ટિસ શર્માના) બાળકો મારી ઓફિસમાં કામ નથી કરતા. અહીં એક ચોક્કસ નેરેટિવ (વલણ) ઊભું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે... દરેક જજને એવો સંદેશ આપવામાં આવી રહ્યો છે કે અમે તમને કલંકિત કરીશું. પરંતુ આ સંસ્થા (ન્યાયતંત્ર) એટલી મજબૂત છે કે અમે અમારી સભ્યતા ગુમાવી શકીએ નહીં.
સોલિસિટર જનરલે કોર્ટને જણાવ્યું કે આવા અરજદારો (લિટિગન્ટ્સ) સામે નિપટવા માટે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરવામાં આવશે અને આ માટે કેટલીક ગાઈડલાઈન્સ હોવી જરૂરી છે.
મહેતાએ જસ્ટિસ શર્માને આ કેસની સુનાવણી ચાલુ રાખવા માટે વિનંતી કરી હતી, પરંતુ જજે કહ્યું કે ન્યાયિક શિસ્ત (Judicial Discipline) ની માગ છે કે આ મામલો અન્ય બેંચને ટ્રાન્સફર કરવામાં આવે. ત્યારબાદ, તુષાર મહેતાએ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો કે આ મામલો ગમે તે કોર્ટમાં જાય, પરંતુ (નીચલી કોર્ટનો) આરોપીઓને છોડી મૂકવાનો આદેશ ટકી શકશે નહીં.

