- Business
- HDFC બેંકના ચેરમેન અતનુ ચક્રવર્તીનું રાજીનામાથી રોકાણકારોમાં ખળભળાટ, હવે કોણ સંભાળશે સુકાન?
HDFC બેંકના ચેરમેન અતનુ ચક્રવર્તીનું રાજીનામાથી રોકાણકારોમાં ખળભળાટ, હવે કોણ સંભાળશે સુકાન?
ભારતની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંક તરફથી મોટા સમાચાર આવ્યા છે, જેણે બેંકિંગ ક્ષેત્ર અને શેરબજાર બંનેને આશ્ચર્યચકિત કરી દીધા છે. બેંકના પાર્ટ-ટાઇમ ચેરમેન અતનુ ચક્રવર્તીએ અચાનક તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામા પાછળના કારણને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે, જેમાં બેંકના સંચાલન અને તેમના પોતાના વ્યક્તિગત મૂલ્યો અને એથિક્સ વચ્ચે તાલમેળનો અભાવ હોવાની વાત તેમણે જણાવ્યું હતું.
જ્યારે આટલી મોટી બેંકના ચેરમેન 'નૈતિકતા'નો સંદર્ભ આપીને રાજીનામું આપે છે, ત્યારે તે રોકાણકારોના મનમાં બેંકના કોર્પોરેટ ગવર્નન્સ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. આ જ કારણ છે કે, આજે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોએ શેરથી દૂરી બનાવવાનું શરૂ કરી દીધું, જેના કારણે ભારે વેચવાલી થઈ. અચાનક રાજીનામાના સમાચાર મળતા જ HDFC બેંકના શેરમાં શેરબજારમાં ભારે કડાકો જોવા મળ્યો. સવારે 9:55 વાગ્યાની આસપાસ, HDFC બેંકના શેરનો ભાવ 5% (આશરે ₹42)થી વધુ ઘટીને ₹800.90ના સ્તરે પહોંચ્યો હતો.
અતનુ ચક્રવર્તીએ રાજીનામું કેમ આપ્યું?
નોંધનીય છે કે અતનુ ચક્રવર્તીને પહેલી વાર મે 2021માં ત્રણ વર્ષના કાર્યકાળ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, મે 2024માં, તેઓ બીજા કાર્યકાળ માટે ફરીથી ચૂંટાયા હતા, જે મે 2027માં પૂર્ણ થવાનો હતો. આમ છતા તેમણે તેમના કાર્યકાળના મધ્યમાં પોતાના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો. અતનુ ચક્રવર્તીએ સ્ટોક એક્સચેન્જને સુપરત કરવામાં આવેલી માહિતીમાં રાજીનામનો ખુલાસો કર્યો છે, તેના કારણે ઘણા પ્રશ્નો ઉભા થયા છે. તેમના રાજીનામા પત્રમાં, અતનુ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં તેમણે બેંકની અંદર કેટલીક વસ્તુઓ અને પ્રેક્ટિસ જોઈ છે જે તેમના વ્યક્તિગત વિચાર અને એથીક્સ સાથે સુસંગત નથી. જોકે તેમણે આ ઘટનાઓ અને કામકાની પદ્ધતિઓ વિશે વિસ્તૃત માહિતી આપી નથી, પરંતુ તેમના નિવેદને બજારમાં હલચલ મચાવી દીધી છે.
અતનુ ચક્રવર્તીના અચાનક રાજીનામા બાદ, બેન્કે તાત્કાલિક નવા નામની જાહેરાત કરી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ત્રણ મહિના માટે કેકી મિસ્ત્રીની વચગાળાના પાર્ટ-ટાઇમ ચેરમેન તરીકે નિમણૂકને મંજૂરી આપી છે. તેમની નિમણૂક આજથી 19 માર્ચથી પ્રભાવી થઇ ગઇ છે. તેઓ 19 માર્ચથી આગામી 3 મહિના માટે આ જવાબદારી સંભાળશે. કેકી મિસ્ત્રી બેંકિંગ ક્ષેત્રના એક પ્રખ્યાત વ્યક્તિ છે, અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેમના અનુભવથી બેન્કને આ ફેરફારના તબક્કામાં મજબૂતી મળશે.
HDFC બેંકની પ્રતિષ્ઠા પર શું અસર પડશે?
HDFC બેંક સંપત્તિની દૃષ્ટિએ દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક છે અને માર્કેટ કેપના મામલે ભારતની બીજી સૌથી મોટી કંપની પણ છે. જ્યારે આટલી મોટી સંસ્થાના ચેરમેન રાજીનામું આપે છે અને મૂલ્યો અને એથિક્સના સંદર્ભ આપવાથી એ પ્રશ્નો ઉભા કરે છે કે બેન્કની અંદર કેટલાક મુદ્દા પર મતભેદ હતા. આગામી દિવસોમાં વધુ માહિતી આવી શકે છે. હાલમાં, ચેરમેનના અચાનક રાજીનામાને બજાર અને રોકાણકારો બંને દ્વારા એક મહત્ત્વપૂર્ણ ઘટના માનવામાં આવી રહી છે.

