- Entertainment
- 'ધ કેરળ સ્ટોરી 2' ની રીલિઝ પર રોક: હાઈ કોર્ટે સેન્સર બોર્ડને લગાવી ફટકાર
'ધ કેરળ સ્ટોરી 2' ની રીલિઝ પર રોક: હાઈ કોર્ટે સેન્સર બોર્ડને લગાવી ફટકાર
કેરળ હાઈકોર્ટે ગુરુવાર, 26 ફેબ્રુઆરીના રોજ ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી 2' ની રીલિઝ પર વચગાળાની રોક લગાવી દીધી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં દાખલ કરવામાં આવેલી એક અરજી પર સુનાવણી કરતા કોર્ટે આ મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે, જેમાં ફિલ્મના સેન્સર સર્ટિફિકેટને પડકારવામાં આવ્યું હતું.
કોર્ટની કડક ટિપ્પણી અને આદેશ
જસ્ટિસ બેચુ કુરિયન થોમસે સુનાવણી દરમિયાન નિર્દેશ આપ્યો હતો કે ફિલ્મ તેની નિર્ધારિત તારીખ 27 ફેબ્રુઆરી ના રોજ રીલિઝ કરી શકાશે નહીં. કોર્ટે સેન્સર બોર્ડની કાર્યશૈલી પર પણ ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું કે, બોર્ડે આ મામલે 'નિયમોનું યોગ્ય પાલન કર્યું નથી'.

ફિલ્મમેકર્સ હવે શું કરશે?
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ફિલ્મમેકર્સ હવે સિંગલ જજના આ આદેશ વિરુદ્ધ કેરળ હાઈકોર્ટની મોટી બેન્ચ (ડિવિઝન બેન્ચ) સમક્ષ અપીલ કરવાની તૈયારી કરી રહ્યા છે. પ્રોડ્યુસર્સે કોર્ટ પાસે વિગતવાર આદેશની વહેલી નકલ માંગી છે જેથી તેઓ વિલંબ કર્યા વિના તેને પડકારી શકે. ફિલ્મની ટીમે તાત્કાલિક રાહતની માંગ કરી છે કારણ કે રીલિઝ માટે હવે ગણતરીના કલાકો જ બાકી છે.
વિવાદનું મુખ્ય કારણ
કામાખ્યા નારાયણ સિંહના નિર્દેશનમાં અને વિપુલ અમૃતલાલ શાહ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે યુવાન હિંદુ મહિલાઓને આંતરધાર્મિક લગ્નોમાં ફસાવવામાં આવે છે. તેમની સાથે મારપીટ કરવામાં આવે છે અને તેમના અધિકારો છીનવી લેવામાં આવે છે. તેમને બળજબરીથી ઇસ્લામમાં ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે.

ટ્રેલર રીલિઝ થયા બાદથી જ આ ફિલ્મ વિવાદોમાં ઘેરાયેલી હતી. જીવવિજ્ઞાની (Biologist) શ્રીદેવ નમ્બુદરીએ આ મામલે ગંભીર વાંધો ઉઠાવતા અરજી કરી હતી કે આ ફિલ્મ કેરળની છબીને અત્યંત નકારાત્મક રીતે રજૂ કરે છે, જેની સામાજિક અસરો થઈ શકે છે.
કોર્ટે પણ નોંધ્યું હતું કે અરજદારોની ચિંતાઓ 'કદાચ વાસ્તવિક' છે. આ સંદર્ભે હાઈકોર્ટે માહિતી અને પ્રસારણ મંત્રાલય, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) અને ફિલ્મના પ્રોડ્યુસરને નોટિસ પાઠવી છે.

