- Education
- NEETની એક્ઝામ સિસ્ટમમાં કેન્સર વ્યાપી ગયું છે પહેલીવાર શિક્ષણમંત્રીએ સ્વીકાર્યું
NEETની એક્ઝામ સિસ્ટમમાં કેન્સર વ્યાપી ગયું છે પહેલીવાર શિક્ષણમંત્રીએ સ્વીકાર્યું
NEET પેપરલીક પછી કેન્દ્રિય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર માછલા ધોવાઇ રહ્યા હતા. તેઓ મીડિયાને જવાબ આપવાને બદલે હસીને જતા રહ્યા હતા. જોકે, તેઓ શુક્રવારે અચાનક મીડિયા સમક્ષ પ્રગટ થયા. તેમણે સ્વાકાર્યું કે સિસ્ટમમાં કેન્સર વ્યાપી ગયું છે. શિક્ષણમંત્રીનો આ સ્વીકાર ઘણા સવાલ ઊભા કરે છે.
ધર્મેન્દ્ર પ્રધાન એક સારા મંત્રી ગણવામાં આવે છે. તેમણે મીડિયા સમક્ષ વાતચીતમાં જે કહ્યું તે ખરેખર ખૂબ મહત્ત્વનું છે. તેમણે વ્યાધિ શબ્દનો ઉપયોગ ઘણીવાર કર્યો. તેમણે કે નીટની આખી સિસ્ટમમાં વ્યાધિ વ્યાપી ગઇ છે. સિસ્ટમને કેન્સર થઇ ગયું છે. પરંતુ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ આ અંગે શું પગલા લેવાના છે તો તેમણે સતત એવું રટણ કર્યું કે એજન્સીઓ કામ કરી રહી છે. એજન્સીઓ બધુ બહાર લાવશે. જે પણ જવાબદારો હશે તેમની સામે પગલા લેવામાં આવશે.

જ્યારે મીડિયાએ પુછ્યું કે વર્ષ 2024માં પણ પેપરો ફૂટ્યા હતા. છતાં ફરી 2026માં આવી ઘટના કેવી રીતે થઇ. ફરી આવું ન થાય તે માટે એક રાધાકૃષ્ણન કમિટીએ ઘણા બધા સૂચનો પણ કર્યા હતા. તેનું શું થયું. તો શિક્ષણમંત્રીએ જવાબ આપ્યો કે હાલ જે પરીક્ષા યોજે છે તે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)નું નિર્માણ સુપ્રીમ કોર્ટના આદેશ પર કરાયું હતું. આ ઉપરાંત રાધાકૃષ્ણન કમિટીએ જે પણ સૂચનો આપ્યા હતા તે તમામનો અમલ અમે કરાવ્યો છે. જે દિવસે પરીક્ષા હતી તે દિવસે દેશના 5400 પરીક્ષા કેન્દ્રો પર દેખરેખ રાખવા માટે કલેક્ટરો અને એસપીને આદેશ આપ્યા હતા.
મીડિયાએ સવાલ કર્યો કે તમે બધુ જ સારું કર્યું. બધી જ વ્યવસ્થાઓ કરી. પરંતુ છતાંયે પેપરો ફૂટી ગયા તે હકીકત છે. આવું કેમ બન્યું. તો શિક્ષણમંત્રીએ અંદે સ્વીકારવું પડ્યું કે આખી સિસ્ટમમાં સડો વ્યાપી ગયો છે. સિસ્ટમને કેન્સર થઇ ગયું છે. એટલે એજન્સીઓ તપાસ કરે તે પછી જે પણ પગલા લેવા પડશે તે પગલા લઇશું.
પરંતુ સવાલ એ થાય છે કે સિસ્ટમમાં સડો પેસી ગયો કેવી રીતે. પેપરો લીક પહેલીવાર થયા નથી. આવું ઘણીવાર બની ચૂક્યું છે. જાણીતા શિક્ષણશાસ્ત્રીઓ જેવા કે ખાન સર અને અલખ પાંડે કહી ચૂક્યા છે કે જ્યારે પણ પેપર લીક થાય છે ત્યારે સરકાર મોટી મોટી વાતો કરે છે. જવાબદારોને છોડીશું નહીં તેમ કહે છે. પરંતુ અંતે કંઇ થતું નથી. અલખ પાંડેએ કહ્યું કે તેમણે એકપણ પેપર ફોડનારને જેલમાં જતો જોયો નથી. તેની પાછળનું કારણ છે રૂપિયા. આખી સિસ્ટમ રૂપિયા પર ચાલી રહી છે. પેપર ફોડનારાઓ રૂપિયા આપીને કોઇને પણ ફોડી નાંખે છે. સરકાર તેની સામે લાચાર બની ગઇ છે.

જ્યારે તેમને કહેવાયું કે આ અંગે સંસદીય સમિતિએ પણ રિપોર્ટ આપ્યો છે. રાહુલ ગાંધીએ પણ સવાલ ઉઠાવ્યા છે. તો શિક્ષણમંત્રીએ કહ્યું કે તેઓ આ સમયે કોઇ રાજકીય વાત કરવા માગતા નથી. શિક્ષણમંત્રીનું આ વલણ એક રીતે યોગ્ય છે કે તેઓ કોઇ રાજકીય વાત કરવા માગતા નથી. પરંતુ શિક્ષણમંત્રીએ પણ જોવું જોઇએ કે તેઓ પોતે એક રાજકારણી છે. આ દેશની લોકશાહી પદ્ધતિને કારણે જ તેઓ ચૂંટાઇને મંત્રી બન્યા છે. તેઓ સંસદીય સમિતિના રિપોર્ટને પણ રાજકારણ કહે તે કેટલું યોગ્ય છે. ચાલો રાજકારણ એક બાજુ મૂકીએ પરંતુ શું શિક્ષણમંત્રી દેશના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓને ભરોસો આપી શકશે કે આગામી પરીક્ષાઓ વખતે કોઇ પેપરલીક થશે નહીં. આનો જવાબ કદાચ આપણને વહેલી તકે મળે તેવી આશા રાખીએ.

