- Sports
- ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર નિકળ્યા બાદ રીઝવાને જણાવ્યું હારનું કારણ
ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર નિકળ્યા બાદ રીઝવાને જણાવ્યું હારનું કારણ

ભારત સામે મેચ હાર્યા બાદ પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાનનું દુખ સામે આવ્યું છે. મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં તેણે કહ્યું કે તેની ટીમના ખેલાડીઓ વારંવાર એકની એક જ ભૂલો કરી રહ્યા છે અને સ્વીકાર્યું કે અહીં ભારત સામેની હાર બાદ તેની ટીમનું ચેમ્પિયન્સ ટ્રોફી અભિયાન લગભગ સમાપ્ત થઈ ગયું હતું. ભારત પહેલા ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 60 રનથી હરાવ્યું હતું. ગ્રુપ A માં તેનો છેલ્લો મુકાબલો 27 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે થશે.
મેચ પછી રિઝવાને પત્રકારોને જણાવ્યું કે અમારી સફર લગભગ પૂરી થઈ ગઈ છે. હવે અમારે અન્ય મેચોના પરિણામો પર આધાર રાખવો પડશે. એક કેપ્ટન તરીકે મને આવી પરિસ્થિતિઓ પસંદ નથી. અમારે અમારું ભાગ્ય પોતે જ લખવું જોઈતું હતું.
કોહલી અંગે રીઝવાને કહ્યું કે, તેણે કેટલી મહેનત કરી તે જોઈને મને નવાઈ લાગી. દુનિયા કહી રહી છે કે તે ફોર્મમાં નથી પણ તેણે આટલી મોટી મેચમાં સરળતાથી રન બનાવ્યા. અમે તેને આઉટ કરવા માટે શક્ય તેટલા બધા પ્રયાસો કર્યા પણ અમને સફળતા ન મળી.
રિઝવાને કહ્યું કે જ્યાં સુધી મેચનો સવાલ છે, અમે ચોક્કસપણે નિરાશ છીએ. અમે ત્રણેય વિભાગોમાં ભૂલો કરી. "અમે વચ્ચેની ઓવરોમાં વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટ્રાઇ સીરિઝમાં પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ સામે બે મેચ હારી ગયું હતું. રિઝવાને કહ્યું કે તેની ટીમ પોતાની ભૂલોમાંથી શીખી શકી નથી. સાચું કહું તો, અમે સતત એ જ ભૂલોનું પુનરાવર્તન કરી રહ્યા છીએ જે અમે પાછલી મેચોમાં કરી હતી. અમે અમારી તરફથી પ્રયાસ કર્યો પણ મને લાગે છે કે તે પૂરતું ન હતું કારણ કે ભારતીય ટીમે અમારા કરતા વધુ સારો પ્રયાસ કર્યો.