ભાજપને પાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસ કે આપનો ડર નથી, તો પછી કોનો છે?
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. ફોર્મ ખેંચવાની 15 એપ્રિલે છેલ્લી તારીખ છે. ભારતીય જનતા પાર્ટીના તમામ મોટા નેતાઓ કહે છે કે તેમની સામે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીની કોઇ ચેલેન્જ નથી. એક રીતે વાત સાચી પણ છે. તો પછી ભાજપને ટેન્શન શેનું છે. જો સામે કોઇપણ પાર્ટી ને તેઓ ચેલેન્જ ગણતા નથી તો પછી આટલી દોડધામ કેમ કરે છે. આ વાત સમજવા જેવી છે.
ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 25 વર્ષમાં ધીરે ધીરે વિપક્ષને ખતમ કરી દીધો છે. એટલે કોંગ્રેસ કે આપ નો તેમને ડર નથી. તેમને ડર પોતાની જ પાર્ટીનો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા કે જેઓ ખૂબ જ બોલકા છે તેમણે એક ભાષણમાં કહી પણ દીધું કે ભાજપ જ ભાજપને હરાવશે. આ વાતમાં સચ્ચાઇ છે.
ભારતીય જનતા પાર્ટીનું શાસન 30 વર્ષથી છે. એટલે સ્વાભાવિક રીતે ભાજપ સામે એન્ટી ઇન્કમબન્સી છે. જે એક સત્ય હકીકત છે. ભારતીય જનતા પાર્ટી હાલ કોંગ્રેસ કે આપ સામે નથી લડી રહી પરંતુ એન્ટી ઇન્કમબન્સી સામે લડી રહી છે. એન્ટી ઇન્કમબન્સીને સામાન્ય ભાષામાં સમજીએ તો એક છોકરો અને છોકરી પ્રેમમાં પડે તો પહેલા તો બધુ સારૂં લાગે. બન્ને એ એકબીજાને મોટા મોટા સપના બતાવ્યા હોય. એકબીજા માટે સપના જોયા પણ હોય. પરંતુ પછી લગ્ન થઇ જાય. લગ્ન પછી જ્યારે હકીકતો સામે આવે ત્યારે બન્નેમાં ઝગડા શરૂ થાય. બન્નેને એકબીજાનું મોઢું જોવાનું પણ ન ગમે. ત્યારે પછી તલાક થઇ જાય. ભાજપ અને ગુજરાતની જનતાની સ્થિતિ હાલ આવી જ છે. ભાજપના નેતાઓએ હાલ પ્રયત્ન એ કરવો પડી રહ્યો છે કે ગુજરાતની જનતા તેમને છૂટાછેડા ન આપી દે. પરંતુ સામે કોઇ સારો મૂરતિયો પણ દેખાઇ નથી રહ્યો. તો આવી સ્થિતિમાં જનતા શું કરશે.
મૂરતિયો બદલી નાંખ્યો
આ વાત ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખબર પણ છે. પરંતુ ડર એ પણ છે કે જનતા ક્યાંય ગુસ્સાને ગુસ્સામાં ગમે તેવો મૂરતિયો પણ પસંદ ન કરી લે. એટલે જ ભાજપે જે ઉમદવારોની પસંદગી કરી છે તેમાં તેનું ધ્યાન રાખ્યું છે. ભાજપે તમામ મૂરતિયાને બદલી નાંખ્યા છે. આખા ગુજરાતમાં 80 ટકા બેઠકો પણ નવા ચહેરા આપવામાં આવ્યા છે. એટલે 20 જ ટકાને રીપીટ કરાયા છે. જે 3 ટર્મ જીત્યા હોય તેમને હાંકી કઢાયા છે. નેતાઓના પરિવારજનોને ટિકિટ આપી નથી. આમ, બધી રીતે જનતા જૂના લોકોના ચહેરા ન જોવા પડે તેનું ધ્યાન રાખ્યું છે. ભાજપ એ કહેવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે મજબૂરીમાં પણ તમે કોઇ બીજા પરિવારનો મૂરતિયો પસંદ ન કરી લેતા. અમે જે જૂનો મૂરતિયો છે તેને બદલી નાંખ્યો છે. પરંતુ જનતા જાણે છે કે નવો મૂરતિયો અનુભવી નથી. તે કામ કરશે કે નહીં તેની કોઇ ગેરન્ટી નથી. હવે જનતા શું કરે છે તે જોવાનું રહ્યું.
