- National
- કેરળમમાં કોંગ્રેસની જીતના હીરો VD સતીસન CM બનશે; અહીં જાણો તેમની રાજકીય સફર કેવી રીતે આગળ વધી
કેરળમમાં કોંગ્રેસની જીતના હીરો VD સતીસન CM બનશે; અહીં જાણો તેમની રાજકીય સફર કેવી રીતે આગળ વધી
કેરળમના CMને લઈને 10 દિવસથી ચાલી રહેલા સસ્પેન્સનો આજે અંત આવ્યો છે. ગુરુવારે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં VD સતીસનને નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. કોંગ્રેસના પ્રભારી દીપા દાસ મુનશીએ દિલ્હીમાં એક પત્રકાર પરિષદ દરમિયાન VD સતીસનના નામની જાહેરાત કરી હતી. આમ, 10 વર્ષ પછી સત્તામાં પરત ફરેલી કોંગ્રેસે આખરે CM તરીકે સતીસનના નામને મંજૂરી આપી દીધી છે.
2026ની કેરળમ વિધાનસભા ચૂંટણી પહેલા, સતીસને જાહેરાત કરી હતી કે, જો કોંગ્રેસની આગેવાની હેઠળના UDF ગઠબંધનને નિર્ણાયક જીત નહીં મળે તો તેઓ રાજકારણમાંથી નિવૃત્તિ લઇ લેશે. આ એક સાહસભર્યું નિવેદન હતું, જેણે કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ જગાવ્યો. આમ, ઘણા વિચાર-વિમર્શ પછી, કોંગ્રેસે વિજયના હીરો રહેલા VD સતીસનને સત્તા સોંપવાનો નિર્ણય લીધો છે.
કેરળમના ઘણા કોંગ્રેસ કાર્યકરો માટે, આ જીત 2021ની વિધાનસભા ચૂંટણીમાં મળેલી હારની સાથે જોડાયેલી છે, જ્યારે રાહુલ ગાંધીએ સતીસનને વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કર્યા હતા. તે સમયે જોખમી અને અનિશ્ચિત લાગતો નિર્ણય કેવી રીતે વિજયની ચાવી બની ગયો. VD સતીસન માત્ર વાતાવરણ જ નહોતું સેટ કર્યું, પરંતુ ડાબેરીઓને પણ સત્તામાંથી બહાર કાઢ્યા. આ સંદર્ભમાં, અમે તમને બતાવી દઈએ છીએ કે, VD સતીસન કોણ છે અને તેમણે તેમની રાજકીય કારકિર્દી કેવી રીતે શરૂ કરી.
VD સતીસનનો જન્મ 31 મે, 1964ના રોજ કેરળમના એર્નાકુલમ જિલ્લાના નેટ્ટૂરમાં થયો હતો. તેમના પિતાનું નામ K. દામોદરન મેનન છે અને તેમની માતાનું નામ V.P. સરસ્વતી અમ્મા છે. VD સતીસનની સફર વિદ્યાર્થી રાજકારણની ગલીઓમાંથી શરૂ થઈ હતી અને સત્તાના સિંહાસન સુધી પહોંચી હતી. તેઓ એક તીક્ષ્ણ વક્તા, તર્કસંગત નેતા અને નીતિગત મુદ્દાઓની ઊંડી સમજ ધરાવતા રાજકારણી તરીકે ઓળખાય છે.
