- Politics
- શિંદે સેનામાં જોડાનારા બળવાખોર સાંસદે ઉદ્ધવ ઠાકરેને છોડવાનું કારણ જણાવ્યું, કહ્યું- વિકાસ ફંડ પણ નહો...
શિંદે સેનામાં જોડાનારા બળવાખોર સાંસદે ઉદ્ધવ ઠાકરેને છોડવાનું કારણ જણાવ્યું, કહ્યું- વિકાસ ફંડ પણ નહોતું મળતું
શિવસેના (UBT) ના બળવાખોર સાંસદ નાગેશ પાટીલ આષ્ટીકરે રવિવારે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાવાની પુષ્ટિ કરી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે 18 જૂન પછી તેમની અને અન્ય અસંતુષ્ટ સાંસદો વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીઓને કારણે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટીમાં રહેવાનો તેમનો નિર્ણય બદલાઈ ગયો હતો.
હિંગોલીના આ સાંસદે પોતાના મતવિસ્તાર માટે વિકાસ ભંડોળની અછત અને વિપક્ષમાં હોવાની મર્યાદાઓને પણ આ નિર્ણય પાછળના મુખ્ય કારણો ગણાવ્યા હતા.

જ્યારથી 'ઓપરેશન ટાઇગર'ની અફવાઓ શરૂ થઈ છે ત્યારથી પ્રથમ વખત જાહેરમાં આવીને આષ્ટીકરે જણાવ્યું હતું કે તેઓ અને શિવસેના (UBT) ના કેટલાક અન્ય સાંસદોએ 18 જૂન સુધી કોઈ અંતિમ નિર્ણય લીધો ન હતો.
પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં તેમણે કહ્યું, ‘હું અને (સેના-UBT ના) કેટલાક અન્ય સાંસદોએ 18 જૂન સુધી કોઈ નિર્ણય લીધો ન હતો. અમે ક્યાંય ગયા નહોતા. જો કે, ગુરુવારથી અમારી વિરુદ્ધ કેટલીક એવી ટિપ્પણીઓ કરવામાં આવી, જેનાથી અમને લાગ્યું કે હવે અહીં (સેના-UBT માં) રહેવાનો કોઈ અર્થ નથી.’
સાંસદે સ્પષ્ટતા કરી હતી કે તેઓ શિવસેના (UBT) ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અથવા પક્ષના નેતા સંજય રાઉતથી નારાજ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, સંજય રાઉત અસંતુષ્ટ સાંસદોના સૌથી કડક ટીકાકારોમાંના એક રહ્યા છે અને તેમણે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમની સામે અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો.
આષ્ટીકરે જણાવ્યું હતું કે વિકાસ ભંડોળ મેળવવામાં અસમર્થતા અને પક્ષના કાર્યકરો માટે કામ ન કરાવી શકવાને કારણે પક્ષપલટો કરવાના નિર્ણયમાં મોટી ભૂમિકા ભજવી છે.
તેમણે કહ્યું, ‘અમે સત્તામાં ન હોવાને કારણે પક્ષના કાર્યકરોના કામો થઈ રહ્યા નથી. લોકોએ અમને ઘણી અપેક્ષાઓ સાથે ચૂંટ્યા છે અને તેમના કામો કરાવવા એ મારી ફરજ છે. પરંતુ મને કોઈ વિકાસ ભંડોળ મળી રહ્યું નહોતું. 5 કરોડ રૂપિયાની સાંસદ નિધિ ફંડ ખૂબ જ મર્યાદિત છે. આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને મેં આ નિર્ણય લીધો છે.’
તેમણે આક્ષેપ કર્યો હતો કે છેલ્લા બે વર્ષમાં તેમના અથાક પ્રયાસો છતાં તેઓ પોતાના લોકસભા મતવિસ્તાર માટે ભંડોળ સુરક્ષિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમણે ઉમેર્યું, ‘અમને ફંડની જરૂર છે, અને તેથી જ મેં આ પગલું ભર્યું છે. હું લોકો માટે કામ કરવાનું ચાલુ રાખીશ અને જનતાએ મને સોંપેલી જવાબદારી પૂરી કરીશ.’
આષ્ટીકરે સ્વીકાર્યું હતું કે પક્ષના કેટલાક નેતાઓ તેમના આ પગલાથી નારાજ હોઈ શકે છે, પરંતુ તેઓ સમય જતાં મારી પરિસ્થિતિ સમજી જશે. તેમણે લાચારી વ્યક્ત કરતા કહ્યું, ‘મારી પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નહોતો.’
સાંસદે દાવો કર્યો હતો કે તેમણે પોતાની વિચારધારા સાથે કોઈ બાંધછોડ કરી નથી અને આ પગલાને એક જ રાજકીય પરિવારની અંદરનું પરિવર્તન ગણાવ્યું હતું.
તેમણે કહ્યું, ‘હું ક્યાંય ગયો નથી. હું માત્ર શિવસેનામાંથી શિવસેનામાં ગયો છું. લોકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરી શકે છે, પરંતુ સાથે જ તેમણે પોતાની ભાષા પર પણ સંયમ રાખવો જોઈએ. હું કોઈને મારી સાથે આવવા માટે દબાણ નહીં કરું, પરંતુ હું તેમની સાથે ઊભો રહીશ.’

તેમની આ ટિપ્પણીઓ સંજય રાઉતની એ ચેતવણીના દિવસો બાદ આવી છે, જેમાં રાઉતે કહ્યું હતું કે બળવાખોર સાંસદોએ 'ઓપરેશન તુડવા' (Operation Tudwa) દ્વારા શિવસેનાના કાર્યકરોના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે.
આ ચેતવણીનો જવાબ આપતા આષ્ટીકરે કહ્યું કે રાઉતે આવા નિવેદનોના પરિણામો ધ્યાનમાં રાખવા જોઈએ. તેમણે કહ્યું, ‘જો કે તેઓ વડીલ સમાન છે અને ઠપકો આપી શકે છે, પરંતુ તેમણે સમજવું જોઈએ કે દરેક વ્યક્તિ વળતો જવાબ આપવાની ક્ષમતા રાખે છે. આવી ઘટનાઓ ક્યારેક જ બને છે. તેની શું આડઅસરો થઈ શકે છે સંજય રાઉત પણ સારી રીતે જાણે છે.’
આ સમગ્ર રાજકીય ઘટનાક્રમે ત્યારે વેગ પકડ્યો જ્યારે લોકસભા સાંસદો સંજય દિના પાટીલ, સંજય દેશમુખ, સંજય જાધવ, ભાઉસાહેબ વાકચૌરે, નાગેશ પાટીલ-આષ્ટીકર અને ઓમપ્રકાશ રાજે નિમ્બાલકર 17 જૂને દિલ્હીમાં યોજાયેલી શિવસેના (UBT) ની સંસદીય પક્ષની બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. આ ગેરહાજરી બાદ તેઓ એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાવાની તૈયારી કરી રહ્યા હોવાની અટકળો તેજ થઈ ગઈ હતી.
ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટી પાસે હાલમાં 9 લોકસભા સાંસદો છે. પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ અયોગ્ય ઠરવાથી બચવા માટે અસંતુષ્ટ જૂથના ઓછામાં ઓછા 6 સાંસદોએ એકસાથે પક્ષ બદલવો જરૂરી છે.

