- Gujarat
- સુરત જિલ્લાના આશ્રમમાં ચાલી રહ્યો હતો નકલી નોટોનો ગોરખધંધો, બહાર ધર્મ-યોગનું સેન્ટર, અંદર...
સુરત જિલ્લાના આશ્રમમાં ચાલી રહ્યો હતો નકલી નોટોનો ગોરખધંધો, બહાર ધર્મ-યોગનું સેન્ટર, અંદર...
ગુજરાતમાં નકલી ચલણી નોટો પર ચાલી રહેલા કાર્યવાહી વચ્ચે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. સુરતથી સંચાલિત થઇ રહેલા નકલી ચલણી નોટોના ગોરખધંધાનો પર્દાફાસ કરતા પોલીસે 6 વ્યક્તિઓની ધરપકડ કરી છે અને ₹2 કરોડથી વધુની નકલી નોટો જપ્ત કરી હતી. હેરાનીની વાત એ છે કે, આ સમગ્ર ગેરકાયદેસર કામગીરીના મૂળ એક આધ્યાત્મિક આશ્રમ સાથે જોડાયેલા નિકળ્યા.
તપાસમાં જાણવા મળ્યું હતું કે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામમાં સ્થિત 'શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન' આશ્રમની અંદર નકલી ચલણી નોટો છાપવાનું રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું. બહારથી ધર્મ અને યોગનું કેન્દ્ર દેખાતો આ આશ્રમ વાસ્તવમાં દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડનારા નેટવર્કનું કેન્દ્ર હતું.
ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સુરતથી નકલી નોટોનો મોટો જથ્થો અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે, અમરાઈવાડી વિસ્તારમાં એક વોચ ગોઠવવામાં આવી હતી, જ્યાં શંકાસ્પદ ગતિવિધિઓ બાદ એક મહિલા સહિત 6 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમના કબજામાંથી, પોલીસે ₹500ની મૂલ્યની 40,000 થી વધુ નકલી નોટો જપ્ત કરી છે, જેની કુલ અંદાજિત કિંમત આશરે ₹2 કરોડ આંકવામાં આવી છે.
પૂછપરછમાં જાણવા મળ્યું કે આ નકલી નોટો સુરતના વરાછા વિસ્તારમાં છાપવામાં આવી હતી, અને બજારમાં તેને ફેલાવવા માટે એક ખાસ સ્કીમ બનાવવામાં આવી હતી- ₹500 અસલી આપો, અને ₹1,500 નકલી લો.’ એટલે કે ₹66 લાખ અસલી ચલણના બદલામાં ₹2 કરોડ મૂલ્યની નકલી કરન્સી બજારમાં ઉતારવાની તૈયારી ચાલી રહી હતી. જો કે, આરોપીઓ પહેલી જ ડીલ દરમિયાન પોલીસના હાથે ચઢી ગયા હતા.
ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરતના આશ્રમ અને અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં પ્રિન્ટિંગ મશીનો, કમ્પ્યુટર્સ, વિશિષ્ટ કાગળ, શાહી અને ઘણા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. આ ગુનાહિત નેટવર્ક માટે આશ્રમના વાહનોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. પંચનામા દરમિયાન, પોલીસે 40,000 થી વધુની જપ્ત કરાયેલી નોટોના સીરિયલ નંબરો નોંધવામાં પોલીસને કલાકો સુધી મહેનત કરવી પડી હતી.
ધરપકડ કરાયેલા લોકોમાં સદગુરુ પ્રદીપજીનો પણ સમાવેશ થાય છે. જે નકલી નોટો છાપવાનું રેકેટ ચલાવતો હતો. આ માટે સુરતમાં એક બંગલો ભાડે રાખવામાં આવ્યો હતો. જ્યાં નોટો છાપ્યા બાદ તેને સુરત ખાતેના આશ્રમ લઈ જવામાં આવતી હતી.
પોલીસ તપાસમાં સામે આવેલી પ્રાથમિક વિગત મુજબ, આ પ્રકરણમાં ઝડપાયેલો પ્રદીપ ગુરુજી અગાઉ રાજકોટમાં રહેતો હતો. પ્રદીપ ગુરુજી રાજકોટમાં પટેલ ફાઉન્ડેશનના નામથી યોગ ક્લાસ ચલાવતો હતો. જે બાદ થોડા વર્ષોથી પ્રદીપ ગુરુજી સુરતમાં યોગ આશ્રમ શરૂ કર્યો હતો.

