દિલ્હીમાં ખાડામાં પડતા કમલે જીવ ગુમાવ્યો, પરિવાર રાત્રે પોલીસ સ્ટેશન ગયો તો પોલીસે સવારે બોલાવ્યા

નોઈડાના યુવરાજની જેમ જ, દિલ્હીના કમલનું પણ ખાડામાં પડી જવાથી મૃત્યુ થયું. સોમવારે મોડી રાત્રે કમલ રોહિણી સ્થિત તેની ઓફિસથી ઘરે પરત ફરી રહ્યો હતો. રસ્તામાં તે તેના પરિવારના સભ્યો સાથે સતત સંપર્કમાં હતો, પરંતુ જ્યારે તે નિયત સમયે ઘરે ન પહોંચ્યો, ત્યારે તેનો પરિવાર ચિંતિત થઈ ગયો અને તેને શોધવા ગયો. પરિવારના સભ્યોનો આરોપ છે કે, તેઓએ આખી રાત જનકપુરી, સાગરપુર, વિકાસપુરી અને રોહિણી સહિત અડધા ડઝનથી વધુ પોલીસ સ્ટેશનોની મુલાકાત લીધી, પરંતુ તેમની ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવી ન હતી.

પરિવારનું કહેવું છે કે, આખરે સવારે 7:30 વાગ્યે તેમને પોલીસ તરફથી ફોન આવ્યો, જેના કારણે આ ઘટના બહાર આવી હતી. ઘટનાસ્થળે પહોંચ્યા પછી, કમલ તેની બાઇક સાથે ખુલ્લા ખાડામાં પડેલો મળી આવ્યો. હાલમાં, પરિવાર અકસ્માત માટે પાણી બોર્ડની બેદરકારીને દોષી ઠેરવી રહ્યો છે. તેમને એવી પણ શંકા છે કે, આ કોઈ અકસ્માત ન હોઈ શકે, પરંતુ કોઈએ કમલની હત્યા કરીને તેના મૃતદેહને ખાડામાં ફેંકી દીધો હશે. પોલીસ કહે છે કે, તેઓ તમામ પાસાઓ ધ્યાનમાં લઈને આ કેસની તપાસ કરી રહ્યા છે.

મિત્રોએ જણાવ્યું કે, કમલ એક બેંક કોલ સેન્ટરમાં કામ કરતો હતો અને છેલ્લા ત્રણ વર્ષથી દરરોજ ઓફિસ આવતો અને જતો હતો. પરિવાર અને મિત્રોના જણાવ્યા અનુસાર, તેણે સોમવારે રાત્રે લગભગ 11:53 વાગ્યે તેમની સાથે છેલ્લી વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે જિલ્લા કેન્દ્ર પહોંચી ગયો છે અને વધુમાં વધુ 15 મિનિટમાં ઘરે પહોંચી જશે.

Kamal-Dies-Ditch2
aajtak.in

એવું કહેવામાં આવી રહ્યું છે કે કમલ દરરોજ આ જ રસ્તે આવતો હતો. તેણે ક્યારેય પોતાનો રૂટ બદલ્યો ન હતો, કે તે ક્યારેય મોડો નહોતો પડ્યો. પરંતુ તે રાત્રે 15 મિનિટ ઉપર થઇ ગઈ હતી, પછી અડધો કલાક પસાર થઇ ગયો, અને જ્યારે તે ઘરે ન પહોંચ્યો, ત્યારે ચિંતા વધવા લાગી. તેને ફોન કોલ કરવામાં આવ્યો, પરંતુ કોલ રિસીવ થયો નહીં. પરિવારના સભ્યો અને મિત્રોએ પહેલા પોતાના સ્તરે શોધખોળ શરૂ કરી. શક્ય રૂટ, ચાર રસ્તા અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી, પરંતુ ક્યાંય કોઈ સુરાગ મળ્યો ન હતો.

પરિવાર તે રાત્રે જનકપુરી પોલીસ સ્ટેશન ગયા અને ગુમ થયાની ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો. કથિત રીતે, પોલીસે ફરિયાદ નોંધવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે પોલીસે કહ્યું હતું કે, ગુમ થયાની ફરિયાદ 24 કલાક પછી જ નોંધાય છે. પરિવારનું કહેવું છે કે તેમણે પોલીસને વિનંતી કરી હતી કે ઓછામાં ઓછું મોબાઇલ ફોનનું લોકેશન ટ્રેક કરે અને તે ચાલુ હોય ત્યારે મદદ કરે. પરિવારના જણાવ્યા મુજબ, પોલીસે મોબાઇલ ફોનનું લોકેશન ટ્રેક કર્યું અને લોકેશન પણ શેર કર્યું, પરંતુ તે ઝડપથી ડિલીટ કરી દેવામાં આવ્યું. વધુ માહિતી માટે પૂછવામાં આવતા, ગુપ્તતાનો હવાલો આપીને લોકેશન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો. પરિવારને ફક્ત એટલું જ કહેવામાં આવ્યું હતું કે ફોન પાર્કના 200 મીટરના ત્રિજ્યામાં સ્થિત છે. બે પોલીસ અધિકારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા અને પાર્કની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ કંઈ મળ્યું ન હતું. પરિવાર પ્રશ્ન કરે છે કે, જ્યારે આટલો સ્પષ્ટ વિસ્તાર જાણીતો હતો, ત્યારે આખા વિસ્તારની સંપૂર્ણ શોધ કેમ ન કરવામાં આવી.

