- Politics
- એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?
એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?
મહારાષ્ટ્રમાં રાજકારણમાં ફરી એક વખત ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) ના સાંસદો અને એકનાથ શિંદે જૂથના નેતાઓ વચ્ચે વધતી જતી વાતચીત રાજકીય અટકળોનો વિષય બની છે. મંગળવારે, શિરડીના શિવસેના (UBT)ના સાંસદ ભાઉસાહેબ રાજારામ વાકચૌરે મંત્રી ઉદય સામંત સાથે મુલાકાત કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મુલાકાત તેમના લોકસભા મતવિસ્તારમાં વિકાસ કાર્યો તેમજ વ્યક્તિગ કામકાજને લઇને હતી. આ પહેલા, સોમવારે UBT સાંસદ નાગેશ અસ્તિકરે પણ એકનાથ શિંદે સાથે મુલાકાત કરીને તેમના પોતાના મતવિસ્તારને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તો, નાસિકમાં શ્રીકાંત શિંદે દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં UBT સાંસદ રાજાભાઉની હાજરીએ આ અટકળોને વધુ વેગ આપ્યો છે.
શિંદે અને ઉદ્ધવ જૂથો વચ્ચે વધી રહી છે નિકટતા?
આ સતત મુલાકાતો બાદ, રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે શું ઉદ્ધવ ઠાકરે જૂથના કેટલાક સાંસદો ભવિષ્યમાં શિંદે જૂથ તરફ જઇ શકે છે. મહારાષ્ટ્રમાં અગાઉ પણ મોટા રાજકીય ઘટનાક્રમ અને પક્ષપલટાના કિસ્સાઓ જોવા મળ્યા છે; એટલે આ બેઠકોને લઇ રાજકીય મહત્ત્વ કાઢવામાં આવી રહ્યું છે. જો કે, શિંદે જૂથ અને સંબંધિત સાંસદો બંને તરફથી હાલમાં, કોઈ રાજકીય બદલાવનો ઇનકાર કર્યો છે. તેમનું કહેવું છે કે આ બેઠકો ફક્ત વિકાસકાર્યો, સ્થાનિક ફરિયાદો અને તેમના સંબંધિત મતવિસ્તારોને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે યોજાઈ હતી. સાંસદોએ સ્પષ્ટતા કરી છે કે તેઓ ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડી રહ્યા નથી કે પક્ષ બદલવાની તેમની કોઈ યોજના નથી.
NCPના બંને જૂથોએ બોલાવી મહત્ત્વપૂર્ણ બેઠકો
બુધવારે, શરદ પવાર અને અજિત પવારની આગેવાની હેઠળના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના બંને જૂથોએ જાહેરાત કરી હતી કે તેઓ મુંબઈમાં મહત્ત્વપૂર્ણ બેઠકો યોજશે, જેથી રાજ્યમાં રાજકીય વર્તુળોમાં હિલચાલ વધી ગઈ છે. જો કે, સુનેત્રા પવારના નેતૃત્વ હેઠળના જૂથે હાલમાં તેની નિર્ધારિત બેઠક મુલતવી રાખી છે. તેનાથી વિપરીત શરદ પવારે સવારે 11:00 વાગ્યે Y.B. ચવ્હાણ સેન્ટર ખાતે તેમના જૂથની એક મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠકમાં પ્રવર્તમાન રાજકીય પરિસ્થિતિ અને ભવિષ્યની રણનીતિ ઘડવા પર ચર્ચા થવાની અપેક્ષા છે.

