શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર પછી, તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે પોતાને વિપક્ષ તરીકે ફરીથી રજૂ કરવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, આ પ્રયાસો નિષ્ફળ જતા દેખાય છે. બુધવારે વિધાનસભા પરિસરમાં ધરણા પ્રદર્શન દરમિયાન આ વાત સ્પષ્ટ થઈ ગઈ.

TMCના પ્રથમ મોટા વિરોધ પ્રદર્શનમાં ધારાસભ્યોની ઓછી હાજરીએ રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા ઉભી થઇ છે. બુધવારે, TMC ધારાસભ્યોએ ચૂંટણી પછીની હિંસા અને ફેરિયાઓ સામે ચાલી રહેલા અતિક્રમણ વિરોધી અભિયાનનો વિરોધ કરવા માટે વિધાનસભા પરિસરમાં BR આંબેડકરની પ્રતિમા પાસે ધરણા પ્રદર્શન કર્યું હતું. જોકે, પાર્ટીના 80 ધારાસભ્યોમાંથી માત્ર 35 ધારાસભ્યો જ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ ઓછી હાજરીએ પાર્ટીમાં સંભવિત અસંમતિ અને આંતરિક ઝઘડા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.

25

હકીકતમાં, આ વિરોધ પ્રદર્શન કોલકાતાના કાલીઘાટમાં યોજાયેલા TMC નેતૃત્વની મહત્વપૂર્ણ બેઠકના એક દિવસ પછી થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં ઘણા ધારાસભ્યોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ફક્ત બંધ રૂમમાં બેસીને રણનીતિ બનાવવાથી પાર્ટીનો ખોવાયેલો આધાર પાછો નહીં મળે. નેતાઓએ સૂચન કર્યું હતું કે, TMCએ ફરી એકવાર રસ્તાઓ પર ઉતરીને જનતા સુધી પહોંચવું જોઈએ, જન આંદોલનો દ્વારા તેમનો રાજકીય પ્રભાવ મજબૂત બનાવવો જોઈએ.

પાર્ટીના વડા મમતા બેનર્જી અને રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી બેઠકમાં હાજર રહ્યા હતા. ચૂંટણી હાર્યા પછી ઘણા ધારાસભ્યોએ નેતૃત્વના વલણ પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે પાર્ટી જાહેર મુદ્દાઓ પર પહેલા જેટલી આક્રમક દેખાતી નથી. કેટલાક નેતાઓએ એમ પણ કહ્યું હતું કે, TMC હંમેશા જન આંદોલનો અને શેરી-આધારિત રાજકારણ સાથે ઓળખાય છે, અને તેથી, પાર્ટીએ તે શૈલીમાં પાછા ફરવું જોઈએ.

TMCનો રાજકીય ઇતિહાસ પણ આ ચળવળ-લક્ષી છબીથી ભરેલો છે. સિંગુર અને નંદીગ્રામ આંદોલનોથી લઈને ડાબેરી મોરચાની સરકાર સામે લાંબા શેરી-આધારિત સંઘર્ષો સુધી, પાર્ટીએ જન આંદોલનો દ્વારા જ તેની રાજકીય તાકાત બનાવી. પરિણામે, સત્તા પરથી હાંકી કાઢવામાં આવ્યા પછી પહેલીવાર યોજાયેલ આ વિરોધ પ્રદર્શન પક્ષ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવ્યો હતો. જો કે, આ  વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ધારાસભ્યોની ગેરહાજરીથી પાર્ટીની એકતા પર પ્રશ્નો ઉભા થયા.

TMC Protest
x.com/AITCofficial

વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા અગ્રણી નેતાઓમાં સોવનદેવ ચટ્ટોપાધ્યાય, નયના બેનર્જી, કુણાલ ઘોષ અને રીતબ્રત બેનર્જીનો સમાવેશ થાય છે. આ વિરોધ પ્રદર્શન દ્વારા TMCએ ચૂંટણી પછીની હિંસા, બુલડોઝર કાર્યવાહી અને ફેરિયાઓની હકાલપટ્ટીને મુદ્દો બનાવ્યો. પાર્ટીનો આરોપ છે કે, નવી સરકાર સત્તામાં આવ્યા પછી, વિપક્ષી કાર્યકરો અને સમર્થકો પર દબાણ લાવવામાં આવી રહ્યું છે, અને ગરીબોના રોજગારને અસર કરતી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જોકે, TMC વિધાનસભા પક્ષના વરિષ્ઠ નેતા અને વિપક્ષી નેતા પદ માટે પાર્ટીની પસંદગી કરાયેલા સોવનદેવ ચટ્ટોપાધ્યાયે પાર્ટીમાં કોઈપણ મતભેદોનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઘણા ધારાસભ્યો ચૂંટણી પછીની હિંસાથી પ્રભાવિત વિસ્તારોમાં પાર્ટીના કાર્યકરો સાથે વ્યસ્ત હતા અને તેથી તેઓ કાર્યક્રમમાં હાજરી આપી શક્યા ન હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે વિરોધ પ્રદર્શન ફક્ત એક દિવસની સૂચનાથી નક્કી કરવામાં આવ્યું હતું, જેના કારણે દૂરના વિસ્તારોના ધારાસભ્યો સમયસર પહોંચી શક્યા નહીં.