પરિવારનો એવો આરોપ છે કે આ પછી પોલીસે આગળની કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે રાત્રે શોધ શક્ય નથી અને ટીમ સવારે આવશે. તેમને ફરિયાદ નોંધાવવા માટે પણ બીજા દિવસે આવવાનું કહેવામાં આવ્યું હતું. આ દરમિયાન, યુવકના પિતા, મિત્રો અને સંબંધીઓ આખી રાત રસ્તાઓ પર ભટકતા રહ્યા. જનકપુરી, રોહિણી સેક્ટર-10, D-બ્લોક, ડાબરી, સાગરપુર અને લગભગ સાત અન્ય પોલીસ સ્ટેશનો સહિત વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગયા હતા. પરંતુ પરિવારના સભ્યોનો દાવો છે કે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં કોઈ ઔપચારિક ફરિયાદ નોંધવામાં ન આવી.

Kamal-Dies-Ditch1
livehindustan.com

પરિવારનો આરોપ છે કે, તેમને સાગરપુર પોલીસ સ્ટેશનમાં પાછા મોકલી દેવામાં આવ્યા હતા, અને તેમને કહેવામાં આવ્યું હતું કે આવા કિસ્સાઓ રોજ બને છે. તેમને ફક્ત યુવાનનું નામ, બાઇક નંબર, ફોન નંબર અને ફોટો લઈને વોટ્સએપ ગ્રુપ પર પોસ્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું. પરિવાર કહે છે કે જો આ જ પ્રક્રિયા છે, તો સમયસર કાર્યવાહી કેવી રીતે કરી શકાય? આખી રાત શોધખોળ કર્યા પછી, પરિવાર સવારે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે મૃતકના ભાઈની પર ફોન આવ્યો. ફોન કરનારે તેમને જાણ કરી કે યુવાનનો અકસ્માત થયો છે અને તેમને ઘટનાસ્થળે તરત જ આવવાનું કહ્યું. એવું કહેવાય છે કે અકસ્માતનું સ્થાન એ જ વિસ્તાર હતું, જ્યાં તે રાત્રે પહેલા મોબાઇલ ફોન લોકેશનની જાણ કરવામાં આવી હતી.

ઘટનાસ્થળે પહોંચ્યા પછી ખબર પડી કે, રસ્તા પર એક મોટો, ખુલ્લો, અવરોધ મુક્યા વગરનો ખાડો હતો. પ્રારંભિક માહિતી મુજબ, બાઇક ચલાવતો યુવાન રાત્રિના અંધારામાં ખાડામાં પડી ગયો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. સ્થાનિક લોકોનું કહેવું છે કે રસ્તા પર પૂરતી લાઇટિંગ, ચેતવણી ચિહ્નો કે સલામતી બેરિકેડનો અભાવ હતો. ખાડો ઘણા સમયથી ખુલ્લો હતો.

પરિવારના સભ્યો પ્રશ્ન કરે છે કે, જો રસ્તા પર કામ ચાલી રહ્યું હતું, તો સલામતીની વ્યવસ્થા કેમ કરવામાં આવી ન હતી. જો રસ્તો બંધ હતો, તો તેને યોગ્ય રીતે કેમ સીલ કરવામાં આવ્યો ન હતો. એવો પણ પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે કે, ખાડો કઈ એજન્સી હેઠળ આવે છે, મ્યુનિસિપલ કોર્પોરેશન, પાણી બોર્ડ કે અન્ય કોઈ વિભાગ અને શું રસ્તો ખોદીને તેને એમ જ ખુલ્લો છોડી દેવામાં આવ્યો હતો.

Kamal-Dies-Ditch3
statemirror.com

પરિવારના સભ્યો કહે છે કે શરૂઆતમાં પોલીસને શંકા હતી કે યુવાન નશામાં હતો, જ્યારે પરિવારનો દાવો છે કે તે નશાનું સેવન કરતો ન હતો અને આ જ રસ્તા પર દરરોજ મુસાફરી કરતો હતો. પરિવારનું એમ પણ કહેવું છે કે, જો રાત્રે જ ગંભીરતાથી શોધખોળ કરવામાં આવી હોત, તો કદાચ સત્ય સમયસર બહાર આવી શક્યું હોત.

