- Politics
- ગુજરાત ભાજપ પાસે સંગઠન છે જ્યારે કોંગ્રેસ પાસે માત્ર નેતાઓ છે
ગુજરાત ભાજપ પાસે સંગઠન છે જ્યારે કોંગ્રેસ પાસે માત્ર નેતાઓ છે
ગુજરાતના રાજકારણમાં એક સર્વમાન્ય ચર્ચા છે કે "ભાજપ પાસે મજબૂત ‘સંગઠન’ છે જ્યારે કોંગ્રેસ પાસે માત્ર ‘નેતાઓ’ છે." આ વાક્ય સહજ લાગે છે પરંતુ તેની પાછળ રાજકીય વ્યવસ્થાની ઊંડી અને અભ્યાસ કરવા જેવી વાસ્તવિકતા છે. કેડરબેઝ કાર્યકર્તાઓની ફોજ સાથે ભાજપનું સંગઠન બૂથ સ્તરથી લઈને જિલ્લા સુધી વ્યવસ્થિત રીતે કાર્ય કરે છે. જ્યારે કોંગ્રેસમાં નેતૃત્વની આસપાસ કાર્યકર્તાઓનો અભાવ જણાય છે. આ તફાવતને સમજવો એ ફક્ત બે પક્ષોની સરખામણી નથી પરંતુ લોકતંત્રમાં સંગઠન અને નેતૃત્વની ભૂમિકાનું નિષ્પક્ષ સચોટ ચિંતન છે.
ભાજપનું સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારાથી ઉદ્ભવ્યું છે. તે કેડર આધારિત છે એટલે કે કાર્યકર્તાઓને વિચારધારા, શિસ્ત અને લાંબા ગાળાના ઘડતર ની પ્રક્રિયામાંથી પસાર થાવું પડે છે. ગુજરાતમાં સંગઠની અગત્યની ભૂમિકા રહી છે. બૂથ કાર્યકર્તા, મંડલ અધ્યક્ષ અને જિલ્લા પ્રમુખોની વ્યવસ્થા એવી છે કે કોઈ એક નેતાની અનુપસ્થિતિમાં પણ મશીનરી અવિરત ચાલુ રહે છે. ભાજપના કાર્યકર્તાઓ માત્ર ચૂંટણી વખતે જ નહીં પરંતુ વર્ષો સુધી સમાજસેવા, ધર્મ, સંસ્કૃતિ અને વિકાસના કાર્યોમાં રચ્યાપચ્યા રહે છે. તેથી જ ભાજપને ‘કાર્યકર્તાઓની કોઈ ખોટ નથી’ એવું કહેવાય છે.
બીજી બાજુ કોંગ્રેસની પરિસ્થિતિ અલગ છે. આઝાદી પછીના વર્ષોમાં કોંગ્રેસ પાસે વ્યાપક લોકસમર્થન હતું પરંતુ તે મોટા ભાગે નેતાઓના વ્યક્તિત્વ અને વારસાગત નેતૃત્વ પર આધારિત હતું. ગુજરાતમાં 1980-90ના દાયકામાં આંતરિક વિવાદો, જાતિવાદ અને કેન્દ્રીય નેતૃત્વની અસ્થિરતાએ કાર્યકર્તાઓની સક્રિયતાની નબળી પાડી. આજે કોંગ્રેસમાં ઘણા નેતાઓ છે પરંતુ તેમની પાછળ સ્થિર કાર્યકર્તા વર્ગ નથી. પરિણામે નેતા જ્યારે પક્ષ છોડે છે ત્યારે તેની સાથે મોટા ભાગનું સ્થાનિક સમર્થન પણ જતું રહે છે આને કારણે કોંગ્રેસને ‘કાર્યકર્તાઓના અભાવ’નો સામનો કરવો પડે છે.
ભાજપ અને કોંગ્રેસમાં આ તફાવતના ફાયદા અને મર્યાદાઓ બંને છે. ભાજપના સંગઠનથી ચૂંટણીમાં સતત વિજય મળે છે પરંતુ ક્યારેક જનપ્રિય નિર્ણાયક નેતૃત્વની ખોટ જણાય છે. ભાજપના કાર્યકર્તાઓની નિષ્ઠા વિચારધારા પમાટે હોય છે તેથી નેતૃત્વના ફેરફારથી પક્ષના કાર્ય પર અસર થતી નથી. જ્યારે કોંગ્રેસ જો કોઈ જનસમર્થન મેળવી શકે એવું નેતૃત્વ ઊભું થઈ શકે તો ઝડપથી લોકસમર્થન મેળવી શકે છે પરંતુ તે સ્થિર નથી. અહીં સંગઠન અને કાર્યકર્તા વિના નેતા એકલા પડી જાય છે.
આ ચિંતન આપણને એક તારણ પર લઈ જાય છે કે લોકતંત્રમાં સંગઠન અને નેતૃત્વ બંનેની જરૂર છે. ભાજપે કાર્યકર્તા આધારિત મોડલથી સફળતા મેળવી છે તો કોંગ્રેસે પણ આ પાઠ શીખીને પોતાના બીજા દરજ્જાના નેતૃત્વ અને સ્થાનિક કાર્યકર્તાઓને મજબૂત કરવાની જરૂર જણાય છે.
આખરે તંદુરસ્ત લોકશાહી અને લોકતંત્ર માટે બંને પક્ષોએ એકબીજામાંથી શીખવું જોઈએ. સંગઠન વિનાના નેતાઓ અને નેતૃત્વ વિનાના સંગઠન બંને અધૂરા છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બન્નેવ પક્ષોનું ભવિષ્ય આ સંતુલન પર આધારિત હશે.

