- Astro and Religion
- શનિ મહારાજને રાજી કરવાનો સૌથી સચોટ ઉપાય
શનિ મહારાજને રાજી કરવાનો સૌથી સચોટ ઉપાય
ન્યાયના દેવતા શનિ મહારાજને રાજી કરવાનો સૌથી સચોટ ઉપાય પૂજા પાઠ કરતા પણ ચારિત્ર્ય છે. શનિ મહારાજ કર્મના દેવતા છે ભૌતિક વિધિ કરતાં અગત્યનું છે કે તમે કેવા વ્યક્તિ બની રહ્યા છો એ જ તેમને વધુ રાજી કરે છે.
કેટલાક ગુણો દૈનિક જીવનમાં કેળવો...
1. અનુશાસન પાળો
દૈનિક નિયમ પાળો. સમયસર ઉઠો, પોતાનું કામ પૂરું કરો, આપેલા વચન નિભાવી જાણો. શનિ મહારાજ “આજે નહીં તો કાલે”વાળા વ્યક્તિત્વ મનને પસંદ કરતા નથી. નિયમિતતા જ તેમની કૃપાદ્રષ્ટિની ચાવી છે.
2. ધીરજ રાખો
ઇચ્છિત કાર્યનું ફળ તરત ન મળે તો પણ ચાલુ પ્રયત્ન અવિરત રાખો. શનિ મહારાજ ધીમા છે પણ જે આપે છે તે ઉત્તમ આપે છે. ઉતાવળ, ગુસ્સો અને હતાશા તેમને નિરાશા જ કરશે.

3. ઈમાનદારી / પારદર્શિતા રાખો
જૂઠું ન બોલશો, છેતરપિંડી ન કરશો, ટૂંકા રસ્તા ના અજમાવશો. કામમાં, પૈસામાં અને સંબંધોમાં સાચા વ્યવહારુ રહો. શનિ મહારાજ ન્યાયના દેવતા છે અન્યાય અને કપટ તેમને સૌથી વધુ નારાજ કરે છે.
5. મહેનત અને જવાબદારી સ્વીકારો
કાર્ય અઘરું હોય તો પણ કરો. અન્યોના ભારને પોતાના પર લેવાની તૈયારી રાખો. શનિ મહારાજ મજૂર, કર્મચારી અને કર્તવ્યનિષ્ઠ વ્યક્તિના રક્ષક બનતા હોય છે.
5. નમ્રતા રાખો
સફળતા આવે ત્યારે પણ વિનમ્ર રહો. પોતાના વડીલો, નોકર ચાકર, ગરીબ અને અસહાય લોકોનું અપમાન ક્યારેય ન કરો અને અપમાનજનક વિચારો અને ભાવથી દૂર રહો. શનિ મહારાજ અહંકારને ટકવા દેતા નથી અને અહંકારી વ્યક્તિઓને સાથ નથી આપતા એટલે અહંકાર થઈ દૂર રહો.
6. સેવાભાવ કેળવો
ગરીબને અન્ન, વૃદ્ધને આદર, મજૂરને યોગ્ય વળતર, પશુ પક્ષીને ખોરાક... આ બધું શનિ મહારાજને અતિપ્રિય છે. દાન “બતાવવા” માટે નહીં પણ દયાભાવથી નિઃસ્વાર્થ કરો.
7. સંયમ અને સાદગી રાખો
વધુ પડતો વૈભવ, વ્યસન, આળસ અને વિલાસી બનવાનું ટાળો. સાદું જીવન, સ્વચ્છ વિચારો અને વિચારો પર કાબૂ... આ શનિ મહારાજને ખૂબ ગમે છે.

8. ન્યાયપ્રિય બનો
બીજાના હક હિસ્સાનું ના પચાવશો. મજૂરવર્ગ કામદારનો પગાર મહેનતાણું રોકશો નહીં, કોઈને અન્યાય કરશો નહીં, અનૈતિક વાતોમાં કોઈને સાથ ના આપશો. જે વ્યક્તિ ન્યાયપૂર્ણ ભાવ રાખે છે શનિ મહારાજ તેના રક્ષક બને છે.
સાર રૂપે યાદ રાખો... શનિ મહારાજને રાજી કરવા માટે સાચા બનો, ધીરા બનો, મહેનતુ બનો, નમ્ર બનો અને સેવા કરો.
પૂજા મંત્ર હોમહવન આ ગુણો સાથે ભળે ત્યારે જ સાચું ફળ આપે છે. પહેલા ઉપરોક્ત ગુણ કેળવીલો શનિ મહારાજ જરૂર આપને સાથ આપશે.

