- Business
- લોકોને અમીર કેમ બનવું, તેનું જ્ઞાન આપતા રોબર્ટ કિયોસાકી પર જ 10 હજાર કરોડનું દેવું છે
લોકોને અમીર કેમ બનવું, તેનું જ્ઞાન આપતા રોબર્ટ કિયોસાકી પર જ 10 હજાર કરોડનું દેવું છે
વિશ્વપ્રસિદ્ધ ફાઇનાન્શિયલ પુસ્તક ‘રિચ ડેડ પુઅર ડેડ’ના 79 વર્ષીય લેખક રોબર્ટ કિયોસાકી 1.2 અબજ ડોલર (અંદાજે ₹10,000 કરોડથી વધુ)ના દેવામાં હોવાના અહેવાલોથી ભારે ચર્ચા જાગી છે. દાયકાઓથી સંપત્તિ બનાવવા માટે દેવું લેવાની હિમાયત કરનાર વ્યક્તિ માટે આ આંકડો સ્તબ્ધ કરી દેનારો લાગે છે.
કિયોસાકીએ પોતે જ આ આંકડાનો અનેક વાર ઉલ્લેખ કર્યો છે. આ વર્ષે ‘ગેટ રિચ એજ્યુકેશન’ પોડકાસ્ટ પર વાત કરતા તેમણે સ્વીકાર્યું હતું કે તેઓ 1.2 અબજ ડોલરના દેવા હેઠળ છે. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે તેઓ 1974થી દેવાનો સંપત્તિ બનાવવા માટે કેવી રીતે ઉપયોગ કરવો તે વિષય પર અભ્યાસ કરી રહ્યા છે. જોકે, તેમણે શ્રોતાઓને ચેતવણી પણ આપી હતી કે તેઓ સીધેસીધું તેમનું અનુકરણ ના કરે.

'ધ ન્યૂયોર્ક પોસ્ટ'ના એક અહેવાલ અનુસાર આ 1.2 અબજ ડોલરનું દેવું કિયોસાકીનું પોતાનું વ્યક્તિગત દેવું નથી. તેમના પૂર્વ પત્ની અને બિઝનેસ પાર્ટનર કિમ કિયોસાકીએ સ્પષ્ટતા કરી હતી કે આ દેવાનો મોટો હિસ્સો બંનેના સંયુક્ત રિયલ એસ્ટેટ પોર્ટફોલિયો સાથે જોડાયેલો છે અને તે તેમના રોકાણ ભાગીદારો વચ્ચે વહેંચાયેલો છે. આ દંપતી અંદાજે 1,500થી વધુ એપાર્ટમેન્ટ્સમાં ભાગીદારી ધરાવે છે. કિમે ઉમેર્યું કે જો આ દેવાને વહેંચવામાં આવે તો રોબર્ટનો વ્યક્તિગત હિસ્સો ઘણો ઓછો થાય છે.
અહેવાલ મુજબ, કિયોસાકી પોતાની મિલકતોની વધતી કિંમતો સામે લોન લે છે અને તેનો ઉપયોગ ટેક્સ-ફ્રી નાણાં તરીકે કરે છે. આ તમામ રોકાણો અલગ-અલગ લિમિટેડ લાયબિલિટી કંપનીઓ દ્વારા કરવામાં આવે છે. 'વેનિટી ફેર'ના અંદાજ મુજબ, કિયોસાકીનો વાસ્તવિક વ્યક્તિગત દેવાનો હિસ્સો 3 કરોડથી 6 કરોડ ડોલર (અંદાજે ₹250 થી ₹500 કરોડ) વચ્ચે હોઈ શકે છે.
આ આખી સિસ્ટમ કિયોસાકીના એ જ મૂળ ફાઇનાન્શિયલ સિદ્ધાંત પર આધારિત છે જે તેઓ વર્ષોથી શીખવતા આવ્યા છે: દેવાથી ડરવાને બદલે દેવું લઈને એવી મિલકતો ખરીદવી જે તમને સતત કમાણી કરાવતી રહે. જોકે, ક્ષેત્રના નિષ્ણાતો આ રણનીતિ સામે સાવધાની રાખવાની સલાહ આપે છે.

રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટર અને ટેક્સ એજન્ટ ડેવિડ એ. પેરેઝના જણાવ્યા મુજબ, મિલકતની ઈક્વિટી સામે લોન લેવાનું મોડેલ મોટા રોકાણકારો માટે ખૂબ સામાન્ય છે. પરંતુ તેમણે ટાંક્યું કે વધુ પડતી લોન લેવાથી માસિક હપ્તા અને વ્યાજનો બોજ વધે છે, જેનાથી હાથમાં આવતું રોકડ ભંડોળ ઘટી જાય છે.
સ્કૉટ્સડેલ સ્થિત કન્સલ્ટન્સીના સ્થાપક જોન પૂલે જણાવ્યું હતું કે, સારું દેવું અને ખરાબ દેવું બંને હોય છે, પરંતુ આટલા મોટા દેવા પર અનંતકાળ સુધી નિર્ભર રહેવું અત્યંત જોખમી છે. તેમણે આ સ્થિતિને નાણાકીય રીતે માથા પર લટકતી તલવાર સમાન ગણાવી હતી અને ઉમેર્યું હતું કે કિયોસાકીએ ગમે ત્યારે આવનારા વળતા હુમલા કે ચૂકવણી માટે તૈયાર રહેવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, 1997માં પ્રથમ વખત પ્રકાશિત થયેલું કિયોસાકીનું પુસ્તક ‘રિચ ડેડ પુઅર ડેડ’ વિશ્વભરમાં 4.4 કરોડથી પણ વધુ નકલોમાં વેચાઈ ચૂક્યું છે.

