- Opinion
- સુરત પ્રવાસમાં શું જગદીશ પંચાલ સી.આર. પાટીલના મહેલમાં મહેમાનગતિ માણશે કે સામાન્ય કાર્યકરના ઘરે જશે?
સુરત પ્રવાસમાં શું જગદીશ પંચાલ સી.આર. પાટીલના મહેલમાં મહેમાનગતિ માણશે કે સામાન્ય કાર્યકરના ઘરે જશે?
ભાજપ એની મૂળ વિચારધારા મુજબ જમીનથી જોડાયેલા કાર્યકર્તાઓથી બનેલો પક્ષ હતો અને આજે સમય પ્રમાણે મૂળ વિચારધારાથી વિચલિત થયેલા સંજોગોમાંથી પસાર થઈ રહેલો જણાય છે જે કડવું સત્ય છે. ભાજપની પ્રયોગશાળા એટલે ગુજરાત ભાજપ અને ગુજરાત ભાજપના કાર્યકર્તાઓની લગન નિષ્ઠા કામે લાગી ત્યારે ભાજપને ભારતભરમાં સ્વીકૃતિ મળી. હવે આ ગુજરાતના પાયાના કાર્યકર્તાઓ અને નવા અપરિપક્વ કે પાછી બિન અનુભવી કાર્યકર્તાઓ વચ્ચે સંતુલન હાલ ડખે ચડ્યું છે. ભાજપ સત્તામાં આવ્યા પછી કાર્યકર્તાઓ આંદોલનો અને વિરોધપક્ષની ઘડતરની પ્રક્રિયામાંથી પસાર થયા નથી એટલે નવા કાર્યકર્તાઓએ માત્ર સત્તા ભોગવી છે જેમને સત્તા લાવવી અને ટકાવી રાખવીની આવડત છે જ નહીં.
ભાજપના કાર્યકર્તાઓને પક્ષની મર્યાદા, વ્યક્તિત્વ નિર્માણ અને સમાજસેવાના ગુણ સંગઠનનું શીર્ષસ્થ નેતૃત્વ શિખવાડે છે. હવે વાત ગુજરાત ભાજપ અધ્યક્ષની તો એમની જવાબદારી પક્ષમાં વાલી જેવી કહેવાય. જેઓ કાર્યકર્તાને પ્રેમથી વાળે ઠપકારે અને હૂફનો ખભો પણ જરૂર પડ્યે આપે. હવે વાત કરીએ ભાજપના પૂર્વ અધ્યક્ષ જીતુ વાઘાણી અને સીઆર. પાટીલની તો શું એમનામાં કાર્યકર્તાઓને સાચવવા, ઘડતર આપવું, હુફ આપી કાળજી લેવા એવા કોઈ ગુણ જણાયા ખરા? કાવા દાવા ધામ ઘમકી દબાણની રાજનીતિનું વાતાવરણ રહ્યું આ પૂર્વાધ્યક્ષોના સમયમાં. સત્તા અને સંપદાના જોર સાથે આ પૂર્વાધ્યક્ષોએ ગુજરાતમાં વહીવટ કર્યે રાખ્યો અને પ્રધાનમંત્રી મોદીના નામે વોટ મેળવ્યા અને કઈક ડખો થાય તો ગૃહમંત્રી અમિત શાહની મધ્યસ્થીથી ઉકેલ આવતો રહ્યો. ભાજપના કાર્યકર્તાની લાગણીઓ ધૂળ ધાણી થઈ અને ISO સ્ટાન્ડર્ડની ઓફિસો અને જાહોજલાલીમાં નેતાઓ રચ્યા પચ્યા રહ્યા.