પાર્ટી માટે કામ કરનારાને જ ટિકિટ
પાર્ટીની એક કોર વોટબેંક છે. તે કોર વોટબેંકના આધારે જ તે ચૂંટણી જીતે છે. પરંતુ તે કોર વોટબેંકમાં પણ ગાબડા પડી જાય જો કોઇ બહારથી આવેલા કે નવા સવાને ટિકિટ આપે. એટલે ભાજપે મહદઅંશે એ ધ્યાન રાખ્યું છે તેમની કોર વોટબેંકમાં ગાબડા ન પડે. એટલે જેમણે લાંબા સમયથી પાર્ટી કે સંઘ પરિવારમાં કામ કર્યું હોય તેમને જ પ્રાથમિકતા આપી છે. આ એવા લોકો છે જેમને ભાજપની કોર વોટબેંક ઓળખે છે. ઘણા એવા લોકો જે સમાજમાં કામ કરતા હતા. તેમની લોકચાહના પણ હતી. પરંતુ તેમણે પાર્ટી માટે કામ કર્યું ન હતું. એટલે તેમને ટિકિટ આપવાને બદલે પાર્ટીએ એવા મૂરતિયા જ પસંદ કર્યા છે જેમણે પાર્ટી માટે લાંબો સમય કામ કર્યું હોય.
ચહેરા ને બદલે કમળને આગળ કર્યું
પહેલા ભાજપ ચહેરાઓને આગળ કરતું. હવે એવું કહેવાઇ રહ્યું છે કે તમારે કોઇ ચહેરા જોવાના નથી. તમારે કમળને જોઇને મત આપવાના છે. ચહેરા બદલ્યા છતાં પાર્ટીને વિશ્વાસ નથી કે તેનાથી એન્ટી ઇન્કમબન્સીને ખાળી શકાશે. એટલે લોકોમાં એવો પ્રચાર શરૂ કરાયો છે કે તમારે ચહેરા જોવાના નથી પરંતુ કમળને જોઇને મત આપવાનો છે.
બિનહરીફ આવી જાય તેવા પ્રયત્નો
પાર્ટીએ ઘણી જગ્યાએ પોતાના મોટા નેતાઓને કામે લગાડ્યા છે કે સીટો બિનહરીફ આવી જાય. કડીમાં નીતિન પટેલ અને ગણદેવીમાં સીઆર પાટિલે તે કરી પણ બતાવ્યું છે. બીજી ઘણી જગ્યાએ વિપક્ષના ઉમેદવારો ફોર્મ જ ન ભરે. અને જો ફોર્મ ભરી દે તો પછી તે પાછું ખેંચી લે તેવા પ્રયત્નો થઇ રહ્યા હોવાની માહિતી મળી છે.
ધારાસભ્યોને જવાબદારી
આમ, ભારતીય જનતા પાર્ટીએ એન્ટીઇન્કમબન્સીને ખાળવા માટે જે પગલા લીધા છે તે માત્ર આ ચૂંટણીને ધ્યાને લઇને નહીં પરંતુ વર્ષ 2027માં આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇને લીધા છે. કારણ કે પાર્ટીને ખબર છે કે આવનારી ચૂંટણી સુધી ખાસ્સો લાંબો સમય થઇ ગયો છે. ત્યારે પણ એન્ટી ઇન્કમબન્સી નડવાની જ છે. એટલે પહેલાથી જ માહોલ ઊભો કરી દીધો છે. તો શું વિધાનસભાની ચૂંટણીઓમાં પણ 80 ટકા સિટિંગ ધારાસભ્યોની ટિકિટ કપાઇ જશે. હાલ તો ધારાસભ્યોએ જેમને પસંદ કર્યા તેમને ટિકિટ આપી છે. એટલે જે ધારાસભ્યો પોતાના વોર્ડમાં ઉમેદવારોને જીતાડી ન શકે તો તેમની ટિકિટ કપાઇ જશે તે નક્કી છે.

