- Gujarat
- સુરતની એથર ઇન્ડસ્ટ્રીઝમાં ફરી આગ, શેર ઉચકાયો, 2023માં 100 કરોડનો વીમો ક્લેઇમ
સુરતની એથર ઇન્ડસ્ટ્રીઝમાં ફરી આગ, શેર ઉચકાયો, 2023માં 100 કરોડનો વીમો ક્લેઇમ
સુરતની કેમિકલ બનાવતી એથર ઇન્ડસ્ટ્રિઝમાં (AETHER Industries) ફરી મોટી આગ લાગી. આ વખતની આગ વેરહાઉસમાં લાગી હોવાથી કંપનીના ઓપરેશન્સ પર કોઇ મોટી અસર થઇ નથી. કોઇ જાનહાનિ પણ થઇ નથી. એટલે રિપોર્ટ્સ મુજબ કંપનીના શેર્સના ભાવ વધ્યા છે. આગ લાગ્યા પછી પણ કંપનીના શેર પ્રાઇસ વધે તે એક સારી બાબત સાથે આશ્ચર્ય પમાડનારી પણ છે. રિપોર્ટ્સ મુજબ આગ લાગી તે દિવસે જ કંપનીમાં ઇન્ડિયા કેપિટલ ગ્રોથ ફંડની વિઝિટ હતી જે અંગે કંપનીએ માહિતી પણ આપી છે.
હવે અહીં સવાલ એ થાય છે કે ફરી આગ કેમ લાગી. શું અગાઉની આગમાં જે લોકોના મોત થયા હતા અને જે લોકો ઘવાયા હતા તેમને વળતર પૂરેપૂરું ચૂકવાયું છે. શું કંપનીને વર્ષ 2023ની આગનો ક્લેઇમ પૂરોપૂરો મળી ગયો છે. આપણે આ બધી બાબતોને સમજવાનો પ્રયત્ન કરીએ.

ફરી આગ કેમ લાગી
જાણકારો કહે છે કે સચિન જીઆઇડીસી અને ખાસ કરીને એથર જેવી કંપની હાઇલી ઇન્ફેલેમેબલની કેટેગરીમાં આવે છે. અહીં આગ સામે રક્ષણની પૂરેપૂરી વ્યવસ્થાઓ જડબેસલાક હોવી જરૂરી છે. પરંતુ વર્ષ 2023ની આગ પછી શું થયું તેની કોઇ માહિતી મળતી નથી. તે વખતે 7 લોકોના મોત થયા હતા અને 25થી વધુ લોકો ઘવાયા હતા. જીપીસીબી અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે તપાસ કરી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે કેમિકલ લીક થવાને કારણે આગ લાગી હતી.

ઇન્ડિયન કેમિકલ ન્યૂઝના રિપોર્ટ મુજબ જીપીસીબીએ કંપનીને નવેમ્બર 2023માં ક્લોઝર નોટિસ આપી રૂ. 50 લાખનો દંડ ફટકાર્યો હતો. જોકે, કંપની જાન્યુઆરીથી ફરી ખુલી ગઇ હતી. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે પણ કેસ કોઇ પણ દંડ કર્યા વગર બંધ કરી દીધો હતો. હવે સવાલ એ થાય છે કે જો બન્ને મોટી સંસ્થાઓએ 2 વર્ષ પહેલા જ તપાસ કરી હતી તે 2 જ વર્ષમાં ફરી આગ કેવી રીતે લાગી. શું કંપનીની બેદકરકારી નથી. આ વખતની આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું કહેવાય છે. હજુ ફાઇનલ કારણ બહાર આવ્યું નથી.

વર્ષ 2023ની આગમાં કંપનીએ મરનારના પરિવારોને રૂ. 50-50 લાખની સહાય અને ઘવાયેલા પરિવારોને 25 લાખની સહાયની જાહેરાત કરી હતી પરંતુ તે તમામને સહાય અપાઇ કે નહીં તે અંગે કોઇ જાણકારી મળતી નથી. આ ઉપરાંત કંપનીના રિપોર્ટ્સ બતાવે છે કે તેમનો રૂ. 100 કરોડના કલેઇમ મંજૂર થયો હતો જેમાંથી 21 કરોડ અપાયા હતા બાકીના રૂપિયા કંપનીને હજુ સુધી મળ્યા ન હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
રૂ. 13000 કરોડથી વધુનું માર્કેટ કેપ ધરાવતી કંપનીમાં માત્ર 2 જ વર્ષના સમયગાળામાં બીજીવાર આગ લાગે તે ગંભીર બાબત ગણી શકાય. જોકે, એક બીજી બાબત પણ સામે આવી છે કે આ આગ લાગવાથી કંપનીના શેર પ્રાઇસ પર કોઇ અસર પડી નથી. ઉલટો 4 ટકાનો વધારો થયો હોવાના રિપોર્ટ્સ છે.