ગુજરાત ભાજપના સંગઠનને વર્ષ 2025 માં નવા પ્રદેશઅધ્યક્ષ જગદીશ પંચાલ મળ્યા છે. કે જેઓ ભાજપના ખૂબ પાયાના અને સંગઠનમાં ઘડતર પામેલ કાર્યકર છે. ગુજરાત ભાજપના અદના નેતાઓ અને પાયાના કાર્યકર્તાઓમાં જગદીશ પંચાલ પાસે ખૂબ આશા સાથે અપેક્ષાઓ છે કે તેઓ ગુજરાતના કાર્યકર્તાઓ માટે પરિવારના વડીલની જેમ માર્ગદર્શક બનશે. જગદીશભાઈની કસોટી ત્યાં છે કે પૂર્વ અધ્યક્ષની કામગીરીમાં રહી ગયેલી ઉણપો અને ભૂલો કઈ રીતે સુધારવી. કોર્પોરેટ કલ્ચર જેવી ઝાકઝમાળ અને પદ્ધતિથી દૂર રહી ફરીથી કાર્યકર્તાને ગુજરાતના મતદારો વચ્ચે લઈજવા સાથે સરકાર અને સંગઠનનો તાલમેલ મેળવવો. આ માટે એમને પેજપ્રમુખ વ્યવસ્થાથી શરૂ કરી શીર્ષસ્થ કાર્યકર્તાઓની લાગણીઓ સમજવી જોઈશે અને એ માટે તેઓએ કાર્યકર્તાઓ માટે સરળતાથી ઉપલબ્ધ બનવું પડશે અને નાના મોટા કાર્યકર્તાઓને સંભાળવા સમજવા પડશે અને એમની લાગણીઓને સાચવવી પડશે.
હાલ જગદીશભાઈ પ્રદેશ અધ્યક્ષનો હોદ્દો સંભાળ્યા પછી સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે ત્યારે સુરતના કાર્યકર્તાઓમાં ચર્ચા છે કે તેઓ સામાન્ય કાર્યકર્તાના ઘરે ભોજન લેશે કે સીઆર. પાટીલના મહેલ જેવા કરોડોના ખર્ચે બનેલા ઘરમાં ભોજન લેવા જશે!! જો જગદીશભાઈ પહેલા જ પ્રવાસમાં સામાન્ય અદના કાર્યકર્તાને છોડીને સીઆર. પાટીલના મહેમાન બને છે તો કાર્યકર્તાઓમાં ખોટો સંદેશો જવાની સંભાવના છે. જોવાનું રહ્યું કે ગુજરાત ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશભાઈ ભાજપના સંગઠનના સંસ્કાર પ્રમાણે કેટલા ખરા ઉતરે છે. કાર્યકર્તાઓની આશાઓ અને વિશ્વાસમાંથી ખરા ઉતરવું એ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ માટે પ્રથમ કસોટી રહેશે.
આ ચર્ચા વચ્ચે જગદીશભાઈના પ્રવાસની વિગતો સામે આવી રહી છે કે તેઓ 10 ઓક્ટોબરથી મા અંબાજી મંદિરથી ગુજરાત ભ્રમણની શરૂઆત કરી ચૂક્યા છે અને પ્રત્યેક જિલ્લામાં તેમના પ્રવાસ માટે 'શ્રી કમલમ્' કાર્યાલય ખાતે વિશેષ બેઠકો પણ યોજાઈ છે. આ પ્રવાસમાં તેઓ સ્થાનિક કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરીને સંગઠનની વર્તમાન પરિસ્થિતિ સમજશે જેમાં દિવાળી પછી નવી ટીમની રચના પણ શામેલ છે. જો તેઓ આ પ્રવાસમાં હાંસિયામાં રહેલા કે પાયાના પીઢ કાર્યકર્તાઓના ઘરે પહોંચીને તેમની લાગણીઓને સાંભળે અને સમજે તો તે ભાજપની મૂળ વિચારધારાને પુનર્જીવિત કરવાના પગલાં રૂપે મજબૂત સંદેશો હશે. આ કસોટીમાં તેઓ કેટલા જવાબદાર અને સફળ થાય છે એ તો આવનારા સમયમાં જણાશે.

