- Business
- સોને કી ચિડિયા કહેવાતા દેશને PM મોદી 1 વર્ષ સોનું ખરીદવાની ના કેમ પાડી રહ્યા છે?
સોને કી ચિડિયા કહેવાતા દેશને PM મોદી 1 વર્ષ સોનું ખરીદવાની ના કેમ પાડી રહ્યા છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસિયોં ને એક અપીલ કરી છે કે તેઓ 1 વર્ષ સુધી સોનું ન ખરીદે. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે કોઇ પ્રસંગ હોય તો પણ હાલ સોનું ખરીદવાનું માંડીવાળો. એક સમયે સોને કી ચિડિયા કહેવાતા દેશ માટે આવી સ્થિતિ કેમ ઊભી થઇ ગઇ છે. શું મજબૂરી છે કે વડાપ્રધાન જેવી વ્યક્તિ આપણને સોનું ખરીદવાની ના પાડે છે. ચાલો સોનાના ઇતિહાસ અને અર્થશાસ્ત્ર પર એક નજર મારીએ.
ભારત અને સોનાનો સંબંધ માત્ર એક ધાતુનો નથી. તે સંસ્કૃતિ, વિશ્વાસ, પરિવારની સુરક્ષા, સ્ત્રીની આર્થિક શક્તિ અને દેશની આર્થિક સ્થિતિ સાથે જોડાયેલો વિષય છે. એક સમય એવો હતો જ્યારે દુનિયા ભારતને “સોનાની ચીડિયા” કહેતી હતી. આજે પણ ભારતીય ઘરોમાં દુનિયાનો સૌથી મોટો ખાનગી સોનાનો જથ્થો છે. છતાં બીજી બાજુ, દર વર્ષે લાખો કરોડ રૂપિયાનું સોનું આયાત કરવા માટે ભારતને ડૉલર ખર્ચવા પડે છે.
લગભગ 5000 વર્ષ પહેલા સિંધુ ખીણની સભ્યતાના સમયથી જ ભારતમાં સોનાના આભૂષણોનો ઉપયોગ થતો હતો. વૈદિક સાહિત્યમાં “હિરણ્ય” શબ્દ સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવતો. આગળ જતાં મંદિરો સોનાના મોટા કેન્દ્ર બન્યા. પદ્મનાભસ્વામી અને તિરૂપતિ બાલાજી મંદિરમાં સોનાના ભંડારો છે. સોમનાથ પણ આક્રમણ કે પછી મુસ્લિમ લૂંટારાઓ જે આવ્યા તેમણે પણ સોનાથી આકર્ષાઇને ભારત પણ આક્રમણ કર્યું હતું. જૂના સમયથી ભારતમાં મસાલા અને કોટન સહિત બીજી વસ્તુઓ પાકતી જે વિદેશીઓ ખરીદતા અને તેને બદલે સોનું આપતા. રોમનો કહેતા કે ભારતીયો તેમની પાસેથી સોનું છીનવી લે છે.
સોનું ન ખરીદવાની સલાહ કેમ અપાઇ?
હાલ ઇરાન અને અમેરિકાના યુદ્ધને કારણે પેટ્રોલ-ડીઝલ જેમાંથી મળે છે તે ક્રૂડ ઓઇલનો ભાવ બમણા જેવો થઇ ગયો છે. ક્રૂડ ઓઇલ ભારતમાં ખૂબ ઓછુ નીકળે છે. આપણે દેશની જરૂરિયાતનું 80 ટકા ક્રૂડ ઓઇલ વિદેશોમાંથી આયાત કરીએ છીએ. આ આયાત કરવા માટે આપણે ડોલરમાં ચૂકવણી કરવી પડે છે. હાલ 1 ડોલર માટે આપણે 90 રૂપિયા જેટલો ખર્ચ કરવો પડે. આમ હાલની સ્થિતિમાં આપણે મોટાપાયે ડોલર આપવા પડી રહ્યા છે.
