- National
- રુદ્રપ્રયાગમાં ગુરુદ્વારા પર નિહંગ શીખોએ કબજો કેમ કર્યો? સેના બોલાવવી પડી; ભારે પોલીસબળ
રુદ્રપ્રયાગમાં ગુરુદ્વારા પર નિહંગ શીખોએ કબજો કેમ કર્યો? સેના બોલાવવી પડી; ભારે પોલીસબળ
સોશિયલ મીડિયા પર ફરી એકવાર નિહંગ શીખોની ચર્ચા છે. તેમના પર રુદ્રપ્રયાગ (ઉત્તરાખંડ)ના નગરાસૂમાં એક ગુરુદ્વારા પર કબજો કરવાનો આરોપ છે. પોલીસ અને ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનો સ્થળ પર તૈનાત છે, અને સેનાના જવાનો પણ નગરાસૂ પહોંચી ગયા છે. શનિવારે સાંજે 4 વાગ્યાની આસપાસ ગુરુદ્વારાના ત્રીજા માળે ચઢી ગયેલા નિહંગ શીખો ત્યાં જ છે. ગુરુદ્વારામાં 6-8 નિહંગ શીખો છે. પોલીસે જણાવ્યું કે નિહંગો ભાલા, તલવારો અને કુહાડીઓથી સજ્જ છે.
રુદ્રપ્રયાગના જિલ્લા મેજિસ્ટ્રેટ વિશાલ મિશ્રા અને પોલીસ અધિક્ષક નિહારિકા તોમરે નિહંગ શીખોને સમજાવવાનો પ્રયાસ કર્યો છે પરંતુ ત્રીજા દિવસ પણ તેઓ સફળ થયા નથી. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આ મામલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે પણ વાત કરી છે. પરિસ્થિતિ વધુ વણસતી અટકાવવા માટે રવિવારે રુદ્રપ્રયાગ અને કર્ણપ્રયાગમાં ઇન્ટરનેટ સેવાઓ કેટલાક કલાકો માટે સ્થગિત કરવી પડી હતી. નિહંગ શીખોના ગુરુદ્વારાની છત પર ચડવા અને તલવારો લહેરાવવાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
નિહંગ શીખો શા માટે ઉશ્કેરાયેલા છે?
નિહંગ શીખોના કઇ વાતે ઉશ્કેરાયેલા છે, તે જાણવું જરૂરી છે. આ મામલો 16 જૂને કર્ણપ્રયાગ બજારમાં નિહંગ શીખો અને સ્થાનિકો વચ્ચે પાર્કિંગ અંગે થયેલા વિવાદનો છે. આ દરમિયાન, નિહંગ શીખોએ સ્થાનિકો પર તલવારોથી હુમલો કર્યો હતો. પોલીસે ચાર નિહંગ શીખોની ધરપકડ કરી હતી, અને જૂથ હવે તેમના સહયોગીઓને મુક્ત કરવાની માંગ કરી રહ્યું છે.
આ ઉપરાંત, તેઓ કર્ણપ્રયાગ ઘટનામાં સામેલ સ્થાનિકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે, પોલીસ કાર્યવાહીને એકતરફી ગણાવી રહ્યા છે. નિહંગ શીખો કર્ણપ્રયાગ ઘટના અંગે ચમોલી પોલીસ દ્વારા નોંધાયેલી FIR રદ કરવાની પણ માંગ કરી રહ્યા છે. રુદ્રપ્રયાગના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM)એ લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, ગુરુદ્વારામાં કામગીરી રાબેતા મુજબ ચાલુ છે. DMના મતે, ગુરુદ્વારા પર કબજો કરવા, કોઇને બંધક બનાવવા અથવા કોઈપણ પ્રકારની હિંસા અંગેના દાવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણા છે.
આ ગુરુદ્વારા થોડા વર્ષો અગાઉ બદ્રીનાથ હાઇવે પર રુદ્રપ્રયાગ અને ગૌચર વચ્ચે સ્થિત નગરાસૂ ખાતે બનાવવામાં આવ્યા હતા. આ ગુરુદ્વારાનો ઉપયોગ શ્રી હેમકુંડ સાહિબ જનારા શીખ યાત્રાળુઓ કરે છે. ગુરુદ્વારા બનાવનારા સરદાર સુખદેવ સિંહ અને સરદાર બેઅંત સિંહ પણ તેના સંચાલનની જવાબદારી સંભાળે છે.
બેઅંત સિંહે જણાવ્યું હતું કે પંજાબના મોહાલીથી નિહંગ શીખો શનિવારે સાંજે 4 વાગ્યાની આસપાસ ગુરુદ્વારા પહોંચ્યા હતા અને કર્ણપ્રયાગમાં બનેલી ઘટના સામે પ્રદર્શન કરવા આવતા શીખ પ્રદર્શનકારીઓ માટે રહેવાની વ્યવસ્થાની માંગ કરી હતી. બેઅંત સિંહના મતે, નિહંગ શીખોએ 50-60 રૂમની વ્યવસ્થા કરવા કહ્યું હતું; પરંતુ, જ્યારે તેમને જાણ કરવામાં આવી કે ગુરુદ્વારા આટલી વ્યાપક સુવિધાઓ નહીં કરી શકે, ત્યારે તેમણે મારામારી અને હોબાળો શરૂ કર્યો. ત્યારબાદ તેઓ છત પર ચઢી ગયા, ત્રીજા માળના પ્રવેશદ્વારને તાળું મારીને કબજો કરી લીધો.
તેમણે જણાવ્યું કે તેઓ કર્ણપ્રયાગ ઘટનાના સંબંધમાં ધરપકડ કરાયેલા નિહંગ શીખોને મુક્ત કરવા અને બીજા પક્ષ સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે તેઓએ ગુરુદ્વારાને પાણી પુરવઠો કાપી નાખ્યો અને છત પર સ્થાપિત સૌર પેનલોમાં તોડફોડ કરી.
આ પહેલા, 2020-21માં દિલ્હીની સરહદો પર યોજાયેલા ખેડૂતોના વિરોધ પ્રદર્શન દરમિયાન નિહંગ શીખો ખૂબ ચર્ચામાં રહ્યા હતા. નિહંગ શીખો પંજાબથી આવ્યા હતા અને તેમણે દિલ્હીમાં કૃષિ કાયદાઓનો વિરોધમાં ધરણા કરી રહેલા ખેડૂતોને ટેકો આપવા સરહદો પર પડાવ નાખ્યો હતો.
ખેડૂત આંદલન દરમિયાન, સિંઘુ બોર્ડર નજીક દલિત સમુદાયના સભ્ય લખબીર સિંહની હત્યા કરવામાં આવી હતી. નિહંગ શીખો પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરતી સંસ્થા સંયુક્ત કિસાન મોરચાએ પણ લખબીર સિંહના જીવ જવા માટે નિહંગ શીખોને જવાબદાર ઠેરવ્યા હતા.
નિહંગ શીખો વાદળી પોશાક પહેરે છે અને તલવારો અને ભાલા જેવા કેટલાક હથિયાર રાખે છે. શીખ ઇતિહાસમાં કહેવામાં આવે છે કે નિહંગોએ શીખ ધર્મનું રક્ષણ કરવા માટે મુઘલો સામે લડ્યા હતા. નિહંગ શીખ ઘોડેસવારી, તલવારબાજી અને યુદ્વ કામમા આવતી જરૂરી વાતોને શીખે છે અને ડેરામાં રહે છે.