એર્નાકુલમ જિલ્લાના નેટ્ટૂરના રહેવાસી VD સતીસન, વિદ્યાર્થી તરીકે તેમની રાજકીય સફર શરૂ કરી હતી. સતીસનની રાજકીય કારકિર્દી તેમના કોલેજકાળ દરમિયાન શરૂ થઈ હતી. તેઓ કોંગ્રેસના વિદ્યાર્થી પાંખ કેરળ વિદ્યાર્થી સંઘમાં જોડાયા હતા. એર્નાકુલમની પ્રતિષ્ઠિત મહારાજા કોલેજ અને ત્યાર પછી ગવર્નમેન્ટ લૉ કોલેજમાં અભ્યાસ કરતી વખતે તેઓ વિદ્યાર્થી રાજકારણમાં ખૂબ જ સક્રિય હતા. તેમની નેતૃત્વ ક્ષમતાઓને ઓળખીને, તેમને KSUના રાજ્ય પ્રમુખ અને ત્યાર પછી ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
હાઈકોર્ટના વકીલ VD સતીસન, પ્રથમ વખત 1990ના દાયકાના મધ્યમાં પરવુર વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ જીત મેળવી શક્યા ન હતા. તેમણે ટૂંક સમયમાં આ અસફળતાને એક નવી તકમાં ફેરવી દીધી. તેમના આગામી પ્રયાસમાં, તેમણે 2001માં જંગી વિજય મેળવ્યો અને ત્યારપછી સતત આ બેઠક જાળવી રાખતા બે દાયકાથી વધુ સમય દરમિયાન પાયાની મજબૂત પકડ બનાવી હતી.
સતીસનને કેરળમના ભૂતપૂર્વ CM K. કરુણાકરણના નજીકના માનવામાં આવે છે. તેઓ 2006, 2011, 2016 અને 2021માં પરવુરથી સતત જીત્યા. આમ, વિધાનસભામાં તેમની રાજકીય કારકિર્દી 25 વર્ષથી વધુ લાંબી છે.
VD સતીસનને કોંગ્રેસ સંગઠનથી લઈને સત્તા સુધીનો અનુભવ છે. તેમણે પાર્ટીમાં સંગઠનાત્મક ભૂમિકાઓ પણ નિભાવી છે, જેમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિ (AICC)ના સચિવ અને કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ જેવા હોદ્દાઓનો સમાવેશ થાય છે. તેમના વ્યવસ્થિત અભિગમ માટે જાણીતા, સતીસન પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા પહેલા કોઈપણ મુદ્દાને સંપૂર્ણ રીતે સમજવાની તેમની આદત દ્વારા પોતાને અલગ પાડતા હતા.
VD સતીસનની સૌથી મોટી તાકાત તેમનું સંસદીય જ્ઞાન અને ડેટા-આધારિત વાતની રજૂઆત કરવાની છે. વિધાનસભામાં, તેમણે સૌર કૌભાંડ અને બાર લાંચ કેસ જેવા મુખ્ય મુદ્દાઓ પર તત્કાલીન સરકારને મુશ્કેલીમાં મૂકી હતી.
2021ની કેરળમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના UDFની હાર પછી, પાર્ટીમાં પરિવર્તનની માંગણીઓ ઉભી થઈ. હાઈકમાન્ડે યુવા અને અનુભવી ચહેરાઓને આગળ લાવવા માટે રમેશ ચેન્નીથલાને બદલે VD સતીસનને વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કર્યા.
કેરળમમાં કોંગ્રેસને પુનર્જીવિત કરવા અને CM પિનરાઈ વિજયનની સરકારને મજબૂત પડકાર આપવા માટે VD સતીસનને આ જવાબદારી સોંપવામાં આવી હતી.
VD સતીસનના આ અભિગમ અને વિધાનસભામાં તેમના ઝડપી અને અસરકારક હસ્તક્ષેપોએ તેમને કોંગ્રેસમાં મજબૂત સ્થાન સ્થાપિત કરવામાં મદદ કરી, ભલે તેમને લાંબા સમય સુધી કારોબારી પદ ન મળી શક્યું. તેમણે સમુદાય અને ધાર્મિક સંગઠનો સાથે કામકાજનાં સંબંધો જાળવી રાખીને તુષ્ટિકરણના ખુલ્લેઆમ પ્રદર્શનને ટાળતા રહ્યા.