ભારતના આર્થિક ઇતિહાસમાં વર્ષ 1991માં એક ક્ષણ એવી આવી જ્યારે ભારત પાસે આયાત માટે થોડા અઠવાડિયાની જ ફોરેક્સ રિઝર્વ હતી એટલે 47 ટન સોનું ગિરવે મૂકવું પડ્યું હતું. ત્યારબાદ ભારતે આર્થિક નીતિ બદલી અને હાલ ભારત પાસે 700 અબજ ડોલરનું વિદેશી નાણું છે. આ વિદેશી નાણું આગામી 11 મહિના સુધી ચાલે તેવું છે. એટલે પીએમ મોદીએ એક વર્ષ સોનું ન ખરીદવાની સલાહ આપી છે.
સોના સાથે શું સંબંધ
સોનું પણ ભારતમાં ખૂબ ઓછું નીકળે છે. તેને પણ વિદેશોથી આયાત કરવું પડે છે. હવે જો આપણે સોનું ખરીદીએ તો તેના રૂપિયા પણ ડોલરમાં જ આપવા પડે. એટલે જે રૂપિયા આપણે ક્રૂડ ઓઇલ માટે આપતા હતા તે સોના માટે આપવા પડે. ક્રૂડ ઓઇલ જીવનજરૂરી વસ્તુ છે. સોનું જીવન જરૂરી નથી. એટલે સોનું ન ખરીદવા અપીલ કરાઇ છે.
આજે ભારતીયો પાસે કેટલું સોનું છે?
આજે અંદાજે ભારતીય ઘરો પાસે: 25,000 થી 35,000 ટન સોનું છે. કેટલાક આંતરરાષ્ટ્રીય અંદાજો પ્રમાણે તેની કુલ કિંમત ₹200 થી ₹250 લાખ કરોડ જેટલી હોઈ શકે છે. આ દુનિયાનો સૌથી મોટો પ્રાઇવેટ ગોલ્ડ સ્ટોક માનવામાં આવે છે. પરંતુ વિરોધાભાસ એ છે કે ભારત પાસે એટલું સોનું હોવા છતાં દર વર્ષે નવું સોનું આયાત થાય છે.
દર વર્ષે ₹6 લાખ કરોડનું સોનું આયાત
ભારત દર વર્ષે લગભગ 700 થી 900 ટન સોનું આયાત કરે છે. તાજેતરના આંકડા મુજબ ભારતમાં સોનાની આયાતનો આંકડો લગભગ ₹6 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે.
આપણે વર્ષે લગભગ 10થી 16 લાખ કરોડનું ક્રૂડ ઓઇલ આયાત કરીએ છીએ. જો ભારતના લોકો સોનું ખરીદવાનું એક વર્ષ માંડી વાળે તો લગભગ 6 લાખ કરોડ સુધી બચી શકે છે. આ રૂપિયા બચે તો આપણી પાસે જે વિદેશી નાણું છે તેનો ઉપયોગ ક્રૂડ ઓઇલ ખરીદવામાં થઇ શકે. આપણો રૂપિયો જે ડોલર સામે ગગડી રહ્યો છે તે મજબૂત રહે. કારણ કે જો આપણી પાસે ડોલરની અછત સર્જાય તો આપણે મોંઘાભાવે ડોલર ખરીદવા પડે. તેની અસર અર્થતંત્ર પર પડે.
જોકે, ભારતમાં સોનું માત્ર એક ઇન્વેસ્ટમેન્ટ નથી. લગ્નપ્રસંગથી લઇને તમામ તહેવારોમાં તેની જરૂરિયાત હોય છે. મહિલાઓ માટે તે સુરક્ષા કવચ જેવું હોય છે. એટલે વડાપ્રધાનની અપીલની કેટલી અસર પડશે તે તો આવનાર સમય કહેશે.