સોવનદેવ ચટ્ટોપાધ્યાયે કહ્યું, 'આજના કાર્યક્રમમાં લગભગ 35 ધારાસભ્યો હાજર હતા. ઘણા ધારાસભ્યો ચૂંટણી પછીની હિંસાથી પ્રભાવિત વિસ્તારોમાં કાર્યકરો સાથે કામ કરી રહ્યા છે, તેથી તેઓ હાજર રહી શક્યા નહીં. આ કાર્યક્રમ એક દિવસની નોટિસ પર યોજાયો હતો, જેના કારણે દૂરના વિસ્તારોમાં રહેતા ધારાસભ્યોએ અહીં સુધી પહોંચવું મુશ્કેલ બન્યું હતું.'

TMC Protest
x.com/AITCofficial

પરંતુ રાજકીય વિશ્લેષકો માને છે કે, તે ફક્ત સંખ્યાઓનો વિષય નથી, પરંતુ તે જે રાજકીય સંદેશ મોકલે છે તે પણ છે. લાંબા સમયથી સત્તામાં રહેલી પાર્ટી માટે વિપક્ષની ભૂમિકાને સ્વીકારવી સરળ નથી. તેથી, જ્યારે 15 વર્ષ સુધી બંગાળ પર શાસન કરનાર TMC જેવી પાર્ટી પહેલીવાર કોઈ મોટા વિરોધ પ્રદર્શનમાં નબળી હાજરી દર્શાવે છે, ત્યારે તે પાર્ટીની વર્તમાન સ્થિતિ વિશે ઘણા પ્રશ્નો ઉભા કરે છે.

વિશ્લેષકોના મતે, TMC સામે સૌથી મોટો પડકાર સંગઠનાત્મક આત્મવિશ્વાસ ફરીથી ઉભો કરવાનું છે. ચૂંટણીમાં હાર પછી કાર્યકરો અને નેતાઓના મનોબળ પર અસર થવી સ્વાભાવિક છે. આવા સમયે, પાર્ટીને એક રાખવાની અને પાયાના સ્તરે સંઘર્ષનું વાતાવરણ બનાવવાની જવાબદારી નેતૃત્વની છે. પરંતુ જો પાર્ટીમાં એવી લાગણી વિકસે કે, નેતૃત્વ જ જાહેર મુદ્દાઓ પર રસ્તા પર ઉતરવાનું ટાળી રહ્યું છે, તો તેની સંગઠન પર નકારાત્મક અસર પડી શકે છે.

TMC Protest
thedailyjagran.com

સૂત્રોના જણાવ્યા અનુસાર, કાલીઘાટની બેઠકમાં કેટલાક ધારાસભ્યોએ ફક્ત રાજકીય ભાષણોથી આગળ વધીને આક્રમક વિપક્ષની ભૂમિકા ભજવવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી હતી. ઘણા નેતાઓ માનતા હતા કે જાહેર સક્રિયતા વધાર્યા વિના, પાર્ટીનું પુનરાગમન મુશ્કેલ બનશે.

બુધવારના વિરોધને પ્રતીકાત્મક રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવતું હતું, કારણ કે તે સત્તા પરથી હાંકી કાઢવામાં આવ્યા પછી TMCની પ્રથમ સંગઠિત કાર્યવાહી હતી. જો કે, ઓછી હાજરીએ વિપક્ષ તરીકે પાર્ટીની તૈયારી અને તેની આંતરિક પરિસ્થિતિ વિશે ચર્ચાઓને વધુ વેગ આપ્યો છે. આગામી દિવસોમાં, એ જોવું રસપ્રદ રહેશે કે, TMC કેટલી ઝડપથી પોતાને એક લડાયક વિપક્ષી પક્ષ તરીકે સ્થાપિત કરે છે અને શું તે તેની જૂની આંદોલનાત્મક શૈલીમાં પાછી ફરી શકે છે કે નહીં.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 06-06-2026 વાર- શનિવાર મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'
Copyright (c) Khabarchhe All Rights Reserved.