- Agriculture
- ગુજરાત સરકારે ખેડૂતો માટે લીધા મહત્ત્વના નિર્ણયો
ગુજરાત સરકારે ખેડૂતો માટે લીધા મહત્ત્વના નિર્ણયો

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની સતત પાંચમી વીડિયો કોન્ફરન્સ કેબિનેટમાં રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણ અને આરોગ્યલક્ષી બાબતો, પીવાના પાણીની સ્થિતિ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના પૂરવઠાની ઉપલબ્ધિ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ વીડિયો કોન્ફરન્સ કેબિનેટ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા ગાંધીનગરથી તેમજ અન્ય મંત્રીઓ પોતાના જિલ્લાઓમાંથી સહભાગી થયા હતા. રાજ્ય મંત્રીમંડળની આ વીડિયો કોન્ફરન્સ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની વિગતો મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આપી હતી.
મુખ્યમંત્રીએ રાજ્યના તમામ જિલ્લા કલેકટરોને સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે, ઊનાળાની ઋતુમાં રાજ્યમાં પીવાના પાણીની કોઇ મુશ્કેલી ઊભી ન થાય. એ માટે જિલ્લા કલેકટરે સ્વયં દેખરેખ રાખે. તેમણે એવી પણ તાકીદ કરી કે, અત્યારે રાજ્યમાં પીવાના પાણીનો જથ્થો પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે ત્યારે વિતરણ વ્યવસ્થાની કોઇ ખામી ન સર્જાય તે કલેકટરો સુનિશ્ચિત કરે. મુખ્યમંત્રીએ જિલ્લાઓના ગ્રામીણ ક્ષેત્રોમાં કે અન્યત્ર જ્યાં હેન્ડપંપ બગડી ગયા હોય કે પાણી ઊંડું ગયું હોય ત્યાં રિપેરીંગ ગેંગ મોકલીને સત્વરે ચાલુ કરાવી દેવા પણ સૂચનાઓ આપી છે.
કોરોના વાયરસના વ્યાપક સંક્રમણની સ્થિતિમાં હવે તેનો વ્યાપ વધુ ફેલાય નહિ તેની તકેદારીઓ રાખવાની સ્પષ્ટ સૂચનાઓ મુખ્યમંત્રીએ આપી હતી. તેમણે જ્યાં વધુ પ્રમાણમાં લોકો આવતા-જતા હોય તેવા APMC, માર્કેટયાર્ડ, જાહેર સ્થળો, બજારો વગેરે સ્થળે જિલ્લાતંત્ર દ્વારા થર્મલગન, સેનીટાઇઝર વગેરેના ઉપયોગ માટે જિલ્લા કલેકટરોને સુચનાઓ કરી હતી તેની વિગતો પણ મુખ્યમંત્રીના સચિવે આપી હતી. મુખ્યમંત્રીએ રાજ્યના તુવેર તથા એરંડા-ચણા પકવતા ખેડૂતોના વ્યાપક હિતમાં પણ આ વીડિયો કોન્ફરન્સ કેબિનેટમાં મહત્વપૂર્ણ નિર્યો કર્યા છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીના સચિવે જણાવ્યું કે, રવિ સિઝન 2020-21માં ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ મળે તેવા ઉદાત્ત ભાવથી આગામી શુક્રવાર તા. 1 મે થી તા. 5 મી મે-2020 સુધી તુવેરની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના 103 ગોડાઉન ખાતે કરવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે. અગાઉ સરકારે તા. 1-12-2019થી તા. 15-1-2020 સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન તેમજ તા. 1-1-2020થી તા. 30-3-2020 સુધી 90 દિવસ ખરીદીનો સમય નિર્ધારીત કરેલો હતો. જેમાં 16,345 હજાર ખેડૂતોનું રજિસ્ટ્રેશન થવા પામ્યું હતું. તે પૈકીના 3881 ખેડૂતોએ 6514 મે.ટન તુવેર દાળનું વેચાણ કરેલું છે.
વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ કોવિડ-19ને પગલે જાહેર કરાયેલા દેશવ્યાપી લોકડાઉનની સ્થિતિમાં ખરીદી તા.23 માર્ચથી મુલત્વી રાખવામાં આવેલી હતી. મુખ્યમંત્રીએ હવે તા. 1 મે શુક્રવારથી તા. 5 મે-2020 સુધી આ ખરીદી પૂન: શરૂ કરવાના લીધેલા નિર્ણયને કારણે જે ખેડૂતોએ અગાઉ તા. 23.3.2020 સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લીધેલું છે તેવા ખેડૂતો પૈકીના તુવેર વેચાણ માટે બાકી રહેલા 12417 ખેડૂતોના તુવેરના જથ્થાની ખરીદી તા. 1 મે-2020થી તા. 5-5-2020 સુધી કરાશે. ખરીદી અને પ્રાપ્તિની શરૂઆત કરવામાં આવશે.
મુખ્યમંત્રીના સચિવે એમ પણ કહ્યું કે ભીડભાડ ન થાય તે રીતે સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવીને નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનો પર આ પ્રક્રિયા હાથ ધરવાની અને ક્રમાનુસાર ખરીદીની મુખ્યમંત્રીએ સુચનાઓ આપી છે. તેમણે પ્રવર્તમાન કોરોના વાયરસના વ્યાપક સંક્રમણની સ્થિતિમાં ખેડૂતો દ્વારા માસ્કનો ઉપયોગ તથા ખરીદ કેન્દ્ર ખાતે સેનેટાઇઝરની સુવિધા ઉપલબ્ધ કરાવવા અને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા પણ ખાસ તાકીદ કરી છે.
હાલમાં નોવેલ કોરોના વાયરસના વ્યાપક સંક્રમણના કિસ્સાઓ વધતા આ સંક્રમણ અટકાવવા એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે, ખેડૂતોને SMS કરીને ટાઇમ સ્લોટ અને તારીખ જણાવવામાં આવે તે મુજબ તેઓએ તુવેર વેચાણ માટે આવવાનું રહેશે. વિજય રૂપાણીએ રાજ્યમાં ગુજકોમાસોલ દ્વારા તા. 1લી મે થી ચણા અને રાયડાની ખરીદી શરૂ થવાની છે તેમાં પણ કોઇ સમસ્યા ન આવે, મુશ્કેલી ન સર્જાય તે માટે ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ કૃષિ મંત્રી આર. સી. ફળદુ, મંત્રી જયેશ રાદડિયા તેમજ ઇશ્વરસિંહ પટેલ સાથે વીડિયો કોન્ફરન્સીંગ બેઠક યોજી હતી.
આ અંગેની વિગતોમાં મુખ્યમંત્રીના સચિવે કહ્યું કે, ચણા-રાયડાની ખરીદી પ્રક્રિયામાં પણ ભીડભાડ ન થાય, સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને માસ્ક વગેરેનો ઉપયોગ અવશ્ય થાય તે સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ જિલ્લાઓમાં મનરેગાના કામો ઝડપથી ચાલુ કરવા સાથોસાથ સુજલામ સુફલામ જળ અભિયાનના કામો પણ શરૂ કરવા અને ખોદવામાં આવતા તળાવ-ચેકડેમની માટી ખેડૂતોને તેમના ખેતરમાં વિનામૂલ્યે લઇ જવા આપી દેવાય તેની પણ કલેકટરોને તાકીદ કરી હતી.
તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામો પણ ત્વરાએ શરૂ કરવાની અને લાભાર્થીઓને તેનો લાભ મળે તે જોવાની પણ કલેકટરોને આ બેઠકમાં સુચનાઓ આપી હતી. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અગ્ર સચિવ એમ. કે. દાસ અને સચિવ અશ્વિનીકુમાર વગેરે આ બેઠકમાં જોડાયા હતા.
Related Posts
Top News
એક ક્લિકમાં બદલાઈ જતી સ્ક્રીન સાથે અલ્કાટેલ V3 સ્માર્ટફોનની સીરિઝ થઇ લોન્ચ
UK ભણવા જવાનું વિચારો છો તો આ સમાચાર તમારા કામના છે
હવે આપણા મિત્ર દેશ પણ નથી ઇચ્છતા કે પાકિસ્તાન ભીખનો કટોરો લઈને આવે..’ શાહબાજનું મોટું કબૂલનામું
Opinion
