- Opinion
- નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
નિર્લિપ્ત રાયનું નામ આવતા જ ગુનેગારોમાં તો ફફડાટ ફેલાઇ જ જાય છે પરંતુ તેમનાથી નેતાઓ અને તેમના ડિપાર્ટમેન્ટની પોલીસ પણ ડરતી હોય છે. કારણ કે આ એવા પોલીસ ઓફિસર છે જે તેમના નામ જેવા જ ગુણ ધરાવે છે. હાલમાં તેમની રાજકોટ રેન્જમાં આઇજી તરીકે નિમણૂક થયા પછી તે ખાસ્સા ચર્ચામાં છે. વર્ષ 2010ની બેચના આ આઇપીએસ ઓફિસરે માત્ર 16 જ વર્ષની નોકરીમાં પોતે ગુજરાતના સિંઘમ હોવાની છાપ ઊભી કરી છે. તેમના કામો પણ સિંઘમ જેવા જ છે. તેઓ જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા હતા ત્યારે તેમનો તાપ આખા ગુજરાતમાં વર્તાતો હતો. આખા ગુજરાતમાં તેમની ટીમે એવા એવા ઓપરેશન્સ કર્યા હતા જે પોલીસના ઇતિહાસમાં ભાગ્યે જ થયા હોય. તેમની ટીમે દારૂ ઉપરાંત ડ્રગ્સના નેટવર્કને પણ તોડવાનું મોટું કામ કર્યું હતું. કહેવાય છે કે પોલીસની નોકરી ખૂબ જ અઘરી હોય છે. ગુનેગારો સામે તો લડવાનું જ હોય છે પરંતુ ઘણીવાર સત્તાધારીઓ સામે પણ બાથ ભીડવી પડે છે. પરંતુ નિર્લિપ્ત રાય તે સફળતાપૂર્વક કરી શક્યા છે.

લોકોનો પ્રેમ
જ્યારે તેઓ અમરેલીમાં હતા અને તેમની ટ્રાન્સફર થઇ ત્યારે લોકોએ તેમને જે રીતે વિદાય આપી હતી તે જોઇને લાગતું હતું કે જાણે બોલીવુડની કોઇ ફિલ્મ જોઇ રહ્યા હોઇએ. તેમણે સાબિત કર્યું છે કે જો તમે કોઇ શેહશરમ રાખ્યા વગર લોકો માટે કામ કરતા હો તો તમારે કોઇનાથી ડરવાની જરૂર નથી. લોકો તમને દિલથી ચાહે છે.
નેતાઓ
જ્યારે તેમની રાજકોટ રેન્જમાં બદલી થઇ ત્યારે એવી વાતો આવી કે કેટલાક ઊંચી પહોંચ ધરાવતા નેતાઓએ તેમની બદલીને રોકવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે થઇ શક્યુ નહીં. મઝાની વાત તો એ છે કે બાહુબલી ગણાતા બે વિરોધી જૂથના લોકો પણ હવે એવું કહી રહ્યા છે કે નિર્લિપ્ત રાય ને ત્યાં મૂકવા માટે તેમણે જ સરકારમાં રજૂઆત કરી હતી. આવું ભાગ્યે જ બને છે કે બે સામ-સામે લડતા જૂથો એવો દાવો કરે કે તેમણે જ ઓફિસરની નિમણૂક માટે પ્રયત્નો કર્યા છે.
આ વાત જ સાબિત કરે છે કે નેતાઓ પણ તેમનાથી કેટલા ફફડે છે. તેમને નો નોનસેન્સ ઓફિસર ગણાવવામાં આવે છે. તે નેતાઓને મોઢા પર જ કહી દે છે કે કાયદા મુજબ જ કામ થશે. એટલે હવે તો કોઇ ખોટું કામ લઇને જતા પણ નેતાઓ ડરે છે.

પોલીસ
નિર્લિપ્ત રાય પોતાની ટીમના સાથિયો ને પૂરેપૂરો સહકાર આપે છે. તેમનું રક્ષણ કરે છે પરંતુ જો કોઇ ખોટું પકડાય તો તરત જ કડક પગલા લેતા પણ ડરતા નથી. હાલ જ તેમણે એક એએસઆઇની સસ્પેંડ કરી દીધા છે. આમ તે જાણે છે કે ડિપાર્ટમેન્ટ કઇ રીતે ચલાવવો. સૂરતમાં હતા ત્યારે પણ એક ઓફિસર ડ્યૂટી પર દારૂ પીને પકડાતા તેમની ધરપકડ કરી લીધી હતી. એક વાર કેટલાક વહીવટદારો તેમની સામે હાઇકોર્ટમાં ગયા હતા. રાયે આ બધાના બધા કાળાકારનામા ની ફાઇલ બનાવીને કોર્ટમાં મૂકવાની તૈયારી કરી કે તરત જ તેમણે કેસ જ પાછો ખેંચી લીધો.
કેમ રાજકોટ રેન્જમાં મૂકાયા
તેમની ટીમમાં રહેલા એક ઓફિસરે જણાવ્યું કે રાજકોટમાં તેમની ટ્રાન્સફર કરવાનું કારણ ત્યાં ખનિજ માફિયાઓને તાબે કરવાનું છે. ખનિજ માફિયાઓ એટલા પાવરફૂલ અને પોલિટિકલી કનેક્ટેડ છે કે કોઇ બીજા ઓફિસરથી તે કન્ટ્રોલમાં આવે તેવું ન હતું. આ ઉપરાંત તેમના તાબા હેઠળ સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી અને રાજકોટનો વિસ્તાર છે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને પછી વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે. જો આવા ઓફિસર સૌરાષ્ટ્રમાં હોય તો ક્રાઇમને લઇને સરકારને નિરાંત રહે તે પણ સરકારની ગણતરી હોઇ શકે છે.

છાપ કડકની પણ કવિતાઓના પ્રેમી છે
તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ જોઇએ તો આપણને ખબર પડે છે કે આ ધૂરંધર કે સિંઘમ તરીકે ઓળખાતા પોલીસ ઓફિસરની એક બીજી બાજુ પણ છે. તેઓ કવિતાના પ્રેમી છે. તેઓ મોર્ડન લિટરેચરના પ્રેમી છે. તેઓ નવા નવા પુસ્તકો વાંચે છે. તેમની ફોટોગ્રાફીથી ખબર પડે છે કે તેઓ પર્યાવરણના પ્રેમી પણ છે.
નિર્લિપ્તનો અર્થ થાય છે જે કોઇના પ્રભાવમાં આવતા નથી. કોઇના દબાણમાં આવતા નથી. ખરેખર તેમના વર્તનમાં પણ આ દેખાય પણ છે. ગુજરાતમાં ખૂબ ઓછા અધિકારીઓ છે જેમની ઉપર પ્રજા, સરકાર અને ડિપાર્ટમેન્ટ બધાને ભરોસો હોય છે. આ ભરોસો એટલા માટે છે કારણ કે તેઓ માત્ર કામ કરવામાં જ ફોકસ કરતા હોય છે. તેઓ ડર, અપમાન, સન્માન આ બધી બાબતોથી અલિપ્ત હોય તે રીતે જ વર્તન કરતા હોય છે. તેમના કુટુંબમાં બીજા આઇપીએસ ઓફિસરો પણ છે. એટલે એમનો અનુભવ અને મોરલ સપોર્ટ પણ મળે તે સ્વાભાવિક છે.

