- Education
- ધોરણ 1-8ના નવા પાઠ્યપુસ્તકોમાં 1678 ભૂલો, ન્યૂટનને ગણાવ્યા 'મહાન પાયલોટ'; ભાજપ સરકારે આપ્યા તપાસના આ...
ધોરણ 1-8ના નવા પાઠ્યપુસ્તકોમાં 1678 ભૂલો, ન્યૂટનને ગણાવ્યા 'મહાન પાયલોટ'; ભાજપ સરકારે આપ્યા તપાસના આદેશ
ઓડિશા સરકાર દ્વારા સરકારી શાળાઓ માટે તૈયાર કરાયેલા ધોરણ 1-8ના નવા પાઠ્યપુસ્તકોમાં 1678 ભૂલો મળી આવ્યા બાદ રાજ્યની શિક્ષણ પ્રણાલી અંગે પ્રશ્નો ઉભા થયા છે. આ બાબતને ગંભીરતાથી લેતા મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પુસ્તકો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અને શાળા શિક્ષણ માટે ઓડિશા કરિકુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન 2025 અનુસાર 2016-27ના શૈક્ષણિક સત્ર માટે તૈયાર કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. આ પુસ્તકોનું નિર્માણ શિક્ષક શિક્ષણ નિયામક અને રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદની દેખરેખ હેઠળ કરવામાં આવ્યા હતા.
છાપકામમાં વિલંબ પછી, જ્યારે પુસ્તકો તાજેતરમાં રાજ્યભરની વિવિધ શાળાઓમાં પહોંચ્યા, ત્યારે શિક્ષકોએ તેની સમીક્ષા કરી. આ ચકાસણી દરમિયાન મોટી સંખ્યામાં ભૂલો સામે આવી. સૌથી નોંધપાત્ર ભૂલ સર આઇઝેક ન્યૂટનને લગતી હતી; એક પુસ્તકમાં તેમને ‘મહાન વૈજ્ઞાનિક’ને બદલે ‘મહાન પાયલોટ’ ગણાવવામાં આવ્યા હતા. ભૂગોળ અને સંસ્કૃતિ સાથે સંબંધિત પ્રકરણોમાં પણ ઘણી ગંભીર ભૂલો મળી આવી હતી. એક પુસ્તકમાં કર્ણાટક વિધાનસભા ભવનની ઇમારતની તસવીરને ઓડિશા વિધાનસભા તરીકે પ્રકાશિત કરવામાં આવી. તેવી જ રીતે હમ્પી મંદિર સંકુલની છબીને કોણાર્ક સૂર્ય મંદિર ગણાવવામાં આવ્યું છે.
નિયમગિરિ ટેકરીઓ ઓડિશાને બદલે ઝારખંડમાં સ્થિત હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, ગંજામ જિલ્લાને બ્રહ્મપુર જિલ્લો લખવામાં આવ્યો હતો, જ્યારે બ્રહ્મપુર ગંજમ જિલ્લાનું એક મુખ્ય શહેર છે. આ ઉપરાંત ગણિત, વિજ્ઞાન અને ભૂગોળના પાઠ્યપુસ્તકોમાં પણ અસંખ્ય ભૂલો મળી આવી હતી. કેટલીક જગ્યાએ ઘઉંને ડાંગર લખવામાં આવ્યું, ગ્લાસને કપ ગણાવવામાં આવ્યો હતો, તો તાપમાનને બદલે દબાણ લખવામાં આવ્યું હતું, ફૂડ વેબને ફૂડ સાયકલ અને અને સમપ્રકાશને વિષુવવૃત્ત તરીકે દર્શાવવામાં આવ્યું હતું.
કહેવામાં આવે છે કે ધોરણ 8ના પાઠ્યપુસ્તકોમાં સૌથી વધુ 705 ભૂલો જોવા મળી હતી. આમાં પ્રખ્યાત હસ્તીઓના નામમાં ભૂલો, ખોટી તસવીરો અને તથ્યાત્મક ભૂલોનો સમાવેશ થાય છે. આ મુદ્દાઓ સામે આવ્યા પછી, શાળા અને જનશિક્ષણ વિભાગે તમામ ભૂલો સ્વીકારી છે અને સુધારાઓની યાદી તૈયાર કરી છે. વિદ્યાર્થીઓના અભ્યાસ પર થતી અસર ઘટાડવા માટે શાળાઓને સંશોધન યાદી એટલે કે કોરિજેન્ડમ પણ જાહેર કરી દેવામાં આવી છે.
બુધવારે, મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ લોક સેવા ભવનમાં આ મુદ્દા અંગે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠક વર્ચ્યુઅલ રીતે યોજાઈ હતી અને તેમાં શાળા અને જન શિક્ષણ મંત્રી નિત્યાનંદ ગોંડ, મુખ્ય સચિવ અનુ ગર્ગ અને વિભાગના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો હતો કે બધી ભૂલો તાત્કાલિક સુધારવામાં આવે અને જણાવ્યું હતું કે આ બાબત માટે જવાબદાર લોકોની ઓળખ કરવામાં આવે.
તેમણે વિકાસ કમિશનરના નેતૃત્વમાં ત્રણ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાની જાહેરાત કરી, જે પાઠ્યપુસ્તકોમાં આ ગંભીર ભૂલો માટે કયા અધિકારીઓ અથવા સંસ્થાઓ જવાબદાર છે તેની તપાસ કરશે. સમિતિને સાત દિવસમાં સરકારને પોતાનો અહેવાલ સુપરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને ભવિષ્યમાં તમામ શૈક્ષણિક સામગ્રીની ગુણવત્તા સુનિશ્ચિત કરવા અને પાઠ્યપુસ્તક તૈયાર કરવાની સમગ્ર પ્રક્રિયાની સમીક્ષા કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

