- National
- જેને ચૂંટણીમાં હરાવ્યા તેમનું સન્માન કરીને કોંગ્રેસના ધારાસભ્યએ પૂર્વ ધારાસભ્ય પાસે પુલનું ઉદ્ઘાટન ક...
જેને ચૂંટણીમાં હરાવ્યા તેમનું સન્માન કરીને કોંગ્રેસના ધારાસભ્યએ પૂર્વ ધારાસભ્ય પાસે પુલનું ઉદ્ઘાટન કરાવ્યું
કેરળમાં એક અનોખો રાજકીય માહોલ જોવા મળ્યો છે. રાજકારણીઓ સામાન્ય રીતે કોઈ પ્રોજેક્ટનો શ્રેય લેવા માટે સ્પર્ધા કરતા હોય છે. જોકે, કેરળમમાં આ પરિસ્થિતિ થોડી અલગ હતી. કોટ્ટાયમ જિલ્લાના પુંજર વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા કોંગ્રેસના ધારાસભ્ય સેબેસ્ટિયન MJએ તેમના પુરોગામીના કાર્યકાળ દરમિયાન બનેલા પુલનું ઉદ્ઘાટન પોતે એકલાએ કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યારપછી ભૂતપૂર્વ ધારાસભ્યને પણ આમંત્રણ આપવામાં આવ્યું અને પછી બંને નેતાઓએ સાથે મળીને રિબન કાપીને પુલનું લોકાર્પણ કર્યું. કોંગ્રેસના ધારાસભ્યએ દલીલ કરી હતી કે, આખો પુલ ભૂતપૂર્વ ધારાસભ્યના નેતૃત્વ હેઠળ પૂર્ણ થયો હતો, અને તેઓએ એકલા તેનું ઉદ્ઘાટન કરી દીધું હોતે તો તે ખોટું હોત.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, પુલનું બાંધકામ ભૂતપૂર્વ ધારાસભ્ય સેબેસ્ટિયન કુલાથુનકલના કાર્યકાળ દરમિયાન શરૂ થયું હતું. તેમણે પ્રોજેક્ટ માટે તેમના ધારાસભ્ય ભંડોળમાંથી રુ. 80 લાખનું દાન પણ આપ્યું હતું. ત્યારપછીની ચૂંટણીઓમાં કુલાથુનકલ કોંગ્રેસના નેતા સામે હારી ગયા.
એક સ્થાનિક સંસ્થાના નેતાએ જણાવ્યું હતું કે, જ્યારે ધારાસભ્યને આ વિશે જાણ કરવામાં આવી, ત્યારે તેમણે સૂચવ્યું કે ભૂતપૂર્વ ધારાસભ્ય તેનું ઉદ્ઘાટન કરે. ત્યારપછી તૈયારીઓ કરવામાં આવી હતી, અને બંને નેતાઓએ શુક્રવારે સંયુક્ત રીતે તેનું ઉદ્ઘાટન કર્યું હતું. ખાસ વાત એ હતી કે, હાલના ધારાસભ્યનું નામ લોકાર્પણ તકતી પર લખેલું ન હતું.
કાર્યક્રમમાં હાજર જનતાને સંબોધતા, ધારાસભ્યએ પુલના બાંધકામ માટે ભૂતપૂર્વ ધારાસભ્યને શ્રેય આપ્યો. તેમણે કહ્યું, 'પૂલના બાંધકામ માટે ભૂતપૂર્વ ધારાસભ્યને બધો શ્રેય જાય છે. જો તેમણે ભંડોળ ફાળવ્યું ન હોત, તો તેનું ઉદ્ઘાટન આ રીતે ન થયું હોત. કારણ કે ભૂતપૂર્વ ધારાસભ્ય આ બધા શ્રેયને લાયક છે, હું કહેવા માંગુ છું કે તેમણે જ તેનું ઉદ્ઘાટન કર્યું છે.' તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, પુલના બાંધકામનો શ્રેય તે બધાને જાય છે જેમણે ભંડોળ ફાળવણી દરમિયાન કામ કર્યું અને તેને આગળ વધાર્યું.
હાલના ધારાસભ્યએ કહ્યું, 'પૂર્વ ધારાસભ્ય દ્વારા તેનું ઉદ્ઘાટન કરાવવું મારા માટે અપમાનજનક નથી. મને ક્યારેય એવો વિચાર પણ નથી આવ્યો. જો તેમણે ભંડોળ પૂરું પાડ્યું છે, તો આપણે તેમનું સન્માન કરવું જોઈએ અને તેમના હાથે જ ઉદ્ઘાટન કરાવવું જોઈએ. આ જ રાજકારણ છે. રાજકારણનો મતલબ જ સામાજિક વિકાસ છે.

