- Charcha Patra
- કેન્સરથી પિતાના મોત પછી સુરતમાં દીકરાએ જે કર્યું તેને સલામ કરવી જોઇએ
કેન્સરથી પિતાના મોત પછી સુરતમાં દીકરાએ જે કર્યું તેને સલામ કરવી જોઇએ
આજના સમયમાં કેન્સર થવાના કારણોમાં રાસાયણિક ખાતરથી આપણા ખોરાકમાં જતા રસાયણો પણ મોટો ભાગ ભજવે છે. પરંતુ તેનો ઉપાય આજ સુધી આપણે શોધી શક્યા નથી. આપણા દેશની વસ્તીને ધ્યાને રાખતા બધા જ લોકો રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરી દે તે શક્ય પણ નથી. શક્ય હોય તેટલા નાના નાના પ્રયત્નોથી આપણે આ સમસ્યાને નિવારી શકીશું. સૂરતમાં આવી એક ઘટના બની છે. કેન્સરથી પિતાના મોત પછી એક દીકરાએ તેની ખેતીમાં રાસાયણિક ખાતર વાપરવાનું જ બંધ કરી દીધું.
આ કિસ્સો છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામના ખેડૂત કલ્પેશ પટેલનો. તેમણે વ્યક્તિગત દુઃખને સમાજ માટે પ્રેરણામાં ફેરવી દીધું છે. પિતાના કેન્સરથી થયેલા અવસાન બાદ તેમણે રાસાયણિક ખેતી સંપૂર્ણપણે છોડી કુદરતી ખેતીનો માર્ગ અપનાવ્યો. આજે તેઓ ગુજરાતમાં કુદરતી ખેતીના સફળ ખેડૂત તરીકે ઓળખાઈ રહ્યા છે.

કલ્પેશ પટેલના પિતા રમણભાઈ પટેલ વર્ષો સુધી ખેતરમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરતા હતા. કલ્પેશ જણાવે છે કે પિતાના શરીરમાંથી હંમેશા જંતુનાશકોની ગંધ આવતી હતી. જ્યારે તેમના પિતાને કેન્સર થયું, ત્યારે તેમને સમજાયું કે રાસાયણિક ખેતીના આરોગ્ય પર ગંભીર પ્રભાવ પડી શકે છે. પિતાના અવસાન પછી તેમણે નક્કી કર્યું કે હવે તેઓ ખેતીમાં ઝેરી રસાયણોનો ઉપયોગ નહીં કરે.
વર્ષ 2019માં કલ્પેશે પોતાની જમીન પર કુદરતી ખેતીનો પ્રયોગ શરૂ કર્યો. સુરતની ખાનગી કંપનીમાં કેમિકલ ઓપરેટર તરીકે નોકરી સાથે તેમણે ગુજરાત કૃષિ વિભાગ દ્વારા આયોજિત તાલીમમાં ભાગ લીધો અને જીવામૃત જેવી કુદરતી પદ્ધતિઓ શીખી.
આજે તેઓ લગભગ સાડા ત્રણ બીઘા જમીનમાં 50થી વધુ જાતની કેળાની ખેતી કરે છે. તેમાં પૂવન, રસથાળી, બસરાઈ, લાલ કેળું, એલચી અને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય બ્લૂ જાવા જેવી જાતોનો સમાવેશ થાય છે. તેમના ખેતરમાં ઉત્પન્ન થતી કેળાની લૂમો સામાન્ય રીતે 30 કિલોથી વધુ વજન ધરાવે છે. વર્ષ 2025માં તેમના ખેતરમાં 73 કિલો વજનની કેળાની લૂમ ઉત્પન્ન થતાં કૃષિ વૈજ્ઞાનિકો અને દેશભરના ખેડૂતોનું ધ્યાન ખેંચાયું હતું.

કલ્પેશ પટેલના જણાવ્યા મુજબ કુદરતી ખેતી અપનાવ્યા પછી તેઓ દર વર્ષે પ્રતિ બીઘા રૂ. 15 હજારથી 20 હજાર સુધીનો ખર્ચ બચાવે છે. જમીનની ગુણવત્તા સુધરતાં ઉત્પાદન પણ નોંધપાત્ર રીતે વધ્યું છે. હાલમાં તેઓ સાડા ત્રણ બીઘા જમીનમાંથી દર વર્ષે અંદાજે રૂ. 10 થી 12 લાખની આવક મેળવે છે. તેઓ ન વેચાયેલા કેળાંમાંથી વેફર્સ, બનાના પાવડર અને ડ્રાય બનાના ફિગ જેવી પ્રોડક્ટ્સ તૈયાર કરે છે.
કલ્પેશ પટેલનો આ કિસ્સો સમાજ માટે પ્રેરણારૂપ છે. તેમણે બતાવી આપ્યું છે કે માત્ર રસાયણિક ખાતરથી જ સફળ ખેતી થઇ શકે તેમ નથી.
About The Author
Dr. Dinky Gajiwala, DNB (Medicine), DNB (Medical Oncology), is a dedicated Medical Oncologist and Consultant at Hope Cancer Clinic, Surat. She specializes in comprehensive cancer treatment and is passionate about empowering patients through education and awareness. With a strong presence on social media, Dr. Gajiwala actively spreads reliable information on breast cancer, chemotherapy, immunotherapy, and other critical aspects of oncology, making cancer care more accessible and understandable for all.