દિલ્હી પોલીસનું કહેવું છે કે, કમલના પરિવારે તેની શોધ કરવાની શરુ કરતાની સાથે જ તેમણે આ બાબતને ગંભીરતાથી લીધી અને તાત્કાલિક કાર્યવાહી કરી. પોલીસના જણાવ્યા અનુસાર, લગભગ 12:30 વાગ્યે, પરિવાર વિકાસપુરી પોલીસ સ્ટેશન પહોંચ્યો, જ્યાં પોલીસે કમલનો ફોટો માંગ્યો અને ઉપલબ્ધ વિગતોના આધારે, અકસ્માત અને MLC કોલ્સની તપાસ કરી. ત્યારપછી, લગભગ 2:30 વાગ્યે, પરિવાર જનકપુરી પોલીસ સ્ટેશન પહોંચ્યો, જ્યાં સબ-ઇન્સ્પેક્ટર અવંતે પરિવારની વાત સાંભળી, કમલનો ફોટો ફરીથી લીધો અને મોબાઇલ ટાવરનું સ્થાન નક્કી કર્યું. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના સ્થળથી આશરે 200 મીટરની ત્રિજ્યામાં સ્થાન મળી આવ્યું હતું. દિલ્હી પોલીસનો દાવો છે કે ત્યારપછી આસપાસના વિસ્તારમાં લગભગ બે કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. હેડ કોન્સ્ટેબલ સહિત પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે તૈનાત હતા અને શક્ય સંકેતો શોધવા માટે શોધ કરી રહ્યા હતા. પોલીસ કહે છે કે તેઓ આખી રાત પરિવાર સાથે રહ્યા, શક્ય તમામ સહાય પૂરી પાડી, અને પોલીસ ટીમ તેમના સતત સંપર્કમાં રહી.

પોલીસના જણાવ્યા અનુસાર, વધુ પોલીસ અધિકારીઓને ચેતવણી આપવા અને યુવાનની ઝડપી શોધ માટે કમલનો ફોટો અને માહિતી જિલ્લા સ્તરના વોટ્સએપ ગ્રુપ પર શેર કરવામાં આવી હતી. દિલ્હી પોલીસ એમ પણ કહે છે કે, પોલીસ દળ આખી રાત પરિવાર સાથે રહ્યું. સવારે લગભગ 8:03 વાગ્યે, એક સ્થાનિક નાગરિકે PCRને ફોન કર્યો અને ખાડામાં એક બાઇક અને એક માણસ જોયો હોવાની જાણ કરી. કોલ મળતાં, પોલીસ ટીમ માત્ર ત્રણ મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ. ત્યારપછી ફાયર વિભાગને ફોન કરવામાં આવ્યો, અને સવારે 8:30 વાગ્યે કમલનો મૃતદેહ ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યો. દિલ્હી પોલીસ કહે છે કે તમામ પાસાઓ ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે, અને ઘટનાની આસપાસના તથ્યોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.

About The Author

Related Posts

Top News

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF)ના ચીફના નિવેદનથી વિશ્વભરમાં ફેલાયો ગભરાટ!

અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે વિશ્વભરમાં ઉથલપાથલ થઇ ગઈ છે. તેલ પુરવઠામાં વિક્ષેપને કારણે શિપિંગ ખર્ચ અને મોંઘવારી વધી છે. આ દરમિયાન...
Business 
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF)ના ચીફના નિવેદનથી વિશ્વભરમાં ફેલાયો ગભરાટ!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-04-2026 દિવસ: શુક્રવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

BYDએ સૌથી નાની કારAtto 1 લોન્ચ કરી; 380 Kmની રેન્જ, કાર નાની છે પણ કિંમત મોટી છે

BYD કંપનીએ તેની સૌથી નાની કાર લોન્ચ કરી છે. અમે વાત કરી રહ્યા છીએ BYD Atto 1 વિશે, જે...
Tech and Auto 
BYDએ સૌથી નાની કારAtto 1 લોન્ચ કરી; 380 Kmની રેન્જ, કાર નાની છે પણ કિંમત મોટી છે

‘રીલ જોતી હતી એટલે જીવું છું’, મથુરા બોટ દુર્ઘટનામાં બચેલી મહિલાનો દાવો

વૃંદાવન, મથુરા (ઉત્તર પ્રદેશ)માં થયેલા દુ:ખદ નાવ અકસ્માત વચ્ચે એક ચોંકાવનારી કહાની સામે આવી છે. અકસ્માતમાં બચી ગયેલી અને...
National 
‘રીલ જોતી હતી એટલે જીવું છું’, મથુરા બોટ દુર્ઘટનામાં બચેલી મહિલાનો દાવો
Copyright (c) Khabarchhe All Rights Reserved.