- Politics
- અરવિંદ કેજરીવાલે આ મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલને લાંબો લેટર લખ્યો, કહ્યું- અમારે તમને મળવું છે
અરવિંદ કેજરીવાલે આ મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલને લાંબો લેટર લખ્યો, કહ્યું- અમારે તમને મળવું છે
અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક લેટર લખ્યો છે, જેમાં તેમણે CMને મળવા માટે સમય માંગ્યો છે. આ લેટરમાં તેમણે ગુજરાતની ભાજપ સરકાર અને પોલીસ પર અનેક આરોપો લગાવ્યા છે. લખાયેલા પત્રમાં રાજ્યમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે ચાલી રહેલી પોલીસ કાર્યવાહી અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. કેજરીવાલે આ સમગ્ર ઘટનાક્રમને સુનિયોજિત રાજકીય સાજિશ ગણાવી છે.
પત્રમાં જણાવાયું છે કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે અને લોકો ભ્રષ્ટાચાર, અત્યાચાર અને દમનથી પરેશાન થઈ ચૂક્યા છે. તેમણે દાવો કર્યો કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની મળતાવળને કારણે રાજ્યમાં કોઈ મજબૂત વિકલ્પ ન હતો, પરંતુ હવે આમ આદમી પાર્ટી તરીકે લોકોને એક વિકલ્પ મળ્યો છે. કેજરીવાલના કહેવા મુજબ, “આપ” એક નિષ્ઠાવાન, ઈમાનદાર અને દેશભક્ત લોકોની પાર્ટી છે અને તે ભાજપ સાથે કોઈ સમજૂતી નહીં કરે.
https://twitter.com/ArvindKejriwal/status/2039587969783480605
અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં “આપ”ની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે, જેના કારણે ભાજપ હવે પાર્ટીને દબાવવા માટે કાર્યવાહી કરી રહી છે. તેમના મુજબ, છેલ્લા ત્રણ મહિનામાં 160થી વધુ કાર્યકરોને પોલીસે ધરપકડ કરી છે.

તેમણે ખાસ કરીને એક ઘટનાનો ઉલ્લેખ કર્યો જેમાં ગુજરાત “આપ”ના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીને પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં રાત્રે મુક્ત કરવામાં આવ્યા હતા. કેજરીવાલે આ કાર્યવાહી સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણી સાથે જોડીને જોઈ છે અને જણાવ્યું કે આથી એવો સંદેશ જાય છે કે ભાજપ પોલીસના દમ પર ચૂંટણી જીતવા માંગે છે.
48 કલાકમાં ઘટનાઓનો ઉલ્લેખ
પત્રમાં છેલ્લા 48 કલાક દરમિયાન બનેલી ત્રણ ઘટનાઓનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે:
- ખંભાળિયા (31 માર્ચ 2026):
દીપક સિંહ બપોરે ઘરે જઈ રહ્યા હતા ત્યારે બે લોકો બાઈક પર આવીને તેમની સાથે મારપીટ કરી. જ્યારે તેઓ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન ગયા, ત્યારે તેમના સામે જ કેસ દાખલ કરીને તેમની જ ધરપકડ કરવામાં આવી. - પોરબંદર (30-31 માર્ચ 2026):
પવન અને જગદીશ કામ પરથી પરત ફરી રહ્યા હતા ત્યારે એક સ્કૂટી સવારે ઈરાદાપૂર્વક તેમની ગાડી રોકી અને મારપીટ કરી. પોલીસે તપાસ કર્યા વગર જ બંને પર કલમ 307 (હત્યા કરવાનો પ્રયાસ) હેઠળ કેસ દાખલ કર્યો અને ધરપકડ કરી. - જામનગર (31 માર્ચ 2026):
નવીન કાકરાણ, મુન્ના કુમાર, આલોક સિંહ, પુનિતરાજ અને પ્રિયવ્રતની ગાડી સાથે એક સ્કૂટી સવાર અથડાયો. બાદમાં ઝઘડો થયો અને પોલીસે પીડિતો પર જ કલમ 307 હેઠળ કેસ નોંધ્યો.
કેજરીવાલે આ તમામ ઘટનાઓને એક જ પેટર્ન હેઠળ ગણાવી છે. તેમણે દાવો કર્યો કે અજાણ્યા લોકો પહેલા “આપ”ના કાર્યકરો સાથે ઝઘડો કરે છે, પછી ક્રાઇમ બ્રાન્ચને ફોન કરે છે અને થોડા જ સમયમાં પોલીસ આવીને “આપ”ના કાર્યકરોને જ ધરપકડ કરી લે છે.
તેમણે કહ્યું કે પોલીસ કોઈ તપાસ કર્યા વગર એકતરફી કાર્યવાહી કરે છે અને હુમલો કરનારાઓને છોડીને “આપ”ના કાર્યકરોને જ જેલમાં મોકલે છે.
અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં “આપ”ના સૈંકડો નેતાઓ અને કાર્યકરોના ઘેર જઈને પોલીસ ખુલ્લેઆમ ધમકી આપી રહી છે. તેમને ગુજરાત છોડવા માટે કહેવામાં આવે છે અને તેમના પરિવારજનોને પણ હેરાન કરવામાં આવી રહ્યા છે.
https://twitter.com/ArvindKejriwal/status/2039289087186895355
તેમણે દાવો કર્યો કે રાજ્યમાં પાર્ટીને સમાપ્ત કરવા માટે ઉચ્ચ સ્તરે સાજિશ રચાઈ રહી છે અને આવનારા દિવસોમાં હજારો કાર્યકરોની ધરપકડ કરવાની યોજના છે.
કેજરીવાલે સવાલ ઉઠાવ્યો કે શું ભાજપ આવી રીતથી ગુજરાતમાં ચૂંટણી જીતવા માંગે છે? તેમણે કહ્યું કે જો વિરોધ પક્ષના નેતાઓને જેલમાં નાખીને જ ચૂંટણી જીતવી હોય તો પછી ચૂંટણી કરાવવાની શું જરૂર છે? તેમણે જણાવ્યું કે પંજાબમાં “આપ”ની સરકાર છે, છતાં ત્યાં ભાજપના નેતાઓ સામે આવી કાર્યવાહી કરવામાં આવતી નથી કારણ કે “આપ” સંવિધાનમાં વિશ્વાસ રાખે છે અને ગુંડાગીરી નથી કરતી.

પત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં ભાજપે સારા કામ કર્યા નથી, જેના કારણે હવે દમન અને અત્યાચારનો રસ્તો અપનાવી રહી છે. કેજરીવાલે જણાવ્યું કે “આપ” પોતાની કામગીરીના આધારે ચૂંટણી લડશે અને જનતાથી મત માંગશે.
કેજરીવાલે લખ્યું કે ગુજરાતની જનતા બધું જોઈ રહી છે અને ભાજપની તાનાશાહીથી ન ડરે અને ન દબાય. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે “આપ”ની વિચારધારા વધુ ફેલાશે. અંતમાં તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરવાની ઇચ્છા વ્યક્ત કરી અને કહ્યું કે તેઓ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે મળીને ગુજરાતના નેતાઓ સાથે ચર્ચા કરવા માંગે છે.

