- Politics
- ‘અમારા દરેક સાંસદને રૂ. 15 કરોડની ઓફર’, શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કર્યો મોટો દાવો
‘અમારા દરેક સાંસદને રૂ. 15 કરોડની ઓફર’, શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કર્યો મોટો દાવો
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT)માં તિરાડ પડી રહી છે. અહેવાલો અનુસાર ઉદ્ધવ જૂથના 9માંથી 7 સાંસદો બળવો કરવાનું મન બનાવી ચૂક્યા છે. આને લઇને UBTના સાંસદ સંજય રાઉતે મોટો દાવો કર્યો છે.
શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં સંજય રાઉતે સાંસદોને ખરીદવાના આરોપ લગાવ્યા છે. તેમણે પોસ્ટમાં કહ્યું કે, ‘અપના સપના મની મની! અ ચોંકાવનારું છે કે મહારાષ્ટ્રના સાંસદોને પક્ષ બદલવા માટે કથિત રીતે ₹15-15 કરોડની ઓફર કરવામાં આવી રહી છે. તેમણે પોતાની પોસ્ટમાં ભાજપના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ ટેગ કર્યા.
https://twitter.com/rautsanjay61/status/2066940812504727906?s=20
તો ન્યૂઝ24ના અહેવાલ મુજબ, એકનાથ શિંદે મુંબઈથી દિલ્હી જવા રવાના થયા છે. સૂત્રો જણાવે છે કે 9 UBT સાંસદોમાંથી 6 અલગ જૂથ બનાવશે અને એકનાથ શિંદેની પાર્ટીમાં જોડાઈ શકે છે. પરભણીના સાંસદ સંજય ઉર્ફે બંધુ જાધવ અને યવતમાલ વાશિમના સંજય દેશમુખ ચાર્ટર્ડ ફ્લાઇટમાં દિલ્હી જવા રવાના થઈ ગયા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉદ્ધવ ઠાકરે જૂથ (UBT)ના સાંસદો આજે શ્રીકાંત શિંદે સાથે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને મળ્યા હતા. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને શ્રીકાંત શિંદે પણ આ બેઠકમાં હાજર રહેશે. અહેવાલ છે કે બેઠક બાદ, સાંસદો લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળશે. સૂત્રોનો દાવો છે કે સાંસદો પહેલા લોકસભામાં એક અલગ જૂથ બનાવવાની પ્રક્રિયા પૂર્ણ કરશે અને ત્યારબાદ આ જૂથને શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં વિલીનીકરણ કરાવી દેવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ઉદ્ધવ ઠાકરે જૂથ (UBT)ના છ સાંસદો શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના સંપર્કમાં હોવાની ચર્ચા છે. આ સાંસદોના નામ નીચે મુજબ છે:
સંજય દીના પાટિલ
સંજય દેશમુખ
નાગેશ પાટીલ અષ્ટિકર
ઓમરાજે નિમ્બાલકર
ભાઉસાહેબ વાકચૌરે
સંજય જાધવ
તો, આ સંદર્ભમાં રાજાભાઉ વાજેનું નામ પણ લેવામાં આવી રહ્યું છે. જો આ વિભાજન થાય છે, તો તે ચાર વર્ષમાં ઉદ્ધવ ઠાકરે માટે બીજો મોટો ઝટકો હશે. આ શિવસેનામાં બીજું મોટું વિભાજન હશે. આ પહેલા, એકનાથ શિંદેએ જૂન 2022માં બળવો કર્યો હતો, જ્યારે 40 શિવસેના ધારાસભ્યો ઉદ્ધવ જૂથથી અલગ થઈ ગયા હતા.

